ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાએ વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હેરાફેરી’ના કોપીરાઈટ અને રીમેક રાઈટ્સને લઈને મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નડિયાદવાલાએ ફરિયાદમાં જણાવ્યું કે વિવાદ વર્ષ 1989ની મલયાલમ ફિલ્મ રામજી રાવ સ્પીકિંગ સાથે સંકળાયેલો છે, જેના પર ‘હેરાફેરી’ આધારિત હતી. તેણે દાવો કર્યો કે વર્ષ 2000માં તેણે સુરેશ કુમાર સિંઘલ પાસેથી 4.5 લાખ રૂપિયામાં કેટલાક રીમેક રાઈટ્સ કાયદેસર રીતે ખરીદ્યા હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે ફિલ્મ રિલીઝના સાત દિવસ પહેલા કેટલાક લોકોએ દબાણ કરીને તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. નડિયાદવાલાના મતે, તેને ભારે રોકાણ અને સંભવિત નુકસાનના ડરથી ચૂકવણી કરવી પડી, જ્યારે કોર્ટે તેના પક્ષમાં સ્ટે ઓર્ડર આપ્યો હતો.
પોલીસે કેસ દાખલ કર્યો
નડિયાદવાલાએ એવો પણ આરોપ લગાવ્યો કે 2022માં ઓરિજિનલ ફિલ્મ સાથે સંકળાયેલા પક્ષોએ પહેલાથી વેચાયેલા રાઇટ્સને ફરીથી વેચી દીધા. ફરિયાદના આધારે પોલીસે ગોપાલા પિલ્લઈ વિજયકુમાર અને એમ પોલ માઈકલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ઉપરાંત, ડિસેમ્બર 2024માં તેને એક લીગલ નોટિસ મળી, જેમાં ‘ફિર હેરાફેરી’ને ગેરકાયદે ગણાવવામાં આવી અને 60 લાખ રૂપિયા સાથે ફિલ્મના નફામાં 25% હિસ્સેદારીની માંગ કરવામાં આવી.
નાડિયાદવાલાએ એમ પણ કહ્યું કે તેની કંપનીની પબ્લિક લિસ્ટિંગ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે અને અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલના નામનો ઉપયોગ કરીને ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા, જેનાથી તેની પ્રોફેશનલ ઇમેજને નુકસાન થયું. આ મામલે પોલીસે સંબંધિત પક્ષોને પૂછપરછ માટે બોલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.