ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આજે પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પહેલા ઘણી બધી બેઠકના ઉમેદવારો જીતી ચૂક્યા છે. હવે તે કેવી રીતે તો તમને જણાવી દઈએ કે ચૂંટણીના મતદાન પહેલા જ ઘણી બધી સીટો બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે તે રાજ્યભરમાં કુલ 730 બેઠકો મતગણતરી પહેલા બિનહરીફ થઈને જીતી ચૂકી છે.
રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજે આ મતદાનનો નિર્ણય જાહેર થવાનો છે અને કયા પક્ષને સત્તા મળશે તે સ્પષ્ટ થશે. મતગણતરી માટે રાજ્યભરના કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય હતા.
જો કે પરિણામ પહેલા જ રાજ્યમાં મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા ઉમેદવારો જીતી ચૂક્યા છે. કુલ 730 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. જેમાં 15 મનપાની 43 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે. ઉપરાંત 84 નગરપાલિકાઓમાં 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી 370 ભાજપ, 12 કોંગ્રેસ અને 3 અપક્ષના ખાતામાં ગઈ છે.
ખાસ કરીને ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી જેવી 4 નગરપાલિકાઓમાં ભાજપે સંપૂર્ણ બિનહરીફ જીત મેળવી છે. તાલુકા અને જિલ્લા સ્તરે પણ ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 251 તાલુકા પંચાયતો અને 51 જિલ્લા પંચાયતોમાં ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા બની ચૂકી છે.હવે સૌની નજર આજે શરૂ થનારી મતગણતરી પર ટકી છે. બાકીની બેઠકોના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણોને નવી દિશા આપશે અને આગામી સમય માટે સત્તાના સંતુલનને નક્કી કરશે.
મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે લોકશાહીના ‘મહા-ચુકાદો’નો દિવસ આવી પહોંચ્યો છે. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો સાથે થયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં જંગ પૂરો થયા બાદ હવે ઉમેદવારોના હૃદયના ધબકારા તેજ બન્યા છે. થોડી જ ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામોની શરૂઆત સાથે જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું છે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ આખરે કોના શિરે સજશે, જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.