Tuesday, Apr 28, 2026

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના કરુણ મોત

2 Min Read

જસદણ તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર કિશોરોના કરુણ મોત નિપજ્યા છે. રજાના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વગર ન્હાવા ગયેલા આ બાળકોને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ જીવ ગુમાવી બેઠા હતા.

મળતી માહિતી મુજબ, જસદણના વિંછીયા રોડ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો મોજ-મસ્તી કરવા માટે તળાવ પર ગયા હતા. તેઓએ ઘરે કોઈને જાણ કરી નહોતી. તળાવમાં ઉતર્યા બાદ પાણી વધુ ઊંડું હોવાને કારણે ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પાસે બાળકોની સાયકલો અને કપડાં લાંબા સમય સુધી બિનવારસી હાલતમાં પડેલા જોઈ સ્થાનિક લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા બાળકો ડૂબી ગયા હોવાની આશંકા ઉભી થઈ અને તંત્રને જાણ કરવામાં આવી.

ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ ચારેય બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં રાજવીર સામતભાઈ રાઠોડ (15 વર્ષ), કિશન મનસુખભાઈ રાઠોડ (15 વર્ષ), રામુ ભાયાભાઈ રાઠોડ (14 વર્ષ) અને કાળુ ભરતભાઈ રાઠોડ (10 વર્ષ)નો સમાવેશ થાય છે.

જ્યારે ચારેય બાળકોના મૃતદેહોને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, ત્યારે પરિવારજનો અને સગા-સંબંધીઓના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી જસદણ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article