અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તાર આગ લાગી હતી. આ આગ જોતજાતોમાં ઉપર આવી પહોંચી અને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની કે આ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આગમાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો, એટીએમ મશીન અને કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે આર્કેડમાં આવેલી ઓફિસો અને જીમમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ શા કારણે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ એટલી વિકરાળ હતી કે, લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. જોકે, નુકસાનનો સત્તાવાર આંકડો હજી પ્રકાશમાં આવ્યું નથી.