Friday, Apr 24, 2026

કેજરીવાલને મોટો ઝટકો: રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત 7 સાંસદોએ AAP છોડી ભાજપમાં જોડાયા

2 Min Read

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો સાથે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરી રહ્યા છે. સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે સંબોધન કરતા ચઢ્ઢાએ કહ્યું કે તેઓ બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ પગલું લઈ રહ્યા છે.રાઘવ ચઢ્ઢાએ સાત સાંસદોએ આપ સાથે છેડો ફાડ્યાનો દાવો કર્યો હતો.

ચઢ્ઢાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમણે જે પાર્ટીને પોતાના લોહી-પરસેવાથી ઉભી કરી હતી, તે હવે પોતાના મૂળ લક્ષ્યોથી ભટકી ગઈ છે અને અંગત ફાયદા માટે કાર્ય કરી રહી છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

રાઘવ ચઢ્ઢા, અશોક કુમાર મિત્તલ અને સંદીપ પાઠક 2022થી આમ આદમી પાર્ટી (AAP) તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે AAPના બે તૃતીયાંશ રાજ્યસભા સાંસદો તેમના સંપર્કમાં છે. જો રાઘવનો દાવો સાચો સાબિત થાય છે, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ સાંસદોની સભ્યપદને અસર થશે નહીં, અને આને તકનીકી રીતે કાનૂની વિલીનીકરણ ગણવામાં આવશે. રાઘવના મતે, આ યાદીમાં રાઘવ ચઢ્ઢા પોતે, અશોક મિત્તલ, સંદિપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, વિક્રમ સહાની અને રાજેન્દ્ર ગુપ્તા જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જો કે સાતમું નામ હજુ બહાર આવ્યું નથી.

Share This Article