મધ્યપ્રદેશના ખરગોન મંડળની રહેવાસી અને ‘મહાકુંભ વાયરલ ગર્લ’ તરીકે જાણીતી મોનાલિસા ભોંસલેની મુશ્કેલીઓ હજુ વધવાની છે. મોનાલિસા-ફરમાનને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની નોટિસ મળી છે. મોનાલિસાની ઉંમરની તપાસ કરવામાં આવશે. લગ્ન કર્યા બાદ હવે મોનાલિસાની ઉંમરનું પ્રમાણ આપવું પડશે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દિલ્હીએ એસપી (SP) ખરગોનને નોટિસ પાઠવી મોનાલિસાની ઉંમરની તપાસ કરવા અંગેના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને કેરળના મુખ્ય સચિવ તેમજ ડીજીપી (DGP)ને સંકલન સાધવા માટેના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મોનાલિસા-ફરમાનના લગ્ન પછી મોનાલિસાના પિતા જયસિંહ ભોંસલે અને માતા લતા ભોંસલે સહિત ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના ડાયરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાના સગીર હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ મીડિયા સમક્ષ પરિવારના તમામ સભ્યો અને સમાજના લોકોએ ફરમાન પર છેતરામણીથી લગ્ન કરવાના તેમજ મોનાલિસા સગીર હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ખરગોન એસપી રવીન્દ્ર વર્માને તપાસ બાદ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.