Wednesday, Apr 15, 2026

આણંદની દીકરી એકતા શાહે 6 નવી આકાશગંગા શોધી, NASAમાં સ્થાન મેળવ્યું

3 Min Read

આણંદમાં 13 બાય 13ની એક ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી ખગોળ વૈજ્ઞાનિક બની સફળતા મેળવી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં 6 નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે.

આણંદમાં અર્જુનભાઇ અને લત્તાબેન શાહની એક માત્ર પુત્રી એકતા શાહ બાળપણથી જ એકતા બહુ જિજ્ઞાસુ. પોતાની આસપાસ પ્રકૃતિ, પ્રવૃત્તિ અને ઘટનાઓ વિશે તેમના માતા-પિતાને સતત પ્રશ્નો પૂછ્યા કરતી હતી. પિતા સેલ્સમેન હોવાથી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી એકતાએ ગુજરાતી માધ્યમની કે.જે.ઠક્કર પ્રાથમિક શાળા, આણંદ હાઇસ્કૂલમાં માધ્યમિક અને બાદમાં ડી. ઝેડ. પટેલ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સાથે ઉચ્ચસ્તર માધ્યમિકમાં અભ્યાસ કર્યો છે. તેમણે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. એકતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગ્રેજ્યુએશન કર્યું હતુ.

બાદમાં આઇઆઇટી – મુંબઇમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતુ. એકતાએ રોચસ્ટર યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝીક્સમાં પીએચડી કરવાનું નક્કી કર્યું હતુ. ત્યાં આ પીએચડી ડિગ્રી માટે એકતા આખી દુનિયામાંથી પસંદ થયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક હતી. રોચસ્ટર યુનિવર્સિટીમાં એકતાને પ્રસિદ્ધ અમેરિકન સંસ્થા નાસા દ્વારા અનુદાનિત પ્રોજેક્ટમાં કામ કરવાની તક સાંપડી હતી. છ વર્ષના સંશોધનને અંતે પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડોક્ટરર્સ રિસર્ચ ફેલોશીપ મેળવી ત્રણ સંશોધન કર્યું હતું. દરમિયાન તેમણે આકાશમાં બ્રહ્માંડના બાળપણમાં રહેલા ગેલેક્સીના છ નવા સમુહો પણ શોધી કાઢ્યા હતા.

આ નવા છ સમુહને તેમણે કર્મેન્દ્રીય મુજબ નામ આપ્યા છે. જેમાં દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા નામો આપી ભારતનું ગૌરવ આકાશમાં સ્થાપિત કર્યું છે. તેમના આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. લગલગાટ 9 વર્ષ સુધી અમેરિકામાં સંશોધન કાર્ય કરી એકતા હવે સ્વદેશ પરત ફરી છે. તેમને ત્યાં સારી નોકરીની ઓફર હતી. પણ તે ભારત માટે કશું કરવાની મહેચ્છા ધરાવે છે. એટલે ભારત પરત ફરી છે. તેઓનો નાસાની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં સમાવેશ થયેલ છે. હાલમાં પણ તેમનું એસ્ટ્રો ફિઝિક્સમાં રિસર્ચ આણંદ થી ચાલુ છે.

આણંદની એકતા શાહની સફળતાથી એ નક્કી છે કે, તેજસ્વી-ઓજસ્વી છાત્રોને કોઇ આર્થિક અડચણ નથી આવતી. સારુ શિક્ષણ મેળવવા માટે અંગ્રેજી માધ્યમમાં જ બાળકને ભણાવવું આવશ્યક નથી, સૌથી મહત્વનું કે, બાળકની જિજ્ઞાસાને ઠારવાને બદલે માતા-પિતાએ તેના ઉદ્દીપક બનવું જોઇએ.

Share This Article