સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવી છે. માર્કેટની ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટના ચોથા માળ ઉપર અગાશી પર બનાવાયેલા પતરાના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. અંદર મોટા પ્રમાણમાં ટેક્સટાઈલનો માલ હોવાને કારણે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માનદરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પુણા સહિત 10થી વધુ ફાયર સ્ટેશનમાંથી 18થી વધુ ફાયર ગાડીઓ દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.
આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં જાનહાનિ અંગે પણ હાલમાં કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.