Sunday, Feb 22, 2026

સુરતના જાણીતા બિલ્ડર આપઘાત કેસમાં મોટો વળાંક: મહિલા મિત્ર સામે દુષ્પ્રેરણાનો ગુનો, અટકાયત

3 Min Read

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં હવે મહત્વનો વળાંક આવ્યો છે. સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ ઉમરા પોલીસ મથક દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ તપાસ અનુસાર તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને મહિલાએ તેમને માનસિક તેમજ આર્થિક રીતે ત્રાસ આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

બીજી તરફ, ઘટનાના થોડા દિવસો બાદ મહિલા મિત્રએ પણ પોલીસમાં અરજી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેમનું મર્ડર થયું છે. અરજીમાં તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પરિવાર તુષાર ઘેલાણીનો માત્ર પૈસા માટે ઉપયોગ કરતો હતો અને તેમની યોગ્ય કાળજી લેતો ન હતો.

મહિલા મિત્રએ વધુમાં દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષાર ઘેલાણીએ લગભગ 20 દિવસ પહેલા પોતાની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને પરિવાર તરફથી તેમને સતત દબાણમાં રાખવામાં આવતા હતા.

જ્યારે બીજી તરફ, તુષાર ઘેલાણીના પરિવારજનોએ મહિલાની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેમાં મહિલાએ તેમને ઈમોશનલ તેમજ ફાઈનાન્સિયલ બ્લેકમેલ કરીને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને પક્ષોની અરજી અને પુરાવાઓના આધારે તપાસ કર્યા બાદ પોલીસને મહિલા મિત્રની સંડોવણી સામે આવતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?
સુરતના અગ્રણી બિલ્ડર અને ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. જે બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટીકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે, ઈજા એટલી ગંભીર હતી કે, બુધવારે તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા.

કોણ હતા તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

Share This Article