સુરતના ઉમરા વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના ચાર વર્ષના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ આ ઘટનાના પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી સતત કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું છે. માતા અને માસૂમ બાળકના મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક પૂનમ છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ખાતે માતા અને ભાઈ સાથે રહેતી હતી. ઘટનાના દિવસે સવારે તેનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. સવારે આશરે 11 વાગ્યાના સમયે તે મોબાઈલ ચાર્જર લેવા અચાનક ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં જોવા મળેલા દૃશ્યથી તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેણે જોયું કે તેની બહેન પૂનમ અને તેનો ચાર વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકેલી હાલતમાં હતા. તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકની માતા ઉષાબેને જણાવ્યું હતું કે પૂનમના આત્મઘાતી પગલાં પાછળ તેના સાસરિયાં જવાબદાર છે. તેમના જણાવ્યા મુજબ પૂનમની નણંદ તેને સતત હેરાન કરતી હતી અને ઘરના તમામ નિર્ણયો પણ નણંદ જ લેતી હતી. સાસુ અને પતિ બંને નણંદની વાત માનીને ચાલતા હતા, જેના કારણે પૂનમ માનસિક રીતે ખૂબ જ ત્રસ્ત હતી.
ઉષાબેને વધુમાં આરોપ મૂક્યો કે પૂનમના પતિ કરણ શાહ ક્યારેય પોતાની પત્નીનો પક્ષ લેતા નહોતા. નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને તેને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરાતું હતું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ અવારનવાર એવું બહાનું આપતો હતો કે તે દેવાંમાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે, તેથી પૂનમે પિયર રહી જવું જોઈએ.
પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સપનાઓ સાથે શરૂ થયેલી તેમની જિંદગી થોડા જ સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન પણ પૂનમની યોગ્ય સંભાળ લેવાઈ નહોતી અને તેને પિયર મોકલી દેવામાં આવી હતી. માતા ઉષાબેને રડતાં રડતાં જણાવ્યું હતું કે તેમની દીકરી ક્યારેય પરિવાર પર બોજ બનવા માગતી નહોતી, પરંતુ સાસરિયાંએ તેને જીવવા જેવી સ્થિતિમાં જ રાખી નહોતી.