Friday, Feb 13, 2026

નવસારીના અમલસાડમાં લગ્ન જમણવાર બાદ વરરાજા સહિત 155 લોકોને ફૂડ પોઇઝનિંગ

2 Min Read

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં એક લગ્ન પ્રસંગમાં ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે જમણવાર અચાનક ઝેરમાં પરિવર્તિત થઈ ગયો. લગ્નમાં જમ્યા બાદ વરરાજા સહિત અંદાજે 155 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને તેઓને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા.

ઘટનાની વિગતો અનુસાર, અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નિલ ટંડેલના લગ્નનો પ્રસંગ હતો. આ જમણવારમાં આશરે 1000થી 1200 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા. મેનુમાં છોલે-પુરી, પનીરનું શાક, દાળ-ભાત, કચુંબર, ફુલવડી, ભૂંગળા અને મીઠાઈ તરીકે દૂધીનો હલવો પીરસવામાં આવ્યો હતો. ભોજન બપોરે 1થી દોઢ વાગ્યે થયું હતું, અને મોડી સાંજે વરરાજાની જાન જલાલપોર જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે મહેમાનોને ઉબકા, ઉલ્ટી, ઝાડા અને ગેસ જેવી તકલીફો શરૂ થઈ.

ખુદ વરરાજા નિલને પણ ગંભીર અસર થઈ અને તેમને તાત્કાલિક સારવાર લેવી પડી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેનુમાંથી કોઈ વાનગીમાં ગરબડને કારણે આ ઘટના બની હશે.ક

ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી. અસરગ્રસ્તોને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં 32, કૃષ્ણપુર PHCમાં 22, મંદિર ગામ PHCમાં 22 અને અન્ય ખાનગી તેમજ સ્થાનિક સ્તરે 50થી વધુ લોકોને સારવાર અપાઈ.

આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, કુલ 155 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 60 જેટલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્યને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે. બધા દર્દીઓ સ્થિર છે અને ગામમાં આરોગ્ય વિભાગની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અન્ય ગામોમાં ગયેલા મહેમાનોની તપાસ પણ ચાલુ છે, અને સ્થળ પર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

Share This Article