Friday, Mar 20, 2026

માંડવી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ, માસ્ટરમાઈન્ડ સાથે નજીકની સાંકળ ખુલ્લી

1 Min Read

સુરત જિલ્લાના માંડવીમાં સામે આવેલા ધર્માંતરણ મામલે પોલીસે વધુ એક શિક્ષકની ધરપકડ કરી છે. રાકેશ વસાવા નામના આ શિક્ષકને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ ગણાતા રામજી ચૌધરીનો નજીકનો સહયોગી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ અને ખર્ચનો સમગ્ર હિસાબ રાખતો હતો. ઉપરાંત કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તેની જવાબદારી પણ તે સંભાળતો હતો. એક સાથે લગભગ 20 લોકોના ધર્માંતરણમાં તેની સંડોવણી બહાર આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ યોજાયેલા ત્રણ દિવસીય કાર્યક્રમમાં પણ તેની મુખ્ય ભૂમિકા હતી.

પોલીસ સૂત્રો મુજબ, રાકેશ વસાવાને ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીનો “રહસ્ય સચિવ” પણ કહેવાતો હતો. તેની ધરપકડ બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. હાલ આરોપીને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે માંડવી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક અને 1 તબીબની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

Share This Article