વર્ષ 2022માં ઉત્તરાખંડના પૌરી જીલ્લામાં 19 વર્ષીય યુવતી અંકિતા ભંડારીની હત્યા કેસમાં કોર્ટે ત્રણ દોષિતો આજીવન કેદની સજા ફટકારી છે. કોટદ્વારની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ રીના નેગીએ દોષિત પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને ઠેરવ્યા બાદ સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં 2 વર્ષ, 8 મહિના અને 12 દિવસ પછી અંકિતાને ન્યાય આપ્યો છે.
કોર્ટે ત્રણેય આરોપીઓ પર 72,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે રાજ્ય સરકારની વળતર યોજના હેઠળ પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.
આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કલમો હેઠળ સજા:
કોર્ટે પુલકિત આર્યને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, તેને કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ, કલમ 354A IPC હેઠળ 2 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમ, પુલકિત આર્યને કુલ 72,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને કલમ 302 IPC હેઠળ આજીવન કેદ અને 50,000 રૂપિયાનો દંડ, કલમ 201 IPC હેઠળ 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ અને ITPA એક્ટની કલમ 3(1)D હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શું છે મામલો?
19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.
રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ તેના બે સાથીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હવે ત્રણેય આ કેસમાં દોષિત ઠર્યા છે.