ઉત્તરાખંડના ખૂબ જ ચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોટદ્વાર કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અંકિત ભંડારી હત્યા કેસ માત્ર ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ દેશના ઘણા રાજ્યોમાં પડઘો પડ્યો.
અંકિતા ભંડારી શ્રીનગર ગઢવાલની રહેવાસી હતી અને ખૂબ જ સામાન્ય પરિવારની હતી. ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે તે નોકરીની શોધમાં બહાર ગઈ હતી. તેને ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટની નોકરી મળી હતી પરંતુ થોડા દિવસો પછી તેની હત્યા કરવામાં આવી હતી. અંકિતા 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ ગુમ થઈ ગઈ હતી અને થોડા દિવસો પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસની સુનાવણી કુલ બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા 47 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

શું છે મામલો?
19 વર્ષીય અંકિતા ભંડારી ઉત્તરાખંડના પૌરી જિલ્લાની રેહવાસી હતી, તે યમકેશ્વરમાં આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022 ના રોજ અંકિતા રિસોર્ટમાંથી અચાનક ગુમ થઈ ગઈ અને તેનો મૃતદેહ 24 સપ્ટેમ્બરના રોજ ઋષિકેશ નજીક ચિલ્લા નહેરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બનતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા ઉતરી આવ્યા હતાં.