Saturday, May 16, 2026

સુરતમાં નોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન

2 Min Read

સુરતના નુરપુરામાં આવેલી ઈમારતના બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો હતો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર, ઝાંપાબજારના નુરપુરામાં આવેલા બેઝમેન્ટમાં હોલમાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. આ દરમિયાન એસી હોવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. આ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણ માટે ભેગી થઈ હતી. હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળ્યો હતો. જેથી મહિલાઓ બેભાન થઈ હતી.

સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article