રખડતાં ઢોર મુદ્દે માલધારીઓએ મેયર અને CMના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી

Share this story

અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર અંગેની પોલીસી અંતર્ગત લાયસન્સ અને પરમિટ માટે દસ્તાવેજવાળી જગ્યા ફરજિયાત છે. કારણ કે આ જગ્યાના આધારે જ ઢોર માલિકોને પરમીટ આપવામાં આવે છે. ત્યારે રખડતાં ઢોરને લઈને માલધારીઓ હવે આકરા પાણીએ દેખાઈ રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પશુના રજિસ્ટ્રેશન માટે પશુ દીઠ ૨૦૦ રૂપિયા પશુ માલિકો પાસેથી ઉઘરાવવામા આવ્યાં હતાં. તે પૈસા પરત કરવામાં આવે તેવી માંગ સાથે આજે AMCની મુખ્ય ઓફિસ ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ પહોંચ્યા હતાં. તેમણે મેયર હાજર નહીં હોવાથી CNCD વિભાગના વડા નરેશ રાજપૂતને આવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યાર બાદ મંગળવાર સુધીમાં માંગ નહીં સંતોષાય તો મુખ્યમંત્રી અથવા મેયરના ઘરનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે માલધારીઓને આશ્વાસન આપ્યું હતું કે, તેમની જે પણ રજૂઆત છએ તે ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. માલધારી એકતા સમિતિ અને પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, પશુપાલકો પોતાના ઘરે અથવા વંરડામાં પશુઓ રાખી શકે તે માટે ટેક્સબિલ કે લાઈટબિલના આધારે પોતાના કબજો ભોગવટાની માલિકી માન્ય રાખીને પશુ રાખવાનું લાયસન્સ આપવું જોઈએ. માલધારીઓ દ્વારા ભૂતકાળમાં રૂ. ૨૦૦ લેખે પશુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે જેની AMCએ પહોંચ આપેલી છે. તે રજીસ્ટ્રેશન માન્ય રાખો અથવા પહોચના આધારે રૂપિયા પરત કરો.બે પગવાળા આખલા ગૌચરની કિંમતી જમીન ચરી ગયા છે તેમને પકડીને ડબ્બામાં પુરો.

આ પણ વાંચો :-