ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જગ્યાએ મેઘ મહેર થઈ રહી છે. પણ સાથે સાથે વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે હાલાર પંથકમાં વીજળીએ ૩ લોકોના ભોગ લીધા છે.
સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી ન હતી. પરંતુ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું આગમન થયું હતું. સૌરાષ્ટ્ર પંથકમાં મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે જાન માલને ભારે નુકસાન થયું હતું. તો વીજળી પડતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત પણ નીપજ્યા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા પોતાની વાડીમાં બપોરના સમયે કામ કરી રહ્યા હતા, આ દરમિયાન વીજળી પડતા તેઓનું મોત થયું હતું. તો નરમાણા ગામમાં દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત પર વીજળી પડતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું હતું.
આ ઉપરાંત દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની મહિલા પર વીજળી પડવાથી તેમનું પણ મોત થયું હતું. જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામનો યુવાન વીજળીથી ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
આ પણ વાંચો :-