- NCPના સાંસદ સુપ્રિયા સુલેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે 15 દિવસમાં બે મોટા રાજકીય ધડાકા થશે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule) મોટું નિવેદન આપ્યું છે. સુલેએ દાવો કર્યો છે કે આગામી 15 દિવસમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે. તેમણે કહ્યું કે એક દિલ્હીમાં (Delhi) થશે અને બીજો મહારાષ્ટ્રમાં થશે. સુપ્રિયા સુલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP નેતા અજીત પવારના (Ajit Pawar) ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
રાજકીય અટકળોનો દોર શરૂ :
સાંસદ સુપ્રિયા સુલેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે અજીત દાદા ક્યાં છે? તો તેમણે જવાબ આપ્યો, ‘તમે બધા ચેનલવાળા એક યુનિટ અજીત દાદાની પાછળ લગાવી દો. રાજ્યમાં અનેક સમસ્યાઓ છે. રાજ્યમાં ખોટી રીતે કામ થઈ રહ્યું છે. એક કાર્યક્રમમાં હાજર ન રહેવાથી આવું કંઈ નહીં થાય.’
અજીત દાદા ભાજપમાં જોડાશે કે નહીં? આ સવાલ પર તેમણે કહ્યું, ‘આ વાત દાદાને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી, જનપ્રતિનિધિ તરીકે મારી પાસે ઘણું કામ છે. તેથી મને આ અંગે ખબર નથી.’
ભાજપમાં જોડાવાની અટકળો તેજ :
વાસ્તવમાં ઉદ્ધવ જૂથના નેતાના દાવા બાદ અટકળોએ જોર પકડ્યું છે કે NCP નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં રેલી કરી હતી. જેમાં અજિત પવાર હાજર રહ્યા નહોતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેલીમાં શા માટે સામેલ નહોતા થયા.
નારાજ નથી અજીત પવાર : સુપ્રિયા સુલે
આ પછી સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું હતું કે અજીત પવાર નારાજ નથી. તેમણે કહ્યું કે છત્રપતિ સંભાજી નગરમાં મહા વિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં જયંત પાટીલનું ભાષણ થયું ન હતું. તેનો અર્થ એ નથી કે તેઓ ગુસ્સે છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે પહેલાથી જ નક્કી હતું કે દરેક MVA રેલીમાં માત્ર બે લોકો જ બોલશે. તેવી જ રીતે આ બધી અફવાઓ છે કે અજીત પવાર નારાજ છે.
આ પણ વાંચો :-