હાલમાં થયેલી ઘટનાઓ એ સવાલ ઊભો કર્યો છે કે રેસ્ટોરન્ટમાં અસુરક્ષિત ખાવાનું પીરસો તો કાયદો કેટલો કડક છે? રેસ્ટોરન્ટમાં પૈસા ચૂકવીને લીધેલું ભોજન જો સડેલું, દૂષિત કે આરોગ્ય માટે જોખમી નીકળે તો વાત માત્ર ખરાબ અનુભવ પૂરતી રહેતી નથી. ખોરાકની સ્થિતિ અને તેના પરિણામોના આધારે રેસ્ટોરન્ટ સંચાલક સામે Food Safety and Standards Act, 2006 હેઠળ દંડથી લઈને જેલ અને વળતર સુધીની કાર્યવાહી થઈ શકે છે.
કાયદા મુજબ નિર્ધારિત ગુણવત્તા ધોરણો પૂર્ણ ન કરતું Sub-standard Food હોય તો Section 51 હેઠળ ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે અસ્વચ્છ અથવા અસ્વાસ્થ્યપ્રદ રીતે ખોરાક બનાવવો કે પ્રોસેસ કરવો Section 56 હેઠળ આવે છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
સૌથી ગંભીર સ્થિતિ Unsafe Foodની છે. Section 59 મુજબ ઈજા ન થાય તો 3 મહિના સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, સામાન્ય ઈજામાં 1 વર્ષ સુધીની જેલ અને ₹3 લાખ સુધીનો દંડ, ગંભીર ઈજામાં 6 વર્ષ સુધીની જેલ અને ₹5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછા 7 વર્ષની જેલથી આજીવન કેદ અને ઓછામાં ઓછો ₹10 લાખનો દંડ થઈ શકે છે.
આ ઉપરાંત Section 65 હેઠળ મૃત્યુ થાય તો ઓછામાં ઓછું ₹5 લાખ વળતર, ગંભીર ઈજામાં ₹3 લાખ સુધી અને અન્ય ઈજામાં ₹1 લાખ સુધી વળતરનો આદેશ થઈ શકે છે.
ગ્રાહક ખરાબ ખોરાકની ફરિયાદ FSSAI Food Safety Connect મારફતે કરી શકે છે. ફરિયાદ સાથે બિલ, ફોટો અથવા અન્ય પુરાવા જોડવાની સુવિધા છે અને ફરિયાદની સ્થિતિ ઓનલાઇન ટ્રેક પણ કરી શકાય છે.