કર્ણાટક સરકારે જનતા દળ (સેક્યુલર)ના વિદેશ ભાગી ગયેલા અને સેંકડો મહિલાઓનું જાતીય શોષણ તથા તેમના પર દુષ્કર્મ કરવાના આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્નાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા માટે વિદેશ મંત્રાલય (MEA)ને સત્તાવાર રીતે વિનંતી કરી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની માંગ કરી છે. આ સાથે તેઓને ભારત પરત લાવવા માટે તાત્કાલિક અસરથી નક્કર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. આ પછી વિદેશ મંત્રાલય એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રજ્વલ રેવન્ના કથિત બળાત્કાર અને યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહ્યો છે તે સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. તે દેશ છોડીને ભાગી ગયો છે. તેની ધરપકડના વોરંટ બાદ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી શકાય છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પાસપોર્ટ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ કોર્ટે SIT દ્વારા દાખલ એક અરજી પછી શનિવારે પ્રજ્વલની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. આ મહિનાના પ્રારંભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે રેવન્નાએ ડિપ્લોમેટ પાસપોર્ટ પર જર્મનીની યાત્રા કરી હતી અને યાત્રા માટે મંજૂરી નહોતી માગી. રેવન્નાની જર્મની યાત્રા સંબંધમાં વિદેશ મંત્રાલયથી ના તો કોઈ રાજકીય મંજૂરી માગવામાં આવી હતી અને ના તો એ જારી કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો :-