ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારો કાળઝાળ ગરમીથી લોકો ત્રાસી ગયા છે. મહત્તમ તાપમાનના વર્ષો જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે અને આ કાળઝાળ ગરમીથી હવે લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. દેશની રાજધાનીમાં ગરમીની સાથે સાથે પાણીની પણ એક મોટી સમસ્યા લોકો માટે બની ગઈ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લોકોને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.
હાલમાં દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની ઉપર યથાવત છે. ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગ વચ્ચે દિલ્હી પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે આપણે બધાએ સાથે મળીને આ સમસ્યાનો સામનો કરવો પડશે. તેમણે ભાજપના નેતાઓને હરિયાણા અને યુપી સરકાર સાથે વાત કરીને પાણી મેળવવાની પણ અપીલ કરી હતી.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હરિયાણાની ભાજપ સરકાર પાસે એક મહિના માટે વધુ પાણી મોકલવાની માંગ કરી હતી. દિલ્હી સરકારના મંત્રીએ આરોપ લગાવ્યો કે હરિયાણા સરકારે જાણી જોઈને દિલ્હી તરફ આવતા પાણીમાં ઘટાડો કર્યો છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ જળ સંકટ માટે કેજરીવાલ સરકારના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યો છે.
દિલ્હીમાં જળ સંકટને ધ્યાનમાં રાખીને AAP સરકારે નિર્ણય લીધો હતો કે જલ બોર્ડે પાણીનો બગાડ રોકવા માટે ૨૦૦ ટીમો તૈનાત કરી છે. આ ટીમો સવારે ૮ વાગ્યાથી રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ વિસ્તારોમાં ફરશે અને પાણીનો બગાડ કરનારને ૨૦૦૦ રૂપિયાનું ચલણ આપશે. તેમજ ગેરકાયદેસર પાણીના જોડાણો કાપી નાખવામાં આવશે. કાર ધોઈને પાણીનો બગાડ કરનારાઓ સામે દિલ્હી જલ બોર્ડ કાર્યવાહી કરશે. તેમજ જો કોઈની પાણીની ટાંકી ઓવરફ્લો થતી જોવા મળશે તો તેનું ચલણ ઈશ્યુ કરવામાં આવશે. બાંધકામ કે કોમર્શિયલ હેતુ માટે ઘરેલું પાણી પુરવઠાનો ઉપયોગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :-