- યુ.કે.ના પ્રધાનમંત્રી ઋષિ સુનક હાલ જી ૨૦ સમીટમાં ભાગ લેવા માટે પોતાના પત્ની અક્ષતા મૂર્તિ સાથે ભારત પ્રવાસે આવેલાં છે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ તેઓ પોતાના પત્ની સાથે દિલ્લી અક્ષરધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતાં.
દિલ્લી અક્ષરધામ મંદિરે દર્શન કર્યા બાદ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જણાવ્યું કે, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને મને અને મારી પત્નીને ખુબ જ આંનદ થયો. ભવ્ય મંદિર અને તેમાં રહેલો શાંતિનો ભાવ અમારા મનને સ્પર્શી ગયો છે.
ઋષિ સુનકે જણાવ્યું કે આ મંદિર માત્ર એક પૂજાનું સ્થળ નથી પરંતુ હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, ભારતના સીમાચિન્હરૂપ મૂલ્યો તેમજ સ્થાપત્ય કલાનું બેનમૂન ઉદાહરણ છે.
ઋષિ સુનકે જણાવ્યું કે આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ પાઠવ્યા હતા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ગૌરવ અનુભવું છું અને હું આશા રાખું છું કે પરમ પૂજ્ય ખૂબ જ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલેમાં બીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
ઋષિ સુનકે જણાવ્યું કે, ૧૦૦ એકરમાં ફેલાયેલું આ આક્ષરધામ સ્વામિનારાયણ મંદિર સંકુલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે. જે ભારતની પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્યનું સીમા ચિન્હ છે.