રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી, જેમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
RBI ગવર્નરે શું કહ્યું?
MPCએ પણ તેની પોલિસીને ‘તટસ્થ’ જાળવી રાખી છે, જેનો અર્થ એ કે બેંક ભવિષ્યના આર્થિક ડેટાના આધારે દર વધારવા અથવા ઘટાડવા માટે સ્વતંત્ર છે. ગવર્નરે કહ્યું કે, ‘વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત છે, પરંતુ ફુગાવા પર નજીકથી નજર રાખવા માટે હાલ માટે દરો યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
ફુગાવાના અંદાજો શું છે?
RBI ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘RBIની અપેક્ષા છે કે ઉચ્ચ ક્ષમતાના ઉપયોગને કારણે પ્રાઈવેટ સેક્ટરમાં રોકાણમાં તેજી બની રહશે.’ RBI ગવર્નરે વૃદ્ધિ પર હવામાનની અસરની જાણકારી આપતા કહ્યું કે, ‘અલ નિનો પરિસ્થિતિઓની સંભાવના જોખમી હોઈ શકે છે.’ RBIએ નાણાકીય વર્ષ 2026-27 માટે CPI ફુગાવો 4.6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય વર્ષ 27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ 6.9 ટકા રહેવાની આશા છે. RBIએ બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 6.8 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. અગાઉની MPC બેઠકમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ બે ત્રિમાસિક ગાળા માટે ભારતનો આર્થિક વિકાસ અનુક્રમે 6.9 ટકા અને 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.