Home Blog Page 99

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસ બાદ જ કરી શકશો નવી બુકિંગ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવ આજે પણ યથાવત રહ્યા છે. જો કે, કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ ₹૩,૦૦૦ને વટાવી ગયા છે.

LPGના આજના ભાવ

આજના ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં ઘરેલુ ગેસના ભાવ ₹913 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3071.50 છે, જ્યારે મુંબઈમાં ઘરેલુ ગેસના ભાવ ₹912.50 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3024 છે. તો અમદાવાદમાં ઘરેલુ ગેસના ભાવ ₹920 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3091 છે.

સરળ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે કેટલાક તર્કસંગત નિયમો લાગુ કર્યા છે. હવે શહેરી વિસ્તારોમાં તમે છેલ્લા સિલિન્ડર પછી 25 દિવસથી વહેલા બીજો સિલિન્ડર બુક કરી શકશો નહીં, પહેલા આ સમયગાળો 21 દિવસનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો 45 દિવસનો રહેશે. ઘરેલુ ગેસની કાળાબજારની રોકવા માટે સરકારે 98% ઓનલાઈન બુકિંગ અને 94% DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી સુનિશ્ચિત કરી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી, તેથી નાગરિકોએ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક કરવો નહીં.

બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ

ગેસના ભાવમાં સંભવિત વધારાની આશંકા વચ્ચે લોકોએ ગભરાટમાં ગેસ સિલિન્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે. પરિણામે લોકોને હવે બુકિંગ કર્યા પછી પણ નવો ગેસ સિલિન્ડર મેળવવા માટે 3 થી 5 દિવસ રાહ જોવી પડી રહી છે.

સરકારે ગેસ ગેસ વિતરણ માટે પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કર્યું છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં હોસ્પિટલો અને શાળાઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. આવશ્યક ઉદ્યોગો જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને કૃષિ ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. દૈનિક વેતન મેળવતા મજૂરો અને કામદારોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે નાના 5 કિલોગ્રામના સિલિન્ડર માટેનો ક્વોટા બમણો કરવામાં આવ્યો છે.

સુરતના કાકરાપાર ડેમમાં દુર્ઘટના, નાહવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડેમમાં નાહવા ઉતરેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતા વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે યુવકોનો એક જૂથ કાકરાપાર ડેમ ખાતે ફરવા અને નાહવા માટે ગયો હતો. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનો ભારે પ્રવાહ અને વધારે ઊંડાણ હોવાના કારણે ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બચાવ કામગીરી ચાલુ

ઘટનાની માહિતી મળતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ડેમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવ ટીમો બોટ અને અન્ય સાધનોની મદદથી યુવકોની શોધખોળ કરી રહી છે.

તંત્રની લોકોને અપીલ

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ડેમ, નદી અને અન્ય ઊંડા જળાશયોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ અને પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને આવા સ્થળોએ નાહવા ન જવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોદીની સલાહ છતાં ચાંદી અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હોવા છતાં મંગળવારે કોમોડિટી માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 12 મેના દિવસે ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કીંમત લગભગ 1.5 ટકા વધીને એક કિલોના 282463 પર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 0.3 ટકાના ઉછાળા સાથે કીંમત 10 ગ્રામના 154150 ઉપર પહોંચી ગઈ હતી.  

પેપર લીક વિવાદને કારણે 3 મેએ યોજાયેલી NEET (UG) 2026  પરીક્ષા રદ

0

પેપર લીકના વિવાદને પગલે 3 મે, 2026 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET (UG) 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. NEET UG પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.  

NTA એ જણાવ્યા અનુસાર, 8 મેના રોજ, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી, ત્યારબાદ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત થયેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. પેપર લીકની સીબીઆઈ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા અને નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NTA અનુસાર, NEET UG 2026 પરીક્ષા હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. નવી પરીક્ષા તારીખ, પ્રવેશ કાર્ડ જારી કરવાનું સમયપત્રક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ટૂંક સમયમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો પર જાહેર કરવામાં આવશે. NTA એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અપીલ કરી છે.

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ NEET પેપર લીક કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરી છે. ઘણા રાજ્યોમાં દરોડા અને પૂછપરછ ચાલુ છે. સોમવાર સુધીમાં, આ કેસમાં 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી.

આ વર્ષે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓએ  NEET પરીક્ષા આપી હતી. રાજસ્થાન પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) હવે પેપર લીક કેસમાં તપાસ કરી રહ્યું છે. તેમની તપાસ હેઠળ પ્રથમ, પ્રશ્નપત્ર છાપતી વખતે અને પ્રેસમાં પહોંચાડતી વખતે પેપર લીક થયું હોઈ શકે છે. બીજું, તપાસ એજન્સીઓને શંકા છે કે પ્રશ્નપત્ર લીક કરનાર કોઈ વ્યક્તિ દ્વારા પેપર સેટ કરવામાં આવ્યું હશે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તપાસ CBIને સોંપી છે.

વડાપ્રધાન મોદીએ સોમનાથના દર્શન કરી દેશને કોઈ તાકાત ઝુકાવી ન શકે એવો કર્યો હૂંકાર

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક, સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક સમારોહ યોજાયો હતો. તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પોતાના ભાષણમાં, પીએમ મોદીએ જણાવ્યું હતું કે 1951માં સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ અને અભિષેક ભારતની સ્વતંત્ર ભાવનાની ઘોષણા હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી વિશ્વને સંદેશ મળ્યો કે ભારત માત્ર સ્વતંત્ર જ નથી પણ તેનું પ્રાચીન ગૌરવ પાછું મેળવવાના માર્ગ પર પણ છે.

તેમણે દેશને કોઈ તાકાત ઝુકાવી નહીં શકે એવો હૂંકાર કર્યો હતો.

મુંબઈની પ્રખ્યાત તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી

0

મુંબઈની પ્રખ્યાત તાજ હોટલ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા શખ્સે ફોન કરીને બંને હોટલોમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. બંને હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સુરક્ષા કડક બનાવી દેવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં થોડા જ કલાકોમાં ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરી લીધું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલ સાયન વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો.

૨૬/૧૧ના આતંકવાદી હુમલાની યાદોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ કોઈપણ જોખમ લેવા તૈયાર નહોતી. હોટલના સ્ટાફ અને મહેમાનોને સાવચેત કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તાર પર કડક નજર રાખવામાં આવી રહી હતી.

હાલ પોલીસ આરોપીની ઓળખ, તેની મન્સા અને કોલ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તેની દિશામાં સઘન તપાસ કરી રહી છે.

બોગસ ડિગ્રી કૌભાંડ: બનાવટી સર્ટિફિકેટથી નોકરી મેળવનારી મહિલાને 3 વર્ષની સજા

નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને ત્રણ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. વર્ષ 2009માં નોંધાયેલા આ કેસમાં અદાલતે આરોપી રાજીબેન પરબતભાઈ બોરખતરીયાને દોષિત ઠેરવી અંતિમ ચુકાદો આપ્યો છે.

કેસ મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી રાજીબેન બોરખતરીયાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં વિદ્યાસહાયક તરીકે ભરતી માટે અરજી કરી હતી. તેણે બૃહદ ગુજરાત સંગીત સમિતિનું ‘સંગીત વિશારદ’ (બી.એ. સમકક્ષ)નું વર્ષ 2006માં પાસ કર્યું હોવાના બનાવટી ગુણપત્રક અને પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેને વિદ્યાસહાયક તરીકે નોકરી મળી ગઈ હતી.

પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ દસ્તાવેજો શંકાસ્પદ લાગતાં તેની ખરાઈ માટે બૃહદ ગુજરાત સંગીત સમિતિનો સંપર્ક કર્યો હતો. તપાસમાં ખુલ્યું કે રજૂ કરેલા તમામ પ્રમાણપત્રો સંપૂર્ણપણે ખોટા અને બનાવટી હતા. આ કૌભાંડ બહાર આવતા નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારી મદદનીશ વકીલ ડો. સ્મિતા પ્રજાપતિએ પુરાવાઓ સાથે મજબૂત દલીલો કરી હતી. ન્યાયાધીશ એસ.એચ. ચાવડાએ સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા અને ત્રણ વર્ષની સખત કેદ સાથે રૂ. 5,000નો દંડ ફટકાર્યો.

આ કેસમાં સહ-આરોપી મનીષકુમાર શંભુભાઈ રાછડિયાનું ટ્રાયલ દરમિયાન અવસાન થઈ જતાં તેમના વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો હતો.

બંગાળમાં ચૂંટણી બાદ હિંસા યથાવત: પાણીહાટીમાં બોમ્બ હુમલો, 5 ભાજપ કાર્યકર ઘાયલ

0

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના પાણીહાટી વિસ્તારમાં ભાજપ કાર્યકરો પર દેશી બોમ્બ ફેંકાતા ઓછામાં ઓછા પાંચ કાર્યકર ઘાયલ થયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો શુભેંદુ અધિકારીના લાંબા સમયથી ખાનગી સહાયક રહેલા ચંદ્રનાથ રથની હત્યાના થોડા કલાકો બાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના મધરાત બાદ પાણીહાટી નગરપાલિકાના વોર્ડ નંબર 2માં દત્તા રોડ પર બની હતી.

સતત ત્રણ બોમ્બ ફેંકાયા
માહિતી મુજબ, કેટલાક ભાજપ કાર્યકરો સામાન્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઉપદ્રવીઓ બાઈક પર સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બાઈક પર આવેલા ચાર લોકોએ ત્યાં હાજર ભાજપ કાર્યકરો પર બોમ્બ ફેંક્યા હતા. સતત ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા બાદ ઉપદ્રવીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં પાંચ ભાજપ કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વિસ્તારમાં તણાવ ફેલાયો
આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. ઘાયલોને ગંભીર હાલતમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ખરદાહ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કેન્દ્રીય દળો પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. ખરદાહ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

‘15 વર્ષના મહા જંગલરાજનું પરિણામ’: શુભેંદુ અધિકારી
મધ્યમગ્રામ ઘટનાની પ્રતિક્રિયા આપતાં શુભેંદુ અધિકારીએ ખરદાહમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી બદલો લેવાની રાજનીતિ ચાલી રહી છે. આ 15 વર્ષના મહા જંગલરાજનું પરિણામ છે. ગઈ રાત્રે ખરદાહમાં બોમ્બ વિસ્ફોટ થયો અને બસીરહાટમાં ભાજપ કાર્યકરો પર ગોળીબાર કરવામાં આવ્યો. હિંસા માટે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે.”

ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર પાણીહાટીમાં બોમ્બ વિસ્ફોટ કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ વિસ્તાર મધ્યમગ્રામથી લગભગ 7 કિલોમીટર દૂર છે, જ્યાં શુભેંદુ અધિકારીના ખાનગી સહાયકની તેમના ઘરે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે તૃણમૂલ સાથે જોડાયેલા ઉપદ્રવીઓએ આ બોમ્બ હુમલો કર્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે આ ઘટના અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

અનેક જગ્યાઓ પરથી હિંસાના અહેવાલ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થયા બાદથી રાજ્યભરમાં હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલીક ઘટનાઓમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની મારપીટ કરવામાં આવી હતી. તેમના પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પાર્ટીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ ભાજપ કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી અનેક ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું છે કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ બદલીનો ધમધમાટ: ગુજરાતના 14 PIને ACBમાં મુકાયા

0

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ ફરી બદલીનો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ૧૪ PI ઠાવીને ACBમાં મૂકી દેવામાં આવ્યા હતા.આ બદલીને પગલે પોલીસ વિભાગમાં નવી ગોઠવણી અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ઈન્ટેલીજન્સ, પી વાય ચિત્તે એમ કે પટેલ – ખેડા, બી એન મોઢવાડિયા – પંચમહાલ, બી કે ચાવડા – દાહોદ, એમ એચ પઠાણ- પી ટી એસ વડોદરા, એન એમ તલાટી – પી ટી એસ વડોદરા, એસ કે ચારેલ – મોરબી, આર સી કાનમીયા – પોરબંદર, એસ એમ પટાણ – ભાવનગર, એચ વી. ચૌધરી – સી આઈ ડી ક્રાઈમ, જે એન ચાવડા સુરત ગ્રામ્ય, એસ એમ લાસન- સાબરકાંઠા, ડી આર બારૈયા – સુરેન્દ્રનગર, પી સી મોલીયા – જી પી એ કરાઈની જાહેરહિતમાં એસીબીમાં બદલી કરવામાં આવી હતી.

આ પગલાંથી ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. ACBમાં અનુભવી અધિકારીઓની નિમણૂંકથી તપાસની પ્રક્રિયા વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બદલી નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ તેની પાછળ કાર્યક્ષમતામાં સુધારો અને વિભાગીય સંકલન મજબૂત કરવાનો હેતુ છે. નવી જગ્યાએ નિમણૂક મળેલા અધિકારીઓને તાત્કાલિક ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફારોને કારણે પોલીસ તંત્રમાં નવી ઊર્જા અને કાર્યપદ્ધતિમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતના કામરેજમાં ઝાડા-ઉલ્ટીનો કહેર: 13 વર્ષીય કિશોરનું મોત, આરોગ્ય વિભાગ એલર્ટ

સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે 13 વર્ષીય કિશોરનું મોત થતા વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. હળધરુ ગામમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારના દીકરાને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ અચાનક ઝાડા અને ઉલ્ટીના લક્ષણો ગંભીર બનતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બીજી તરફ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. લોકોને સ્વચ્છ પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.