સુરતના કામરેજ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે 13 વર્ષીય કિશોરનું મોત થતા વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. હળધરુ ગામમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારના દીકરાને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. ત્યારબાદ અચાનક ઝાડા અને ઉલ્ટીના લક્ષણો ગંભીર બનતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બીજી તરફ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. લોકોને સ્વચ્છ પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.