Home Blog Page 81

ફ્રાન્સ-બ્રિટનમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટવેવથી 7 લોકોના મોત

પશ્ચિમી યુરોપ હાલમાં તેજ હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ અને યુકેમાં મે મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને ફ્રાન્સમાં તો ગરમીના લીધે સાતના મોત થયા છે. અહેવાલ મુજબ ઉત્તર આફ્રિકાથી યુરોપ તરફ આવેલી ગરમ હવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેટલાય સ્થળે તાપમાન એટલું વધ્યું છે કે હીટડોમ કહેવાય છે.

બ્રિટનમાં વિક્રમજનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે દક્ષિણ-પશ્ચિમ લંડનમાં તાપમાન 34.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જૂના રેકોર્ડથી બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આટલી ગરમી સામાન્ય રીતે ઉનાળાના દિવસો દરમિયાન જોવા મળે છે. જ્યારે મેમાં લંડનનું સરેરાશ તાપમાન ૧૭થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે મંગળવારની રાત મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે રેકોર્ડ કરવામાં આવી.

ફ્રાન્સમાં પણ સ્થિતિ ગંભીર છે. દેશની હવામાન એજન્સી મેટિયો ફ્રાન્સે જણાવ્યું હતું કે સોમવારનો દિવસ મે મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જે ચેતવણીનું બીજા નંબરનું સ્તર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાય વિસ્તારોમાં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરિસમાં શનિવારનું તાપમાન ૩૧.૯ ડિગ્રી નોંધાયું હતું.

આ વર્ષે પેરિસમાં પહેલી વખત તાપમાન 30 ડિગ્રીના ઉપર ગયું. હીટવેવથી જર્મની, સ્પેન અને ઇટાલી પણ બાકાત રહી શક્યા ન હતા. જર્મનીમાં આ વર્ષે પહેલી વખત તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે. સ્પેનમાં પણ સ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સ્પેનમાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીને સ્પર્શી શકે છે. ઇટાલીમાં તો ગરમીના લીધે કેટલાય વિસ્તારોમાં ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હાતો, પરંતુ આ વર્ષે ગરમી વહેલા શરૂ થઈ ગઈ છે.

ભારતમાં ઇબોલાનો ખતરો? યુગાન્ડાથી આવેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો બાદ એલર્ટ

0

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાઈરસે ભારતમાં દસ્તક દીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાઈરસના અત્યંત ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.

ઇબોલા વાઈરસને તબીબી જગતમાં કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 50% થી લઈને 90% સુધી પહોંચી શકે છે. આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ, હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો ફેલ થઈ જાય છે.

આ વાઈરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. ચિંતાની વાત એ છે કે આ વાઈરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી કે દવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે. આ પૂર્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કારણે 200 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1,000 થી વધુ કેસ નોંધાયા છે.

ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જતાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કડક સ્ક્રિનિંગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

SIR પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ રાજકીય ગરમાવો, કોંગ્રેસે ઉઠાવ્યા મતદાતાઓના અધિકારોના મુદ્દા

0

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અને કાયદા મુજબ ચાલી રહી છે. બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ રાજકીય પક્ષોમાં ચર્ચા તેજ બની ગઈ છે. બિહાર કોંગ્રેસે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે અને મતદાતાઓના અધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડો. સ્નેહાશીષ વર્ધને કહ્યું કે SIR પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ઉતાવળમાં મતદાતાઓને તેમના મતાધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય મતદાતાઓના હકોનું હનન ન થાય અને આ પ્રક્રિયા હેઠળ એકપણ માન્ય મતદાતાના અધિકારોનો ભંગ ન થાય, તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે પણ નિભાવવી જોઈએ.

નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ
તેમણે કહ્યું કે જનતાના અધિકારોની રક્ષા માટે સામાન્ય લોકો આશાભરી નજરે અદાલતો તરફ જુએ છે. આવી સ્થિતિમાં મતદાતાઓના અધિકારો સુરક્ષિત રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ડો. સ્નેહાશીષ વર્ધને જણાવ્યું કે અમે સતત માન્ય મતદાતાઓના નામ કાપવાની પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. લોકશાહીની મજબૂતી માટે દરેક મત મહત્વનો છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી સતત મતદાતાઓના અધિકારો માટે લડ્યા છે. કોંગ્રેસ પાર્ટી દેશના દરેક માન્ય મતદાતાના અધિકારોનું હનન થવા દેશે નહીં.

દીપક પ્રકાશે SIRને નિયમિત પ્રક્રિયા ગણાવી
બીજી તરફ, બિહાર સરકારના પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, “SIR કોઈ મુદ્દો નથી. SIR એક નિયમિત પ્રક્રિયા છે. જ્યારે જ્યારે ચૂંટણી પંચને મતદાર યાદીમાં સુધારો કરવાની જરૂર લાગી છે, ત્યારે ત્યારે SIR કરવામાં આવ્યું છે. અગાઉ પણ થયું છે અને આગળ પણ થતું રહેશે.”

તેમણે વધુમાં કહ્યું કે વિરોધ પક્ષ બિનજરૂરી રીતે તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. “બિહારમાં પણ તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ થયો હતો અને પશ્ચિમ બંગાળમાં પણ આવું થયું હતું. પરિણામ સૌના સામે છે. આ માત્ર નિયમિત કામગીરી છે અને તેને લઈને બિનજરૂરી મુદ્દો ઉભો કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.”

આસારામને બાળકના યૌન ઉત્પીડન મામલે નિર્દોષ, સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા યથાવત

0

સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે ગેંગરેપ અને બાળકના સામૂહિક યૌન ઉત્પીડનના કેટલાક આરોપોમાં તેમને રાહત આપી છે, જોકે સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય કેસમાં તેમની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણય બાદ લોકોમાં ફરી પ્રશ્નો ઊભા થયા છે કે આખો કેસ શું હતો, આસારામ કોણ છે અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે.

હાઈકોર્ટે કયા આરોપોમાં રાહત આપી?
રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આસારામને IPCની કલમ 376(D) હેઠળના ગેંગરેપના આરોપ અને પોક્સો કાયદાની કલમ 5(G)/6 હેઠળના બાળકના સામૂહિક યૌન શોષણના આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ઉપરાંત કોર્ટે આપરાધિક ષડયંત્ર સાથે જોડાયેલી IPC કલમ 120(B) હેઠળ પણ તેમને દોષમુક્ત જાહેર કર્યા છે. જોકે, સગીરા સાથે દુષ્કર્મના મુખ્ય આરોપમાં તેમની સજા યથાવત રાખવામાં આવી છે. એટલે કે આસારામ સામેની આજીવન કેદની સજા ચાલુ જ રહેશે.

હાલ આસારામ ક્યાં છે?
હાલ આસારામ અસ્થાયી જામીન પર બહાર છે. સોમવારે અદાલતે તેમના આગોતરા જામીનની મુદત વધુ લંબાવી હતી. આરોગ્ય કારણોસર તેમને સમયાંતરે તાત્કાલિક રાહત આપવામાં આવતી રહી છે.

આખો કેસ શું હતો?
આ મામલો વર્ષ 2013માં સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની એક સગીરાએ આસારામ પર જોધપુર સ્થિત આશ્રમમાં બોલાવી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આસારામની ધરપકડ કરવામાં આવી હતી અને લાંબી કાનૂની કાર્યવાહી બાદ 2018માં જોધપુરની વિશેષ પોક્સો અદાલતે તેમને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

કેસ દરમિયાન આસારામ અને તેમના આશ્રમ સાથે જોડાયેલા અનેક વિવાદો સામે આવ્યા હતા. સાક્ષીઓને ધમકાવવાના અને દબાણ લાવવાના આરોપો પણ લાગ્યા હતા.

કોણ છે આસારામ?
આસારામનું મૂળ નામ અસુમલ હરપલાની છે. તેમનો જન્મ એપ્રિલ 1942માં હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના બેરાની ગામમાં થયો હતો. 1947ના ભાગલા બાદ તેમનો પરિવાર ભારતમાં આવી અમદાવાદમાં વસ્યો હતો. સાઠના દાયકામાં તેમણે લીલાશાહને પોતાના ગુરુ બનાવ્યા હતા. ત્યારબાદ તેમને “આસારામ” નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1972માં અમદાવાદ નજીક મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે તેમણે પોતાનો પહેલો આશ્રમ શરૂ કર્યો હતો. બાદમાં તેમનો આશ્રમ અને આધ્યાત્મિક પ્રભાવ ગુજરાતથી લઈને દેશના અનેક રાજ્યો સુધી ફેલાયો હતો.

દેશભરમાં ફેલાયેલું આશ્રમ નેટવર્ક
એક સમયે આસારામના દેશભરમાં સૈંકડો આશ્રમો, ગુરુકુલો અને અનુયાયીઓ હતા. લાખો લોકો તેમને આધ્યાત્મિક ગુરુ માનતા હતા. પરંતુ 2013 બાદ લાગેલા ગંભીર આરોપો અને કોર્ટ કેસોને કારણે તેમની છબી પર મોટો પ્રહાર થયો હતો. હાલ હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ ફરી એકવાર આસારામ અને તેમના કેસને લઈને ચર્ચા તેજ બની છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના જામીન કર્યા મંજૂર

અમદાવાદના ચકચારી અને સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે લાંબી કાનૂની દલીલો બાદ આરોપી તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હોવાની સત્તાવાર પુષ્ટિ તેના વકીલ દ્વારા કરવામાં આવી છે. જુલાઇ ૨૦૨૩માં બનેલી આ ભયાનક ઘટના બાદ લગભગ પોણા ત્રણ વર્ષ જેટલો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યા પછી હવે આરોપી તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે. આ જામીન આ ચકચારી કેસની કાનૂની પ્રક્રિયામાં એક ખૂબ જ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે.

આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં નિયમિતપણે કાનૂની કાર્યવાહી અને સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓ તપાસી લેવા માટે કડક સૂચના આપી હતી. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ જામીન કેસમાં એક મોટો વળાંક છે.

સુપ્રીમ કોર્ટે શું નોંધ્યું?
મહત્વનું છે કે તથ્ય પટેલના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ કોર્ટ સમક્ષ તથ્યની જામીન અરજી મૂકી હતી. 191 સાહેદ પૈકી લગભગ 29 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ જામીનની રજૂઆત મૂકવામાં આવી હતી, બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય ઉપર IPC 304ની કલમ લાગેલી છે ,પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી, મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમે કહ્યું અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. અકસ્માત બાદ તથ્ય પટેલે લગભગ 02 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા બાદ હવે જામીન પર બહાર આવશે.

શું હતી ઘટના?
19મી જુલાઈ, 2023ની રાત્રે આરોપી તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPC 279, 337, 338, 304, 308 અને મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઈરાને 10 ભારતીય નાવિકોને મુક્ત કર્યા, ભારતની કૂટનીતિને મોટી સફળતા

0

ઈરાને એમવી હાર્બર ફીનિક્સ કેસમાં કસ્ટડીમાં રાખેલા 10 ભારતીય નાવિકોને મુક્ત કરી દીધા છે. જુલાઈ 2025માં તેલ ટેન્કર એમવી હાર્બર ફીનિક્સમાંથી આ ભારતીય નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા ભારતીય કૂટનીતિક પ્રયાસો બાદ હવે તેમની સુરક્ષિત મુક્તિ શક્ય બની છે અને તેમને ટૂંક સમયમાં વતન પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જસ્ક બંદર પાસે કાર્યવાહી બાદ નાવિકોની ધરપકડ
ઈરાનનું જસ્ક બંદર ઓમાનની ખાડીમાં આવેલું છે અને હોર્મુઝ જળમાર્ગથી અંદાજે 150 કિલોમીટર દૂર છે. ઈરાનનું કહેવું છે કે તે ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તેલ લઈ જતાં જહાજો સામે કાર્યવાહી કરતું રહે છે. જોકે, એમવી હાર્બર ફીનિક્સ પર કાર્યવાહી કેમ કરવામાં આવી અને ભારતીય નાવિકોને કયા કારણોસર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

ભારતના સંકલિત પ્રયાસોથી સફળતા
ભારત સરકારે આ સમગ્ર મામલે શાંતિપૂર્ણ કૂટનીતિ અપનાવી હતી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, વિદેશ મંત્રાલય, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ અને અન્ય સંકળાયેલા વિભાગોના સંકલિત પ્રયાસોથી નાવિકોની સુરક્ષિત મુક્તિ શક્ય બની હોવાનું જણાવાયું છે.

ટૂંક સમયમાં ભારત પરત ફરશે નાવિકો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે જણાવ્યું છે કે તમામ ભારતીય નાવિકોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે જરૂરી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

મર્ચન્ટ નેવીમાં ભારતીયોની મહત્વપૂર્ણ હાજરી
વિશ્વભરમાં મર્ચન્ટ નેવીમાં કાર્યરત લોકોમાં ભારતીયોની મોટી સંખ્યા છે. ખાસ કરીને ખાડી દેશોમાં જતાં-આવતાં જહાજોમાં અનેક ભારતીયો ફરજ બજાવે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે અને દેશનું મોટાભાગનું તેલ હોર્મુઝ જળમાર્ગ અને ફારસ-ઓમાનની ખાડી મારફતે આવે છે, જે હાલમાં પશ્ચિમ એશિયાના તણાવનું કેન્દ્ર બન્યું છે.

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, અમેરિકા જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ

0

એર ઈન્ડિયાનું વધુ એક વિમાન ટેક્નિકલ ખામીના કારણે ચર્ચામાં આવ્યું છે. ભારતથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટમાં ઉડાન દરમિયાન ટેક્નિકલ સમસ્યા સર્જાતા વિમાનને તાત્કાલિક દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. આ ઘટનાના કારણે વિમાનમાં સવાર અંદાજે 230 મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લગભગ આઠ કલાક સુધી મુસાફરો ચિંતામાં રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ 777-300 ER વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ Al173, લગભગ 230 મુસાફરોને લઈને જઈ રહી હતી, જ્યારે તેને માનક સલામતી પ્રક્રિયાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાની ફરજ પડી હતી.

ભારતથી અમેરિકા જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે વિમાન આઠ કલાકથી વધુ સમય સુધી હવામાં રહ્યા બાદ દિલ્હી પરત ફર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલા આ વિમાનમાં અંદાજે 230 મુસાફરો સવાર હતા. બુધવારે સવારે ટેક્નિકલ ખામીની જાણ થતાં જ વિમાનને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ પરત ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ મામલે એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

એર ઈન્ડિયા, IGI એરપોર્ટ અને DGCAના નિવેદનની રાહ
પ્રારંભિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં ખામીની જાણ થતાં જ પાયલટ્સે ફ્લાઇટને દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) તરફ ડાયવર્ટ કરી હતી. હાલમાં એરલાઈન કંપની, એરપોર્ટ મેનેજમેન્ટ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

1,369 કરોડના બ્લિસ GVS ફાર્માનો 74.2% સુધી હિસ્સો ખરીદી સુરતની અનુપમ રસાયણે ફોર્મ્યુલેશન વ્યવસાયમાં મંગલાચરણ

0

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં જાણીતી બ્લિસ જીવીએસ ફાર્મા (Bliss GVS Pharma Ltd) કંપનીનો 74.2 ટકા હિસ્સો ખરીદીને સુરતની અગ્રણી અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ ( Anupam Rasayan India Ltd) એ ફોર્મ્યુલેશન વ્યવસાયમાં પગલું માંડીને વૈશ્વિક ફાર્મા વેલ્યુ ચેઈનમાં મજબૂત બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આફ્રિકા-લેટિન અમેરિકામાં નિયમિત અને અર્ધ-નિયમિત બજારોમાં મજબૂત સ્થાન ધરાવતી ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની તરીકે જાણીતી બ્લિસ GVS ફાર્મા કંપનીની સ્થાપના 1984 માં થઈ હતી. ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ક્ષેત્રે બ્લિસ જીવીએસ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના બજારોમાં કંપનીની સારી પકડ છે. કંપની સપોઝિટરી અને પેસરીઝ સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને US FDA, WHO-GMP અને EU-GMP જેવી આંતરરાષ્ટ્રીય મંજૂરી પ્રાપ્ત છે.

આફ્રિકા તથા લેટિન અમેરિકામાં ટોચનું સ્થાન ભોગવતી બ્લિસ જીવીએસ ફાર્મા કંપની સાથેના 1369 કરોડના સોદા સાથે અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ કંપની હવે સ્પેશિયાલિટી કેમિકલ્સ સાથે ફિનિશ્ડ ડોઝેજ ફોર્મ્યુલેશન બિઝનેસમાં આગળ વધશે. કંપનીએ કરેલી જાહેરાત મુજબ પ્રથમ તબક્કામાં બ્લિસ GVS ફાર્માના 299 રૂપિયાના ભાવે શેર ખરીદી 43.3 ટકા ઇક્વિટી હિસ્સેદારી કરશે. એ માટે અનુપમ રસાયણ કંપની 1369 કરોડ રૂપિયાનું રોકાણ કરીને હિસ્સો લેશે. સેબી નિયમો મુજબ જાહેર શેરહોલ્ડરો પાસેથી વધારાના 26 ટકા હિસ્સા માટે પણ ઓપન ઓફર લાવવામાં આવશે.

અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડની લાંબા ગાળાની ઇન્ટિગ્રેટેડ લાઇફ સાયન્સ અને સ્પેશિયાલિટી ફાર્મા પ્લેટફોર્મ બનાવવાની વ્યૂહરચનાનો ભાગરૂપે આ સોદો કરવામાં આવ્યો છે. કંપનીના વિઝન મુજબ બ્લિસ સાથેના સોદાથી કંપનીની હાજરી કી સ્ટાર્ટિંગ મટીરિયલ્સથી લઈને ફિનિશ્ડ ડોઝેજ ફોર્મ્યુલેશન સુધી સમગ્ર ફાર્મા વેલ્યુ ચેઇનમાં અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડનો પ્રભાવ વધશે.

અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈના જણાવ્યા પ્રમાણે આ સોદાથી વધુ વ્યાપક અને ઇન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી થશે. સાથે જ બેકવર્ડ ઇન્ટિગ્રેશન મજબૂત બનશે અને વૈશ્વિક ગ્રાહકો સાથે કંપનીની પહોંચ વધશે. આ સોદા સાથે જ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના યુરોપ અને અમેરિકામાં વિસ્તરણની વધુ સારી તક ઊભી થશે. આ સોદાથી બંને કંપનીઓના સંયોજનથી પ્રોડક્ટ ઓફરિંગમાં વધારો, રેગ્યુલેટેડ માર્કેટમાં વધુ મજબૂત હાજરી અને નવીનતાને ગતિ મળશે, તેને પગલે યુરોપ અને અમેરિકા જેવા બજારોમાં કંપનીના બિઝનેસના વિકાસ માટે આ સોદો મહત્વપૂર્ણ સાબિત થશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ સોદા માટેના નાણાં 300 કરોડની ટર્મ લોન લેવામાં આવશે, જ્યારે બાકીના નાણાં નોન કંટ્રોલિંગ નોન વોટીંગ ઈક્વિટી ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા ઊભા કરાશે.

ઇબોલા વાયરસને લઈને અમદાવાદમાં એલર્ટ, AMCએ શરૂ કરી ખાસ તૈયારી

0

આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ આવેલા 11 લોકોને હાલ તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ તમામ લોકો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ ત્રણ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

ઇબોલા જેવી ગંભીર ચેપી બીમારીને ધ્યાનમાં રાખીને અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે ખાસ 60 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલ સ્ટાફ અને તંત્રને પણ જરૂરી માર્ગદર્શિકા આપી છે.

ઇબોલા વાયરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થતાં કેન્દ્ર સરકારે પણ સાવચેતી વધારી છે. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત આરોગ્ય નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

રોગના સંક્રમણને રોકવા માટે DGCA અને સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમામ એરલાઇન્સ અને સંબંધિત એજન્સીઓને મુસાફરોની કડક સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

કયા દેશો છે હાઈ-રિસ્કમાં?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનને ‘હાઈ-રિસ્ક’ એટલે કે ઉચ્ચ જોખમવાળા દેશોની શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવાની રહેશે. દિલ્હી એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (APHO) દ્વારા આ અંગેની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

વાયરસના લક્ષણો શું છે?
મુસાફરોએ તાવ, નબળાઈ, થાક, માથાનો દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો જેવા લક્ષણો પર ધ્યાન આપવું પડશે, આ ઉપરાંત ઉલ્ટી, ઝાડા, ગળામાં દુખાવો અને રક્તસ્ત્રાવ પણ ઇબોલાના લક્ષણો હોઈ શકે છે. જો કોઈ મુસાફરમાં આવા લક્ષણો દેખાય, તો તેણે તરત એરપોર્ટ અધિકારીઓને જાણ કરવી જોઈએ.

એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું?
એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફર કોઈ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે એરપોર્ટ હેલ્થ અધિકારીઓને તરત જાણ કરવી અને આગમન પછી 21 દિવસની અંદર તબીબી મદદ લેવી જોઈએ.

મુસાફરો માટે સલાહ
સરકારે મુસાફરોને સલાહ આપી છે કે ભારતમાં આવ્યા બાદ 21 દિવસની અંદર જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય, તો તેઓ તરત ડૉક્ટરની સલાહ લે. ડૉક્ટરને પોતાની તાજેતરની મુસાફરી અંગે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. મુસાફરોને પોતાની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોના પાલન માટે એરપોર્ટ પર થતી આરોગ્ય તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ચૂંટણી પંચને SIR કરવાની સત્તા છે, પ્રક્રિયામાં કોઈ ખામી નથી: સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે. કોર્ટે કહ્યું કે આ પ્રક્રિયા બંધારણ અને કાયદા અનુસાર છે. સરળ શબ્દોમાં કહીએ તો કોર્ટ માને છે કે SIR કરવું એ ચૂંટણી પંચનો અધિકાર છે અને તે સચોટ અને પારદર્શક મતદાર યાદીઓ જાળવવામાં મદદ કરે છે. તે એક કાયદેસર અને બંધારણીય પ્રક્રિયા છે. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે કાયદા અનુસાર SIR કર્યું હતું અને આ પ્રક્રિયામાં કોઈ ખામીઓ નહોતી. ચૂંટણી પંચએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો નથી.

બિહારમાં ચૂંટણી પંચના મતદાર યાદીઓના ખાસ ઇન્ટેન્સિવ રિવિઝનને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલા બાગચીની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

SIR નાગરિકતા નક્કી કરતું નથી
સુપ્રીમ કોર્ટના મતે ચૂંટણી પંચને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 16 હેઠળ મતદાર યાદીમાં સુધારો અને સુધારો કરવાની સત્તા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેસના વિગતવાર વિશ્લેષણ પછી, તે સ્પષ્ટ છે કે SIR નો હેતુ કાયદેસર અને બંધારણીય રીતે વાજબી છે. કોર્ટના મતે, આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીઓની ચોકસાઈ, સંપૂર્ણતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ ઉમેરવાની કે કાઢી નાખવાની પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાને આધીન છે. કોર્ટના મતદાર યાદીમાંથી જો કોઈ વ્યક્તિની નાગરિકતા પર શંકા હોય, તો ચૂંટણી પંચ તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ભારતીય નાગરિક રહી જતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો ફક્ત મતદાનના અધિકારનો છે, નાગરિકતાના નિર્ધારણનો નહીં.

સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં, ચૂંટણી પંચ વ્યક્તિને યોગ્ય ટ્રિબ્યુનલમાં મોકલી શકે છે. વધુમાં, કોઈપણ કારણોસર મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની બાબતને અંતિમ ગણવામાં આવશે નહીં પરંતુ તે સંબંધિત સત્તાધિકારીના અંતિમ નિર્ણય પર આધાર રાખશે.

સુનાવણી દરમિયાન, કોર્ટે અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પાસે ચોક્કસપણે મતદાર યાદીમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ આ સત્તા “અમર્યાદિત” હોઈ શકે નહીં. આ પ્રક્રિયા પારદર્શિતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ચૂંટણી પંચ એવા લોકોના કેસોને નાગરિકતા અંગે નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાની અંદર સંબંધિત સત્તાવાળાને મોકલે. કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળા આવા કેસોમાં નોટિસ જારી કરશે, અસરગ્રસ્ત વ્યક્તિને સુનાવણીની સંપૂર્ણ તક આપશે અને વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં દાવાઓ પર નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો સક્ષમ સત્તાવાળા કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક તરીકે માન્યતા આપે છે, તો તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું ફરજિયાત રહેશે.

કઈ અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી?
ગયા વર્ષે SIR ને પડકારતી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં બિન-સરકારી સંસ્થાઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL), તેમજ રાજકીય કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે.

સાંસદો મહુઆ મોઇત્રા, મનોજ ઝા, કે.સી. વેણુગોપાલ, સુપ્રિયા સુલે અને મુજાહિદ આલમે પણ અરજીઓ દાખલ કરી હતી.

આ ઉપરાંત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન સહિત અનેક અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓએ પણ આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારોના મતે SIR પ્રક્રિયાએ હાલના મતદારો પર તેમની નાગરિકતા સાબિત કરવાનો બોજ નાખ્યો, જેના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ જેને તેઓએ “સ્થગિત નાગરિકતા” પ્રણાલી તરીકે વર્ણવી.

SIR પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું મહત્વ
આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે સુધારેલી મતદાર યાદીઓના આધારે પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીઓ થઈ ચૂકી છે. SIR પ્રક્રિયા સૌપ્રથમ જૂન 2025 માં બિહારમાં લાગુ કરવામાં આવી હતી.

આ કવાયત બાદ, મૃત મતદારો સહિત 6 મિલિયનથી વધુ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પહેલા આશરે 9 મિલિયન મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.