Home Blog Page 7

PM CARES ફંડનો ડેટા જાહેર: એક વર્ષમાં ₹1,279 કરોડનો વધારો, જાણો હાલ કેટલું છે બેલેન્સ

0

PM CARES Fundમાં એક જ વર્ષમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. તાજા ઓડિટેડ હિસાબો મુજબ માર્ચ 2025 સુધીમાં ફંડનું કુલ બેલેન્સ વધીને ₹8,452.07 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં આ રકમ ₹7,173.03 કરોડ હતી. દરમિયાન ફંડમાં દાન, વ્યાજ અને રિફંડ સહિતની આવક થઈ હતી, જ્યારે ખર્ચ માત્ર ₹87.85 લાખ રહ્યો હતો.

ઓડિટેડ વિગતો પ્રમાણે ફંડની કુલ રકમમાંથી લગભગ 92.8 ટકા એટલે કે ₹7,846.66 કરોડ શેડ્યૂલ્ડ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યા હતા. 2024-25 દરમિયાન ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ફંડને ₹469.38 કરોડનું વ્યાજ મળ્યું હતું. જ્યારે સેવિંગ્સ બેંક ખાતામાંથી ₹5.77 કરોડનું વ્યાજ મળ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ફંડને ₹479.04 કરોડનું ઘરેલુ દાન મળ્યું હતું. વિદેશી દાન તરીકે ₹92.83 લાખ મળ્યા હતા. આ ઉપરાંત અમલીકરણ એજન્સીઓ પાસેથી ₹324.66 કરોડ રિફંડ તરીકે મળ્યા હતા. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર TDSના રિફંડ તરીકે પણ ₹13.49 લાખ મળ્યા હતા.

PM CARES Fundની સ્થાપના 27 માર્ચ 2020ના રોજ COVID-19 મહામારી જેવી કટોકટીની સ્થિતિમાં રાહત અને સહાય માટે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. 2020-21માં ફંડનો મોટાપાયે ઉપયોગ કોરોના સંબંધિત કામગીરી માટે થયો હતો. આ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કન્સન્ટ્રેટર, કોવિડ હોસ્પિટલ અને અન્ય તબીબી સાધનો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો.

2021-22માં ફંડનું ક્લોઝિંગ બેલેન્સ ₹5,415.66 કરોડ રહ્યું હતું. ત્યારબાદ 2022-23માં તે વધીને ₹6,283.68 કરોડ અને 2023-24માં ₹7,173.03 કરોડ થયું હતું. હવે માર્ચ 2025 સુધીમાં બેલેન્સ ₹8,452.07 કરોડ પર પહોંચી ગયું છે.

આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ફંડનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જ્યારે બેલેન્સમાં સતત વધારો નોંધાયો છે.

17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, પરંતુ ખેલ રત્ન માટે કેમ કોઈ નામ નહીં?

0

ભારતીય રમતજગત માટે આજનો દિવસ સન્માન અને ચર્ચા બંને લઈને આવ્યો છે. એક તરફ તેજસ્વિન શંકર, દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાથી સહિત 17 ખેલાડીઓના નામ અર્જુન પુરસ્કાર માટે જાહેર થયા, તો બીજી તરફ દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે આ વર્ષે કોઈ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો નથી. 2025ના નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની આ જાહેરાતે રમતપ્રેમીઓનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025ની જાહેરાત કરી હતી. પસંદગી પ્રક્રિયા પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. અર્જુન પુરસ્કાર સતત ચાર વર્ષના ઉત્કૃષ્ટ પ્રદર્શન ઉપરાંત નેતૃત્વ, રમતગમતની ભાવના અને શિસ્ત માટે આપવામાં આવે છે.

આ વર્ષે અર્જુન પુરસ્કાર મેળવનાર 17 ખેલાડીઓમાં એથ્લેટિક્સના તેજસ્વિન શંકર, મુહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામી, બેડમિન્ટનની ટ્રીસા જોલી અને પુલેેલા ગાયત્રી ગોપીચંદ, બોક્સિંગના નરેન્દ્ર, ચેસના વિદિત સંતોષ ગુજરાથી અને દિવ્યા જિતેન્દ્ર દેશમુખનો સમાવેશ થાય છે. ઉપરાંત ધનુષ શ્રીકાંત, લાલરેમસિયામી, રાજકુમાર પાલ, સુર્જીત, પૂજા, રુદ્રાંશ ખંડેલવાલ, એકતા ભ્યાન, અરવિંદ સિંહ અને અખિલ શેઓરાનને પણ સન્માન મળશે.

ફૂટબોલમાં લાંબા સમયની સેવાઓ બદલ આઈ. અરુમૈનાયગમને અર્જુન પુરસ્કાર (લાઇફટાઇમ) આપવામાં આવ્યો છે. તેમના સિવાય ત્રણ નિયમિત અને બે લાઇફટાઇમ કેટેગરીમાં કુલ પાંચ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર મળશે. પુણેની આર્મી પેરાલિમ્પિક નોડને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવી છે.

આ રીતે 2025ના એવોર્ડ્સમાં અનેક ખેલાડીઓ અને કોચની સિદ્ધિઓને માન્યતા મળી, પરંતુ Khel Ratna માટે કોઈ નામ જાહેર ન થવું આ વર્ષની સૌથી મોટી ચર્ચા બની છે.

રેલવે સ્ટેશનનું પાણી પીવું ભારે પડી શકે? CAG ઓડિટમાં સામે આવી મોટી બેદરકારી

0

રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા એક ગ્લાસ પાણી પીવું સામાન્ય વાત છે, પરંતુ હવે આ જ પાણી અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. CAGના પરફોર્મન્સ ઓડિટમાં કેટલાક રેલવે સ્ટેશનોના પીવાના પાણીમાં E. coli સહિત કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ 512 સ્ટેશનોની તપાસમાં માત્ર 54 સ્ટેશનો એટલે કે 11 ટકા પર જ તમામ ન્યૂનતમ જરૂરી સુવિધાઓમાં કોઈ ખામી મળી નહોતી.

CAGએ 2019-20થી 2023-24 દરમિયાન નોન-સબર્બન રેલવે સ્ટેશનો પર પેસેન્જર એમેનિટીઝ અને સેનિટેશનની સ્થિતિનું ઓડિટ કર્યું હતું. 512 પસંદ કરાયેલા સ્ટેશનોમાં પીવાનું પાણી, વેઇટિંગ હોલ, બેઠકો, યુરિનલ, ટોયલેટ, પ્લેટફોર્મ શેલ્ટર, વોટર કૂલર સહિતની Minimum Essential Amenitiesની તપાસ કરવામાં આવી હતી. માત્ર 54 સ્ટેશનો જ નિર્ધારિત ધોરણ મુજબ તમામ સુવિધાઓ પૂરી કરતા જોવા મળ્યા.

ઓડિટમાં જાણવા મળ્યું કે 143 સ્ટેશનોમાં પીવાના પાણીના નળમાં ઘટાડો, 111 સ્ટેશનોમાં યુરિનલની અછત, 59 સ્ટેશનોમાં ટોયલેટના ધોરણમાં ખામી અને 128 સ્ટેશનોમાં વોટર કૂલરની અછત જોવા મળી હતી. પ્લેટફોર્મ શેલ્ટરમાં પણ 62 સ્ટેશનો પર ધોરણથી ઓછું કવરેજ નોંધાયું હતું.

પાણીની ગુણવત્તા મુદ્દે પણ ગંભીર ખામીઓ સામે આવી. CAGના તારણ મુજબ પાણીની તપાસ નિર્ધારિત સમયગાળા પ્રમાણે થઈ નહોતી અને બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ, કેમિકલ એનાલિસિસ તથા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટમાં પણ ખામીઓ રહી હતી. ઓડિટમાં પીવાના પાણીમાં Total Coliforms, જેમાં E. coliનો પણ સમાવેશ થાય છે, મળ્યાનું નોંધાયું છે.

દિવ્યાંગ મુસાફરો માટેની સુવિધાઓ પણ અપૂરતું હોવાનું જાણવા મળ્યું હતું. 5,920 સ્ટેશનોના ઉપલબ્ધ ડેટા મુજબ 1,959 સ્ટેશનોમાં રેમ્પ, 4,639 સ્ટેશનોમાં દિવ્યાંગજનો માટે પાણીના નળ અને 1,759 સ્ટેશનોમાં દિવ્યાંગ-અનુકૂળ ટોયલેટની અછત નોંધાઈ હતી. પસંદ કરાયેલા 512 સ્ટેશનોમાંથી 441 પર ઇમરજન્સી મેડિકલ રૂમ અથવા AIIMS મુજબની મેડિકલ બોક્સ વ્યવસ્થા બંને ઉપલબ્ધ નહોતી.

ફંડના ઉપયોગ અંગે પણ CAGએ સવાલ ઉઠાવ્યો. 2019-20થી 2023-24 દરમિયાન પેસેન્જર એમેનિટીઝ માટે ફાળવાયેલા Plan Head-53ના બજેટમાંથી કુલ ₹5,956 કરોડનો ઉપયોગ થયો નહોતો. CAGએ રેલવેને સલામત પીવાનું પાણી, સ્વચ્છતા અને મુસાફરોની સુવિધાઓની મજબૂત મોનિટરિંગ સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે.

મૃત્યુ દંડ આપવાની પદ્ધતિ હવે બદલાશે? સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છતાં વિકલ્પ પર ચર્ચા ચાલુ

0

મૃત્યુદંડ એટલે અંતિમ સજા, પરંતુ સજા આપવાની રીત કેટલી માનવીય હોવી જોઈએ? ભારતમાં વર્ષોથી ચાલી રહેલી આ ચર્ચાને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે. ફાંસીની વર્તમાન પદ્ધતિને અસંવિધાનિક જાહેર કરીને તેને અન્ય પદ્ધતિથી બદલવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જોકે, આ નિર્ણય સાથે કેન્દ્ર સરકાર માટે વૈકલ્પિક અને ઓછા પીડાદાયક ઉપાયો અંગે નિષ્ણાતોની મદદથી અભ્યાસ કરવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ ઋષિ મલ્હોત્રાએ ફાંસીની બંધારણીય માન્યતાને પડકારી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ફાંસી દરમિયાન કેદીને શારીરિક પીડા ઉપરાંત માનસિક યાતના પણ થઈ શકે છે અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ માનવીય ગૌરવ સાથે મૃત્યુનો પ્રશ્ન ઊભો થાય છે. અરજીમાં ફાંસીના બદલે જીવલેણ ઈન્જેક્શન, ગોળી અથવા ઇલેક્ટ્રિક શોક જેવી પદ્ધતિઓ પર વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.

હાલના કાયદા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 393(5)માં મૃત્યુદંડ પામેલા વ્યક્તિને “ગળેથી લટકાવીને મૃત્યુ થાય ત્યાં સુધી” ફાંસી આપવાની જોગવાઈ છે. 1983ના Deena v. Union of India કેસમાં પણ સુપ્રીમ કોર્ટે ફાંસીની બંધારણીય માન્યતા જાળવી રાખી હતી.

આ મુદ્દે કેન્દ્ર સરકાર અગાઉથી પણ વિચાર કરી રહી છે. 2026ની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણીએ સરકાર આ મામલાની ઉચ્ચ સ્તરે તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. 2003માં કાયદા પંચની 187મી રિપોર્ટમાં પણ ફાંસીના વિકલ્પ તરીકે જીવલેણ ઈન્જેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અર્થાત્, સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણયથી ભારતમાં ફાંસીની પદ્ધતિમાં તાત્કાલિક કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ભવિષ્યમાં વિશ્વસનીય વૈજ્ઞાનિક અને તબીબી પુરાવા સામે આવે તો આ મુદ્દે ફરી બંધારણીય સમીક્ષાની શક્યતા યથાવત્ છે.

Video: બાઈક-સ્કૂટર નહીં, હવે ડ્રોન લાવશે તમારું ખાવાનું! Uber Eatsનો મોટો પ્લાન

કલ્પના કરો કે રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યા બાદ ટ્રાફિકમાં ફસાયેલો ડિલિવરી બોય નહીં, પરંતુ આકાશમાંથી આવતો ડ્રોન તમારા ઓર્ડર સાથે દરવાજા સુધી પહોંચે. ફૂડ ડિલિવરીનું આ ભવિષ્ય હવે માત્ર કાલ્પનિક રહ્યું નથી. Uber Eats અને ડ્રોન ડિલિવરી કંપની Ziplineએ અમેરિકામાં સ્વચાલિત ડ્રોન દ્વારા ફૂડ ડિલિવરી શરૂ કરવા માટે ભાગીદારી કરી છે. બંને કંપનીઓનો આ પ્લાન આગામી વર્ષોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનું સમગ્ર ગણિત બદલી શકે છે.

Uber અને Zipline અનુસાર, અમેરિકામાં Uber Eatsના ગ્રાહકો માટે ડ્રોન ડિલિવરીની શરૂઆત 2026ના અંત સુધી થવાની યોજના છે. શરૂઆત એવા અમેરિકન બજારોમાંથી કરવામાં આવશે જ્યાં Zipline પહેલેથી પોતાની ડિલિવરી સેવાઓ ચલાવે છે. ત્યારબાદ આ વ્યવસ્થાને વધુ શહેરોમાં વિસ્તરણ કરવાનો પ્લાન છે.

5થી 10 મિનિટમાં ઓર્ડર પહોંચાડવાનો પ્રયાસ

Zipline પહેલેથી જ ફૂડ, રિટેલ અને હેલ્થકેર પ્રોડક્ટ્સની ડ્રોન ડિલિવરી કરે છે. કંપનીએ જુલાઈ 2026 સુધીમાં 2.5 મિલિયનથી વધુ કોમર્શિયલ ડિલિવરી પૂર્ણ કરી હતી. તેના જણાવ્યા મુજબ, અમેરિકાના કેટલાક વિસ્તારોમાં ગ્રાહકોને ફૂડ અને રિટેલ ઓર્ડર લગભગ 5 મિનિટમાં પણ મળી શકે છે, જ્યારે કેટલાક બજારોમાં ડિલિવરી 10 મિનિટ જેટલા સમયમાં થઈ રહી છે.

2029 સુધી રોજ 10 લાખ ડિલિવરીનું લક્ષ્ય

Uber અને Ziplineની લાંબા ગાળાની મહત્વાકાંક્ષા પણ મોટી છે. કંપનીઓ 2029ના અંત સુધી દરરોજ 10 લાખ ડ્રોન ડિલિવરીના સ્તર સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. Uberએ આ ભાગીદારીમાં Ziplineમાં વ્યૂહાત્મક રોકાણ પણ કર્યું છે, જે કંપનીના ડ્રોન આધારિત ડિલિવરી મોડલ પરના વિશ્વાસને દર્શાવે છે.

ભારતમાં ક્યારે શરૂ થશે ડ્રોન ડિલિવરી?

હાલની ભાગીદારીનો ફોકસ અમેરિકન બજાર પર છે. Uber અને Zipline તરફથી ભારતમાં Uber Eats માટે ડ્રોન ફૂડ ડિલિવરી શરૂ કરવાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. એટલે ભારતમાં ગ્રાહકોને ડ્રોનથી ખાવાનું ક્યારે મળશે, તેની સમયમર્યાદા હાલમાં નક્કી નથી.

બારડોલી સુગરમાં ભાજપને ફટકો, ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલનો કારમો પરાજય

એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં જેની ગણના થાય છે, એ બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં સહકાર પેનલની કારમી હાર થઈ છે. સહકાર પેનલને ફાળે એક જ બેઠક બિનહરીફ થઈ હતી. એ સિવાયની તમામ 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના વિજય સાથે સહકાર પેનલને મોટો ફટકો પડ્યો છે. બારડોલીના ભાજપી ધારાસભ્ય ઈશ્વર પરમાર અને જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલનો કારમો પરાજય થયો છે. એ ઉપરાંત સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરીમલ પટેલ તેમજ સુરત જિલ્લા પંચાયતના માજી આરોગ્ય ચેરમેન રોશન પટેલનો પણ પરાજય થયો છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, ત્યારે સહકાર મંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી બારડોલીના બાબેન ખાતે આવેલી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મોટી ઉલટફેર જોવા મળી છે.

વર્તમાનમાં સહકાર પેનલ સત્તા સંભાળતી હતી. પરંતુ ચૂંટણીમાં સભાસદોએ કારમો ઘા આપ્યો છે. આજે થયેલી મતગણતરીમાં સહકાર પેનલનો પરાજય થયો છે. ભાજપ માટે આ મોટો ફટકો એટલા માટે છે કે વર્તમાન ધારાસભ્ય ઈશ્વર પરમારનો પણ પરાજય થયો છે. એ ઉપરાંત સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, બારડોલી સુગરના વર્તમાન ઉપપ્રમુખ તથા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલે પણ પરાજય ખમવો પડ્યો છે.

જાહેર થયેલા પરિણામોમાં મોતા બેઠક પર સતીશ પટેલનો 323 મતથી, એના બેઠક પર અતુલ પટેલનો 263 મતથી, શામપુરા બેઠક પર કીરીટ પટેલનો 405 મતથી, ઓરણા બેઠક પર અનીલ પટેલનો 672 મતથી, સેવણી બેઠક પર ચેતન પટેલનો 465 મતથી, પૂણા બેઠક પ્રફુલ્લ પટેલનો 566 મતથી, તૂંડી બેઠક પર મુકેશ એન પટેલનો 567 મતથી, ખરવાસા બેઠક પર ભુપેન્દ્ર સોલંકીનો 544 મતથી, નિઝર બેઠક પર પેશ ભક્તનો 508 મતથી, બારડોલી બેઠક પર નિવોદચંદ્ર પટેલનો 403 મતથી અને મોટી ફળોદ બેઠક પર પંકજ પટેલનો 540 મતથી વિજય થયો છે. આ ઉપરાંત એક મહિલા અનામત બેઠક પર ઉષા પટેલનો 453 મત અને બીજી મહિલા અનામત બેઠક પર ઉષા પટેલનો 435 મતથી વિજય થયો છે, જ્યારે એસસી/એસટી અનામત બેઠક પર તરૂણ વાઘેલાનો 542 મતથી વિજય થયો છે.

4 મિનિટ સુધી સૌ ઊભા રહ્યા…પણ ગીત શરૂ થતાજ ખબર પડી કે ‘વંદે માતરમ’ હતું જ નહીં!

0

સિસ્ટમની બેદરકારી શિંદેને પડી ભારી. ઠાણેના એક સરકારી કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનાથી ભરેલો માહોલ અચાનક શરમજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. મંચ પર ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મહત્ત્વના મહેમાનો ‘વંદે માતરમ’ના સન્માનમાં ઊભા રહ્યા, પરંતુ સાઉન્ડ સિસ્ટમમાંથી અધિકૃત રાષ્ટ્રગીતની જગ્યાએ લતા મંગેશકરનું જૂનું ગીત સંભળાવા લાગ્યું હતું. આ ટેક્નિકલ ભૂલને કારણે કાર્યક્રમમાં હાજર લોકો મૂંઝવણમાં મુકાયા હતા.

આ ઘટના ઠાણેમાં પરિવહન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન બની હતી. કાર્યક્રમનો સંબંધ બિન-મરાઠી લોકો માટે મરાઠી ભાષા શીખવવાના અભિયાનના સમાપન સમારોહ સાથે હતો. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત ઉદ્યોગ મંત્રી ઉદય સામંત અને ધારાસભ્ય પ્રતાપ સરનાઈક પણ હાજર હતા.

કાર્યક્રમની શરૂઆત પહેલાં ‘વંદે માતરમ’ના ગાન માટે સૌને ઊભા હતા તીરે ઓડિયો ચાલુ થતાં વંદે માતરમના બદલે લતા મંગેશકરનું ગીત વાગ્યું હતું. ગીતની શરૂઆત ‘વંદે માતરમ’ શબ્દોથી થતી હોવા છતાં તે સરકારી કાર્યક્રમમાં વગાડાતી અધિકૃત આવૃત્તિ નહોતી. ભૂલ સમજાયા બાદ પણ શિંદે સહિત હાજર લોકો પ્રોટોકોલ મુજબ ઊભા રહ્યા અને ગીત પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. આ ચાર મિનિટના સમય બાદ અધિકૃત ‘વંદે માતરમ’ અને મહારાષ્ટ્રનું રાજ્યગીત વગાડવામાં આવ્યું હતું.

ઘટના બાદ શિંદેએ આ ભૂલ બદલ જાહેરમાં માફી માંગી અને આયોજકોને ઠપકો આપ્યો હતો. ભવિષ્યમાં આવા કાર્યક્રમો પહેલાં સાઉન્ડ સિસ્ટમ સહિત તમામ વ્યવસ્થાની ચકાસણી કરવા પણ તેમણે સૂચના આપી હતી.

‘વંદે માતરમ’ દેશનું રાષ્ટ્રીય ગીત છે અને હાલમાં તેની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશવ્યાપી ઉજવણી પણ ચાલી રહી છે.

15 ઓગસ્ટની રાત્રે પરિવાર જમ્યું પંજાબી શાક, બીજા દિવસે ઘરમાં માતમ!

સુરતમાં 15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડતાં ચકચાર મચી ગઈ છે. વરાછાની રણુજાધામ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકી આર્યાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેના માતા-પિતા અને બે બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી.

મળતી માહિતી મુજબ, અશોકભાઈ કળસરિયા અને તેમનો પરિવાર 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી લાવેલું પંજાબી શાક જમ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અશોકભાઈ અને તેમની એક પુત્રીને પેટમાં ભારે દુખાવો શરૂ થયો હતો. સ્થાનિક ક્લિનિકમાં સારવાર અને બોટલ ચડાવ્યા બાદ પણ રાહત ન મળતાં પરિવારના અન્ય સભ્યોની પણ તબિયત બગડવા લાગી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતાં તમામને સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના કહેવા પ્રમાણે, હોસ્પિટલમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની આર્યાનું મોત થયું હતું. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

હાલ અશોકભાઈ, તેમની પત્ની અને બે પુત્રીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ચારેયના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. ભોજનમાં બેદરકારી કે ખોરાકની ગુણવત્તા અંગે કોઈ જવાબદારી સામે આવે તો સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં શું થશે? ચોમાસાને લઈને સ્કાયમેટનું નવું અનુમાન, ગુજરાત માટે કેમ મહત્વની છે આ વાત?

0

ગુજરાતમાં ચોમાસું હજુ બાકી છે, પરંતુ દેશવ્યાપી નવા વરસાદી અનુમાનથી આગામી અઠવાડિયાઓ ખાસ મહત્વના બની ગયા છે. સ્કાયમેટે 17 ઑગસ્ટે 2026ના સમગ્ર ચોમાસા માટે વરસાદનો અંદાજ ઘટાડીને LPAના 85% કર્યો છે અને 70% દુષ્કાળની શક્યતા દર્શાવી છે.

સ્કાયમેટના અનુમાન પ્રમાણે ઑગસ્ટમાં દેશભરમાં વરસાદ LPAના 84%, જ્યારે સપ્ટેમ્બરમાં માત્ર 80% રહી શકે છે. વધતું El Niño ચોમાસાના અંતિમ તબક્કા માટે ચિંતાનો મુદ્દો બની રહ્યું છે, જ્યારે Positive Indian Ocean Dipole એટલે કે IOD તરફથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં જૂન-જુલાઈ દરમિયાન વરસાદી સ્થિતિ એકસરખી રહી નહોતી. દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જુલાઈની શરૂઆતમાં માત્ર 24 કલાકમાં સુરત, વલસાડ અને નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 147 મિમી, સુરત શહેરમાં 137 મિમી અને વલસાડમાં 134 મિમી વરસાદ નોંધાયો હતો.

આ પછી ઑગસ્ટમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ સક્રિય રહી. 11થી 12 ઑગસ્ટ દરમિયાન રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં પંચમહાલના શેહરામાં 5.43 ઇંચ વરસાદ પડ્યો હતો.

એટલે હાલ ગુજરાતમાં સીધો “દુષ્કાળ આવી રહ્યો છે” એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. રાજ્ય માટે સૌથી મહત્વનું એ રહેશે કે ઑગસ્ટના અંતિમ દિવસો અને સપ્ટેમ્બરમાં વરસાદ કેટલો અને ક્યાં વિસ્તારોમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો, જળસંગ્રહ અને પાક માટે ચોમાસાના અંતિમ તબક્કાની ગતિવિધિ મહત્વની રહેશે.

રાખડી બાંધતા પહેલાં આ વાત ભૂલતા નહીં! ભદ્રા અંગેની આ માન્યતા પાછળની કહાની શું છે?

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલાં જો તમારા મનમાં પણ એક જ સવાલ હોય કે “ભદ્રા તો નથી ને?”, તો આ જાણકારી તમારા માટે ખૂબ મહત્વની છે. કારણ કે 2026ના રક્ષાબંધન પહેલાં ભદ્રાને લઈને ચાલી રહેલી ચર્ચા પાછળ માત્ર પંચાંગ જ નહીં, પરંતુ એક રસપ્રદ પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે.

પંચાંગ મુજબ 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન ઉજવાશે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ સવારે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઓગસ્ટ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળોના પંચાંગ મુજબ આ દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે. તેથી રક્ષાબંધનના દિવસે ભદ્રાનો અવરોધ રહેવાનો નથી. જોકે, રાખડી બાંધવાનો સ્થાનિક શુભ સમય શહેર પ્રમાણે થોડો બદલાઈ શકે છે.

ભદ્રા શું છે?

હિંદુ પંચાંગમાં ભદ્રા એટલે ‘વિષ્ટિ કરણ’ તરીકે ઓળખાતો સમયગાળો. પંચાંગની માન્યતા મુજબ તેને શુભ કાર્યો માટે ટાળવામાં આવે છે, ખાસ કરીને રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે. ભદ્રા પૌરાણિક કથાઓમાં સૂર્યદેવ અને છાયાની પુત્રી તરીકે વર્ણવાય છે. તેમને ઉગ્ર સ્વભાવ ધરાવતી દેવી તરીકે દર્શાવવામાં આવે છે અને કહેવાય છે કે તેમના પ્રભાવથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવે છે. આ વર્ણન ધાર્મિક પરંપરા અને લોકમાન્યતા પર આધારિત છે, ઐતિહાસિક પુરાવા પર નહીં.

ભદ્રામાં રાખડી કેમ ન બાંધાય?

ધાર્મિક પરંપરા અનુસાર ભદ્રા દરમિયાન રાખડી બાંધવી શુભ માનાતી નથી. એવી માન્યતા છે કે આ સમયે કરેલા શુભ કાર્યમાં વિઘ્ન આવી શકે છે. તેથી ભાઈ-બહેનના પવિત્ર બંધનના આ તહેવારમાં ભદ્રા પૂરી થયા બાદ જ રાખડી બાંધવાની પરંપરા વિકસેલી છે. પંચાંગ આધારિત સ્ત્રોતો પણ રક્ષાબંધન વિધિ ભદ્રા દરમિયાન ન કરવાની સલાહ આપે છે.

2026માં રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટના રક્ષાબંધન દિવસે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. એટલે પરિવારજનો ભદ્રાની ચિંતા વિના પંચાંગમાં દર્શાવેલા શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકશે.

ભદ્રા અંગેની માન્યતાઓ ધાર્મિક પરંપરાનો ભાગ છે; વૈજ્ઞાનિક રીતે તે દરમિયાન રાખડી બાંધવાથી અનિષ્ટ થાય છે એવું સાબિત નથી. પરિવારો માટે પંચાંગ માર્ગદર્શક બની શકે.