Home Blog Page 54

સુરતમાં શ્રમિકો અને મૃતકોના નામે બોગસ ગેસ કનેક્શનનો આક્ષેપ

દક્ષિણ ગુજરાતમાં ગેસ સિલિન્ડરના કથિત કાળાબજારને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગેસ એજન્સીઓ દ્વારા મૃત વ્યક્તિઓ તેમજ પરપ્રાંતીય શ્રમિકોના નામે બોગસ ગેસ કનેક્શનો ચલાવી સબસિડીવાળા સિલિન્ડરોનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે પુરવઠા વિભાગ અને સંબંધિત કંપનીના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કડોદરા વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સીમાં 36 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે ગેસ કનેક્શન સક્રિય હોવાનું અને તેના પર નિયમિત રિફિલિંગ થતું હોવાના આક્ષેપો થયા છે. વધુમાં, આ કનેક્શન સાથે અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર જોડાયેલો હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નિષ્ક્રિય, બિનઉપયોગી તથા મૃતકોના નામે રહેલા ગેસ કનેક્શનોનો ઉપયોગ કરીને સબસિડીવાળા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરોને કાળાબજારમાં વેચવામાં આવે છે.

ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસના ભાવમાં રહેલા તફાવતનો લાભ લઈને કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોના નામે પણ મોટા પ્રમાણમાં કથિત બોગસ કનેક્શનો ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો તે સરકારી સબસિડી વ્યવસ્થાના દુરુપયોગનો ગંભીર મામલો બની શકે છે. મામલામાં સંકળાયેલા કેટલાક લોકોનો આક્ષેપ છે કે પૂરતા પુરાવા હોવા છતાં સંબંધિત એજન્સીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

તપાસના નામે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આ સમગ્ર મામલે સત્ય હકીકત જાણવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જોકે, આક્ષેપો અંગે સંબંધિત ગેસ એજન્સી, કંપનીના અધિકારીઓ અથવા સરકારી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આક્ષેપોની સત્યતા અંગે સ્પષ્ટતા થઈ શકશે.

ઇઝરાયલી સેનાનો દક્ષિણ લેબનોન પર ભારે હુમલો, 16 લોકોના મોત

ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 16 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે રાતભર દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જોરદાર અથડામણ ચાલી હતી. લેબનોનમાં ઇઝરાયલના આ હુમલાની અસર અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર પણ પડી શકે છે.

4 ઇઝરાયલી સૈનિકોના પણ મોત
ઇઝરાયલના વડા પ્રધાનબેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે જ્યાં સુધી લેબનોનમાંથી હિઝબુલ્લાહનો સંપૂર્ણ અંત નહીં આવે ત્યાં સુધી આ હુમલાઓ ચાલુ રહેશે. બીજી તરફ, આ અથડામણમાં ચાર ઇઝરાયલી સૈનિકોના પણ મોત થયા છે.

ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથેની અથડામણ દરમિયાન એક હુમલામાં ટૅન્ક બટાલિયન સહિત ચાર સૈનિકો માર્યા ગયા હતા. હિઝબુલ્લાહના હુમલામાં 32 વર્ષીય લેફ્ટનન્ટ કર્નલ ડોર ગેડાલિયા બેન સિમ્હોનનું મોત થયું હતું. તેઓ ઇઝરાયલની 401મી આર્મર્ડ બ્રિગેડની 52મી બટાલિયનના કમાન્ડર હતા. બટાલિયન કમાન્ડરના ટૅન્કને શંકાસ્પદ ડ્રોન અથવા એન્ટી-ટૅન્ક મિસાઇલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો.

શું નેતન્યાહૂ દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. ફ્રાન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર પર સહી કરી હતી.

ઈરાને પોતાની 14 મુદ્દાની માંગણીઓમાં લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે. જોકે, બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ આ સમજૂતીને બંધનકર્તા માનતા નથી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલમાં આ શાંતિ કરારને લઈને ભારે નારાજગી છે. વડા પ્રધાન નેતન્યાહૂ અમેરિકા-ઈરાન વચ્ચેના અંતિમ કરારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તેઓ જમણેરી મીડિયા હસ્તીઓ અને ઇઝરાયલ સમર્થક અમેરિકી સાંસદો મારફતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દબાણ ઊભું કરવા માંગે છે.

ઇઝરાયલી કાર્યવાહીની અસર દેખાવા લાગી
ઇઝરાયલની કાર્યવાહીને લઈને ઈરાને નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની સ્વિટ્ઝર્લેન્ડ યાત્રા મુલતવી રાખવામાં આવી છે.

જોકે, વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે બંને પક્ષો વચ્ચેની વાતચીત માટેની તૈયારીઓ ચાલુ છે અને તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલા સમજૂતીપત્રને અમલમાં મૂકવાના હેતુથી આગામી તબક્કાની ચર્ચાઓ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, જેમ ઉપરાષ્ટ્રપતિએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, તેમ આગામી તકનીકી સ્તરની ચર્ચાઓનું આયોજન હજુ નક્કી થયું નથી. અમેરિકી પ્રતિનિધિમંડળ પ્રથમ તક મળતાં જ રવાના થવા માટે તૈયાર છે, પરંતુ આવી ચર્ચાઓની વ્યવસ્થા ક્યારેય સરળ કે પૂર્વાનુમાન કરી શકાય તેવી રહી નથી.

ગોડાદરામાં ATM ફ્રોડ: મદદના બહાને વેપારીના ખાતામાંથી ₹38 હજાર ઉપાડી લીધા

સુરતના ગોડાદરા વિસ્તારમાં ATM છેતરપિંડીનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જોગણીમાતા સર્કલ નજીક આવેલી SBI બેંકના ATMમાં મદદના બહાને એક વેપારી સાથે ઠગાઈ આચરી તેના ખાતામાંથી ₹38 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દેવધ ગામ સ્થિત આનંદી હાઈટ્સમાં રહેતા અને વેપાર કરતા મહેશભાઈ સાદુળભાઈ ગુદરાસીયા 15 મે, 2026ના રોજ સાંજે જોગણીમાતા સર્કલ પાસે આવેલા SBI ATMમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. દરમિયાન તેમનું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હતું. તે સમયે એક અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ SBI ATM હેલ્પલાઈનના કર્મચારી તરીકે આપી મહેશભાઈનો વિશ્વાસ જીત્યો હતો. મદદ કરવાના બહાને તેણે ATM કાર્ડનો પીન નંબર મેળવી લીધો હતો.

બાદમાં ઠગે ATM કાર્ડનો દુરુપયોગ કરીને મહેશભાઈના બેંક ખાતામાંથી ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹38 હજાર ઉપાડી લીધા હતા. ખાતામાંથી રકમ ઉપડી જવાની જાણ થતાં મહેશભાઈ ચોંકી ઉઠ્યા હતા.

આ બનાવ અંગે મહેશભાઈએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો, 22 જૂન સુધી પ્રતિબંધ યથાવત

0

દિલ્હી હાઈકોર્ટે NEET પુનઃપરીક્ષાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને પડકારતી ટેલિગ્રામની અરજીને ફગાવી દીધી છે, જેનાથી મેસેજિંગ પ્લેટફોર્મને કોઈ રાહત મળી નથી. જસ્ટિસ તેજસ કારિયાએ IT એક્ટની કલમ 69A હેઠળ જારી કરાયેલા આદેશને પડકારતી અરજીને ફગાવી દેતા 22 જૂન સુધી ટેલિગ્રામને બ્લોક કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

NTA ની ભલામણ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
એવો આરોપ છે કે ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ પેપર લીક, નકલી પ્રશ્નપત્રોના પ્રસાર, છેતરપિંડી નેટવર્ક અને ખોટી માહિતી માટે થઈ રહ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ભલામણના આધારે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ એક આદેશ જારી કર્યો, જેમાં 22 જૂન સુધી ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સંદેશ સંપાદન સુવિધા પણ 30 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી. ટેલિગ્રામે આ આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કામચલાઉ પ્રતિબંધ અંગે ટેલિગ્રામનો પ્રતિભાવ
કંપનીએ જણાવ્યું હતું કે 150 મિલિયનથી વધુ ભારતીય વપરાશકર્તાઓ પ્રભાવિત થઈ રહ્યા છે અને આ પગલું સંપૂર્ણપણે બિનજરૂરી હતું. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર પ્લેટફોર્મને અવરોધિત કરવું અપ્રમાણસર છે.

NEET પેપર લીક વિવાદ શું છે?
NEET-UG 2026 ની પરીક્ષા 3 મે, 2026 ના રોજ દેશભરના 2.3 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી. પરીક્ષા પછી તરત જ, ઘણી જગ્યાએ પેપર લીક થયું હતું. રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના 120-140 પ્રશ્નો મૂળ પેપર સાથે મેળ ખાતા જોવા મળ્યા. NTA એ 12 મે ના રોજ પરીક્ષા રદ કરી અને 21 જૂન ના રોજ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી. CBI તપાસમાં NTA ના આંતરિક લોકો, વિષય નિષ્ણાતો, અનુવાદકો અને કોચિંગ નેટવર્ક (રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરે) ની સંડોવણી બહાર આવી, જેના કારણે અનેક ધરપકડો થઈ. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પેપર લાખો રૂપિયામાં વેચાયું હતું. આ વિવાદથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી અને NTA ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા. પરિણામે, સુપ્રીમ કોર્ટે NTA ને ઠપકો આપ્યો, જેના કારણે ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી, લોકો જીવ બચાવવા દોડ્યા

0

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગુરુવારે ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ ભારે અફરાતફરી મચાવી દીધી હતી. ગોળીબાર બાદ વિસ્તારમાં હાજર લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ગોળીઓના અવાજ બાદ લોકો ભયભીત થઈ ભાગતા દેખાઈ રહ્યા છે.

ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના જણાવ્યા અનુસાર, ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 3:40 વાગ્યે બની હતી. તે સમયે NBA ચેમ્પિયન ન્યૂયોર્ક નિક્સની જીતની ઉજવણી માટે હજારો લોકો ટાઈમ્સ સ્ક્વેર અને લોઅર મેનહેટન વિસ્તારમાં એકત્ર થયા હતા. સુરક્ષા માટે લગભગ 10 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિને ઘટના બાદ તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે તેની હાલત અંગે વધુ માહિતી આપવામાં આવી નથી.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગોળીબાર શરૂ થતાં જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પર્યટકો સહિત મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થળ શોધવા માટે ભાગવા લાગ્યા હતા. ફાયરિંગ પોલીસની ઉભેલી ગાડીથી થોડા જ અંતરે થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટના થોડા દિવસ પહેલા 16 જૂને થયેલી બીજી ફાયરિંગની ઘટનાની યાદ અપાવે છે. તે સમયે પણ ન્યૂયોર્ક નિક્સની NBA જીતની ઉજવણી દરમિયાન ટાઈમ્સ સ્ક્વેર વિસ્તારમાં ગોળીબાર થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો.

પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાએ અમેરિકામાં જાહેર સ્થળોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

રામ મંદિર દાન ગેરરીતિ મામલે CM યોગી સખત: ‘દોષિત કોઈ પણ હોય, બચશે નહીં’

0

રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનની ગેરરીતિના મામલે તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રામ મંદિરની મુલાકાત લેવાના છે. તે પહેલાં સીએમ યોગીએ આ સમગ્ર મામલે કડક વલણ વ્યક્ત કર્યું છે. રામ મંદિરમાં ચઢાવાની ચોરીના કેસમાં યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે આરોપી કેટલો પણ મોટો કે પ્રભાવશાળી કેમ ન હોય, દરેકનો હિસાબ લેવામાં આવશે.

રામદ્રોહીઓથી સાવચેત રહેવાની ચેતવણી
રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદ અને તપાસ વચ્ચે સીએમ યોગીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ચંદા ચોરીના મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પાસે આ મામલે કોઈ પુરાવા હોય તો તે નિર્ભય બની આગળ આવે અને SITને પુરાવા સોંપે. યોગીએ રામદ્રોહી તત્વોથી સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યાને બદનામ કરનારાઓ અને રામભક્તો પર ગોળીબાર કરાવનારાઓના ભ્રમમાં ન આવવું.

દાન ચોરીની તપાસમાં મોટો ખુલાસો
આ દરમિયાન રામ મંદિરમાં ચઢાવાની ચોરીને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SITએ હીરા જડિત હાર અને ચરણ પાદુકાને લઈને પણ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન સંબંધિત લોકો દ્વારા હીરા જડિત હાર અને ચરણ પાદુકા અંગે ગોળમટોળ જવાબ આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ ટીમે રામ મંદિરના પૂજારીને હાર અને ચરણ પાદુકા અંગે પૂછ્યું હતું. તેના જવાબમાં પૂજારીએ જણાવ્યું કે ભગવાનને હાર અને ચરણ પાદુકા પહેરાવ્યા બાદ તે ટિન્નુ યાદવને પરત આપવામાં આવ્યા હતા.

બીજી તરફ ટિન્નુ યાદવે જણાવ્યું કે તેણે હાર અને ચરણ પાદુકા આભૂષણોની જવાબદારી સંભાળતા કૃષ્ણ દેવ તિવારી ઉર્ફે કે.ડી. તિવારીને સોંપી દીધા હતા. જોકે કે.ડી. તિવારીનું કહેવું છે કે તેમને હાર અને ચરણ પાદુકા મળ્યા જ નથી. કે.ડી. તિવારીએ વધુમાં જણાવ્યું કે તેમને ન તો સોનાની ઈંટ મળી છે અને ન તો કોઈ પ્રકારની રસીદ આપવામાં આવી છે. સમગ્ર મામલે SIT દ્વારા તપાસ ચાલુ છે.

સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સ સપ્લાયના રેકેટનો પર્દાફાશ, આરોપી ઝડપાયો

0

સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સની હેરફેર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અઠવા વિસ્તારની નાનપુરા પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા આ કેસમાં મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માહિતી મુજબ, મદ્રાસ એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન સુરતમાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાતમીના આધારે મદ્રાસ પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે જે વ્યક્તિના નામે પાર્સલ મંગાવવામાં આવ્યું હતું તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેને નાનપુરા પોસ્ટ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યો હતો. આરોપી પોસ્ટ ઓફિસ પર પહોંચતા જ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.

આરોપીની મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર ડ્રગ્સ નેટવર્કના અન્ય કડીઓ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

પાવાગઢમાં મોટી દુર્ઘટના: ડુંગર પરથી પથ્થર ગબડતાં યાત્રિકો દટાયા, 2 મૃતદેહ મળ્યા

0

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડુંગર પરથી મોટા પથ્થરો ગબડતા કેટલાક યાત્રિકો દખાઈ ગયા છે, જેમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને ભકતોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના વહેલી સવારે 5 વાગ્યાના સુમારે બની, જ્યારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ચઢી રહ્યા હતા. પાટિયાપુલ નજીક અચાનક ડુંગર પરથી પથ્થરો અને કાટમાળ ધસીને નીચે ગબડવા લાગ્યા હતા. સતત ભારે વરસાદને કારણે જમીન એકદમ પોચી પડી ગઈ હોવાથી પથ્થરો ઝડપથી નીચે પડી રહ્યા હતા. જેના કારણે નીચેથી પસાર થઈ રહેલા યાત્રિકોને બચવાની કોઈ તક મળી ન હતી.

અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેડ મળ્યા
પાવાગઢ ખાતે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પડાડ પરથી ભારે પથ્થરો પડતા કેટલાક શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી બે યાત્રિકોના મૃતદેહ મળ્યા છે, હજુ પણ કેટલાક લોકો પથ્થરો નીચે દબાયેલા હોવાની આશંકા છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

ગબડતા પથ્થરોની ઝપેટમાં આવ્યા યાત્રિકો
ડુંગર પરથી પડી રહેલા પથ્થરોની ઝપેટમાં કેટલાક યાત્રિકો આવી ગયા હતા. આ જીવલેણ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાડટ અને દોડધામ મચી ગઈ હતી. આ કુદરતી હોનારતની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પાવાગઢ પોલીસ તાત્કાલિક ઍલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબકયા હોવાનું અનુમાન છે.

તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
સ્થિતિની ગંભીરતા અને જોખમને જોતા રોપ-વેની ટેકનિકલ ટીમ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી (Rescue operation) પૂરજોશમાં ચાલી રહી છે. પથ્થરો અને કાટમાળ નીચે અન્ય કોઈ યાત્રિક દબાયેલું છે કે કેમ, તે શોધવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

યાત્રિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ
વરસાદના કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે યાત્રિકોને ભારે વરસાદ દરમિયાન ડુંગર ચડતી વખતે સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે

સચીન GIDCમાં ચાલીના ગેટ પર તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી, ચાર અજાણ્યા સામે ગુનો

સુરતના સચીન GIDC વિસ્તારમાં આવેલી એક ચાલીમાં તોડફોડ અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. ચાલીના ગેટને નુકસાન પહોંચાડવા તેમજ રહેવાસીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સચીન GIDC પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદી રાજકુમાર મહેન્દ્રસિંગ જાટ (ઉંમર 45), જે વ્યવસાયે વેપારી છે અને લક્ષ્મીવિલા રેસીડેન્સીમાં રહે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 17 જૂન, 2026ના રોજ મધરાતે આશરે 12:15 વાગ્યે ચાર અજાણ્યા વ્યક્તિઓ છોટુ કાકાની વાડી ખાતે આવેલા પ્લોટ નં. 135 અને 136માં આવેલી “પ્રેમ નિવાસ” ચાલી પાસે પહોંચ્યા હતા.

આરોપીઓના હાથમાં લાકડાના ફટકા અને લોખંડના સળીયા હતા. તેમણે ચાલીના ગેટ અને ગ્રીલ પર આડેધડ પ્રહાર કરી નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદ મુજબ ગ્રીલના નકુચાને નુકસાન થતાં અંદાજે રૂ. 500નું નુકસાન થયું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલી ચાલીમાં રહેતા નિર્મલ મંડલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ ચારેય શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાના અનુસંધાને સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 324(3), 351(3), 296(બી), 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ કેસની તપાસ પીએસઆઈ એચ.એચ. જાડેજા કરી રહ્યા છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા આરોપીઓની ઓળખ મેળવવા અને તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી રહી છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સરકારની મોટી ભેટ, બનશે વિશેષ પોલીસ સ્ટેશન

દેશની ટેક્સટાઈલ રાજધાની સુરતને ટૂંક સમયમાં વધુ એક વિશેષ ઓળખ મળવા જઈ રહી છે. શહેરના અબજો ડોલરના કાપડ ઉદ્યોગને સુરક્ષા અને કાનૂની સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દેશમાં પ્રથમ સમર્પિત ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપી છે. આ પોલીસ સ્ટેશન કાપડ ઉદ્યોગ સંબંધિત ગુનાઓ, છેતરપિંડી અને વ્યવસાયિક વિવાદોની તપાસ અને કાર્યવાહી કરશે.

અહેવાલો અનુસાર, સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂના, સારોલી, ગોડાદરા અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાપડના વેપારને લગતી બધી ફરિયાદો હવે આ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. સરકાર આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.

વેપારીઓ લાંબા સમયથી આ માંગણી કરી રહ્યા છે.
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) ના પ્રમુખ કૈલાશ હકીમ અને સેક્રેટરી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સમક્ષ આ માંગણી ઉઠાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે દેશના પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની સ્થાપનાથી કાપડ વેપારીઓને નોંધપાત્ર રાહત મળશે અને છેતરપિંડીના કેસોમાં અસરકારક કાર્યવાહી શક્ય બનશે.

હાલની સિસ્ટમ શું છે?
હાલમાં, કાપડ વેપારમાં છેતરપિંડીની ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે, જેના કારણે એક જ આરોપી સામે દાખલ થયેલા અનેક કેસોના રેકોર્ડ એકત્રિત કરવાનું મુશ્કેલ બને છે. નવું કાપડ પોલીસ સ્ટેશન બધી ફરિયાદોનો કેન્દ્રિય રેકોર્ડ રાખશે, ખાતરી કરશે કે કોઈપણ આરોપી સામે દાખલ થયેલા કેસોની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે, જેનાથી કાર્યવાહી સરળ અને ઝડપી બનશે.

વેપારીઓ શું કહે છે?
વેપારીઓ માને છે કે આનાથી છેતરપિંડી અને છેતરપિંડીના કેસોની તપાસ ઝડપી બનશે, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું સરળ બનશે અને વારંવાર ગુનેગારો પર અસરકારક રીતે દેખરેખ રાખવામાં આવશે. તેનાથી વેપારીઓનો સમય અને નાણાં પણ બચશે. કાપડ ઉદ્યોગના ખેલાડીઓ કહે છે કે આ પગલું સુરતના મોટા કાપડ ઉદ્યોગને વધુ સુરક્ષિત અને સંગઠિત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.