સુમુલ ડેરી ની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે પરિણામ જાહેર થતાં 15 બેઠકો ઉપર ભાજપ નો વિજય થયો હતો, જ્યારે એક બેઠક પર અપક્ષ નો વિજય થયો હતો. આ પહેલાં જ 8 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. બેઠક પ્રમાણે પરિણામ ઉપર નજર કરીએ તો ઓલપાડ બેઠક ઉપર ભાજપના ધનસુખ પટેલનો 27 મત મળતાં વિજય થયો હતો. જ્યારે માંડવી બેઠક પર ભાજપના રેશાભાઈ ચૌધરી ને 114 મત મળતાં, મહુવા તાલુકા ની બેઠક પર અપક્ષ ના ધનંજય પટેલનો 33 મત મળતાં, ઉમરપાડા બેઠક પર ભાજપના અમિષ વસાવાનો 56 મત મળતાં વિજય થયો હતો.
જ્યારે નિઝર બેઠક પર રસા કસી થઈ હતી. ફક્ત એક જ મતે ભાજપના યોગેશ રાજપૂતે કોંગ્રેસના ભરત પટેલને પરાજિત કર્યા હતા.જ્યારે કુકરમુંડા બેઠક પર ભાજપના સંજય સૂર્યવંશીને 19 મત મળતાં વિજય થયો હતો. એ બેઠક પર બળવાખોર મણિલાલ પટેલ નો ફક્ત એક મતે પરાજય થયો હતો, વ્યારા બેઠક પર ભાજપના હસમુખ ગામીતનો ફક્ત 2 મતે વિજય થયો હતો. સોનગઢ બેઠક પર ભાજપના કાંતિ ગામીતને 139 મત મળતાં વિજય થયો હતો. જો કે આ બેઠક પર સૌથી વધુ અમાન્ય મતો નોંધાયા હતા. આ બેઠક પર 175 મત અમાન્ય ઠર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના વિજેતા ઉમેદવાર કરતાં પણ અમાન્ય મતોની સંખ્યા વધુ છે. જ્યારે ડોલવણ બેઠક પર ભાજપના શૈલેશ પટેલને 42 મતો મળતાં વિજય થયો હતો.
સુમુલની સોનગઢ બેઠક પર ભાજપ ના વિજેતા કરતાં અમાન્ય બેઠક વધુ
Video : 12 વર્ષના બાળકને મગર જીવતો જ ખાઈ ગયો, ગ્રામજનોની આંખો સામે જ થયો કરુણ અંત
ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લામાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધાનની રોપણીનું કામ પૂર્ણ કર્યા બાદ 12 વર્ષનો સુનીલ ઘાઘરા નદીમાં હાથ-પગ ધોવા ગયો હતો. એ દરમિયાન અચાનક એક મગરે તેના પર હુમલો કરીને પગ જડબામાં દબોચી લીધો અને નદીમાં ખેંચી ગયો.
બાળકે બચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. તેના કાકા તેમજ ગ્રામજનોએ ઈંટ-પથ્થર ફેંકીને મગરને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરે બાળકને છોડ્યો નહીં. તેણે બાળકને અનેક વખત પાણીમાં પટક્યા બાદ ઊંડા પાણીમાં ખેંચી લીધો. ગ્રામજનોની આંખો સામે જ મગરે બાળકના શરીરનો મોટો ભાગ ખાઈ લીધો.
ઘટનાના લગભગ પાંચ કલાક બાદ ગ્રામજનોએ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મગરે બાળકનો જમણો પગ અને કમર નીચેનો ભાગ ખાઈ લીધો હતો.
મૃતક સુનીલના માતા-પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હતું અને તે પોતાના કાકા સાથે રહેતો હતો. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને વન વિભાગે ઘટનાની પુષ્ટિ કરી છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગ્યો, અપક્ષની એક બેઠક સિવાય તમામ 15 બેઠકો જીતી લીધી
સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. સત્તાવાર પરિણામ મુજબ ભાજપ સમર્થિત પેનલે કુલ 16માંથી 15 બેઠકો પર જીત મેળવીને ડેરીના સંચાલનમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ 7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીની બેઠકોના મતદાન બાદ પણ પક્ષને જંગી સફળતા મળી છે.
ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ મુકાબલો ઓલપાડ બેઠક પર જોવા મળ્યો હતો. અહીં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર ધનસુખ પટેલ મેદાનમાં હતા. મતગણતરી પૂર્ણ થતાં ધનસુખ પટેલે માત્ર 15 મતના નજીવા અંતરથી જીત મેળવી હતી. આ પરિણામને કારણે ભાજપ તમામ 16 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવી શક્યું નથી, પરંતુ એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીતે સહકારી રાજકારણમાં ચર્ચા જગાવી છે.
બાકીની તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોએ જીત મેળવી છે, જેના કારણે સુમુલ ડેરીના વહીવટ અને આગામી નિર્ણયોમાં ભાજપ સમર્થિત પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે. ચૂંટણી પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
પરિણામ જાહેર થયા બાદ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચીને વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. હવે ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી સુમુલ ડેરીના નવા બોર્ડની રચના બાદ આગામી કાર્યકાળ દરમિયાન સંસ્થાના વિકાસ અને દૂધ ઉત્પાદકોના હિતને લગતા નિર્ણયો પર સૌની નજર રહેશે.
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ: હરિયાણામાં દોડશે ગ્રીન ટ્રેન, ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો
ભારતે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ઉત્તર રેલવેના જીંદ-સોનીપત વચ્ચેના અંદાજે 89 કિમીના રૂટ પર દોડશે. આ સાથે ભારત હાઇડ્રોજન આધારિત ટ્રેન ચલાવનારા વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થયું છે.
હાઇડ્રોજન ટ્રેનમાં ડીઝલ એન્જિનના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે, જે ટ્રેનને ચલાવે છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ કે અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન થતું નથી અને માત્ર પાણીની વરાળ બહાર આવે છે. તેથી આ ટ્રેન પર્યાવરણમૈત્રી અને પ્રદૂષણમુક્ત પરિવહનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, 10 કોચ ધરાવતી આ ટ્રેનમાં અંદાજે 2,600 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનની મહત્તમ ગતિ કલાકે 110 કિલોમીટર છે, જ્યારે શરૂઆતમાં તે કલાકે લગભગ 75 કિલોમીટરની ઝડપે દોડશે. જીંદ ખાતે ખાસ હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી છે, જેથી ટ્રેનનું સંચાલન સરળતાથી થઈ શકે.જીંદ ખાતે ખાસ હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી છે, જેથી ટ્રેનનું સંચાલન સરળતાથી થઈ શકે.
હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ ભારતીય રેલવેની ગ્રીન મોબિલિટી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં આવી ટ્રેનોને અન્ય રૂટ પર પણ શરૂ કરવાની યોજના છે, જેથી સ્વચ્છ, આધુનિક અને ટકાઉ રેલ પરિવહનને વધુ પ્રોત્સાહન મળી શકે.
ભારતમાં કોરોનાના 12 નવા કેસ, 4 મોત બાદ આરોગ્ય તંત્ર સતર્ક; શું ફરી સાવચેતી વધારવાનો સમય?
દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસ અને મૃત્યુ નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સાવચેત બન્યું છે. આંધ્ર પ્રદેશમાં વધુ બે દર્દીઓના કોરોનાથી મોત થયા બાદ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં 12 નવા કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગે દેખરેખ વધારી છે.
આ વધતા કેસોને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યો જાહેર આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. મોટા ધાર્મિક અને જાહેર કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ, ટેસ્ટિંગ અને હોસ્પિટલોની તૈયારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિને નવી લહેર તરીકે જોવાની જરૂર નથી. મોટા ભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને ગંભીર સંક્રમણનો દર ઓછો છે. જોકે વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, ગંભીર બીમારીઓ ધરાવતા લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
હાલ કેન્દ્ર અથવા મોટાભાગના રાજ્યો દ્વારા માસ્ક ફરજિયાત બનાવાયો નથી. તેમ છતાં ભીડભાડવાળા સ્થળો, હોસ્પિટલ, જાહેર પરિવહન અથવા શરદી-ઉધરસ જેવા લક્ષણો હોય ત્યારે માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા અને જરૂર પડે ત્યારે ટેસ્ટ કરાવવો યોગ્ય ગણાય છે.
આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી પણ ન રાખવી જોઈએ. જો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સમયસર સાવચેતી અને જવાબદાર વર્તનથી કોરોનાના સંભવિત ફેલાવાને અસરકારક રીતે રોકી શકાય છે.
ટ્રમ્પનો મોટો નિર્ણય: હવે અમેરિકામાં ભણવા જતાં પહેલાં જાણી લો નવા વિઝા નિયમો
અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પત્રકારો માટેના વિઝા નિયમોમાં મોટા ફેરફારો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે F-1 (સ્ટુડન્ટ) અને J-1 (એક્સચેન્જ) વિઝાધારકોને અગાઉની જેમ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી રહેવાની મંજૂરી નહીં મળે. તેના બદલે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે વિઝાની મહત્તમ મુદત ચાર વર્ષ નક્કી કરવામાં આવી છે.
નવા નિયમો અમલમાં આવ્યા બાદ જો કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ, સંશોધન અથવા OPT (Optional Practical Training) ચાર વર્ષથી વધુ ચાલે તો તેને સમયસર વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડશે. ઉપરાંત, કોર્સ અથવા શૈક્ષણિક સંસ્થા બદલવા માટે પણ વધુ કડક મંજૂરી પ્રક્રિયા રહેશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ અમેરિકા છોડવા માટે મળતો ગ્રેસ પિરિયડ પણ 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ફેરફાર મહત્વનો છે, કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાય છે. ખાસ કરીને PhD, લાંબા સંશોધન કાર્યક્રમો અને OPT પર કામ કરવાની યોજના ધરાવતા વિદ્યાર્થીઓએ હવે સમયમર્યાદા અને દસ્તાવેજી પ્રક્રિયા અંગે વધુ સાવચેત રહેવું પડશે. નિષ્ણાતોનું માનવું છે કે નવા નિયમોથી આયોજન અને વિઝા સંબંધિત અનિશ્ચિતતા વધી શકે છે.
બીજી તરફ, ચીનના નાગરિકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. નવા નિયમો હેઠળ અમેરિકામાં કાર્યરત ચીની પત્રકારોને માત્ર 90 દિવસનો વિઝા મળશે, જ્યારે અન્ય દેશોના પત્રકારો માટે આ મર્યાદા 240 દિવસ રહેશે. ચીને આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવી વિરોધ નોંધાવ્યો છે.
અમેરિકાનું હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ કહે છે કે આ ફેરફારોનો હેતુ વિઝા સિસ્ટમ પર વધુ દેખરેખ અને સુરક્ષા મજબૂત કરવાનો છે. જોકે, અનેક યુનિવર્સિટીઓ અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ નિયમો અમેરિકા પસંદ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને અસર કરી શકે છે.
આટલા વર્ષ બાદ મળ્યો ન્યાય ! આજીવન કેદ ભોગવી ચૂકેલા આરોપીને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
લગભગ 49 વર્ષ જૂના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓની સાક્ષીમાં ગંભીર ખામીઓ હતી. આવી સ્થિતિમાં માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવવું કાયદાની દૃષ્ટિએ યોગ્ય નથી.
આ કેસ વર્ષ 1977નો છે, જેમાં ત્રણ લોકોને હત્યાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે તેમને સજા ફટકારી હતી, જ્યારે બાદમાં હાઇકોર્ટે પણ તે નિર્ણય યથાવત રાખ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેસની વિગતવાર સુનાવણી દરમિયાન જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને તપાસની પ્રક્રિયામાં અનેક અસંગતતાઓ જોવા મળી હતી. ઉપરાંત, પ્રત્યક્ષદર્શીઓની સાક્ષી પણ વિશ્વસનીય જણાતી ન હોવાથી આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા અને શંકાથી પરના પુરાવા ઉપલબ્ધ નહોતા.
કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ફોજદારી કેસોમાં આરોપીને દોષિત સાબિત કરવા માટે પ્રોસિક્યુશને શંકાથી પર (Beyond Reasonable Doubt) પુરાવા રજૂ કરવા જરૂરી છે. જો પુરાવામાં ગંભીર ખામીઓ હોય અથવા વાજબી શંકા ઊભી થાય, તો તેનો લાભ આરોપીને મળવો જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું કે હાઇકોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી હતી.
આ ત્રણ આરોપીઓમાંના એક હીરા લાલ આજીવન કેદની સંપૂર્ણ સજા ભોગવી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમને તેમજ અન્ય બે આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો ફોજદારી કેસોમાં પુરાવાની વિશ્વસનીયતા, નિષ્પક્ષ તપાસ અને ન્યાયિક મૂલ્યાંકનના મહત્વને ફરી એકવાર ઉજાગર કરે છે.
એશિયન એજ ગ્રુપ બોક્સિંગમાં ભારતનો દબદબો, 19 મેડલ સાથે પાંચ ગોલ્ડ જીત્યા
ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન અંડર-19 અને અંડર-23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતાં કુલ 19 મેડલ જીત્યા હતા. ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.
અંડર-19 વર્ગમાં ભારતે 2 ગોલ્ડ અને 6 સિલ્વર જીત્યા હતા. 51 કિલોગ્રામ વર્ગમાં ચંદ્રિકા પુજારીએ ઉઝબેકિસ્તાનની નાજોકત માર્ડોનોવાને 5-0થી હરાવી ગોલ્ડ જીત્યો હતો, જ્યારે પ્રાચીએ ઇન્ડોનેશિયાની દિરા આર્ટિકાને હરાવી ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.
અંડર-23 વર્ગમાં ભારતે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા હતા. 54 કિલોગ્રામમાં નિશાએ જાપાનની કોઇન કોકુફુને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બીજી તરફ નિકિતા ચંદ (60 કિગ્રા), કાજલ (65 કિગ્રા) અને મુસ્કાન (75 કિગ્રા) પોતાના ફાઇનલમાં હારી જતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પરિણામો સાથે ભારતે એશિયાઈ યુવા મહિલા બોક્સિંગમાં પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો હતો.
હોર્મુઝથી પસાર થતા જહાજોમાં ભારતીય નાવિકોને તૈનાત ન કરવા, DGMAની એડવાઇઝરી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA)એ શિપિંગ કંપનીઓને હોર્મુઝ જળમાર્ગથી પસાર થતા જહાજોમાં ભારતીય નાવિકોની તૈનાતી ટાળવા સૂચના આપી છે. એડવાઇઝરીમાં જહાજ માલિકો, મેનેજમેન્ટ કંપનીઓ અને કેપ્ટનોને ફારસની ખાડી તથા હોર્મુઝ વિસ્તારમાં ખાસ સતર્ક રહેવા અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા જણાવ્યું છે.
DGMAએ જહાજોના કેપ્ટનોને ISPS કોડ મુજબ સુરક્ષા યોજના અમલમાં મૂકવા અને નેવિગેશન સંબંધિત તમામ ચેતવણીઓ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોર્મુઝ નજીક થયેલા હુમલામાં ભારતીય નાવિકના મોતની ઘટના બાદ ભારતે સાવચેતી વધારી છે. વિસ્તારમાં વધી રહેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું લેવામાં આવ્યું છે.
ગિરનારમાં બાળકના મોત બાદ સરકાર એક્શનમાં: લોકોની સુરક્ષા માટે લેવાયા આ મોટા પગલાં
ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના કથિત હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે 11 જુલાઈ, 2026ના રોજ ગિરનાર પર્વતની નવી સીડી પર બનેલી ઘટના સૌથી ગંભીર સાબિત થઈ હતી. ભવનાથ તળેટીથી ચઢાણ શરૂ કર્યાના થોડા જ સમયમાં 12 વર્ષના મયુર ચૌહાણ પર સિંહે કથિત હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતાં વનવિભાગ અને રાજ્ય સરકારે તાત્કાલિક અનેક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે.
દોઢ મહિનાના ગાળામાં ગિર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના કથિત હુમલામાં કુલ સાત લોકોના મોત નોંધાયા છે. અમરેલી જિલ્લાના વારાહ સ્વરૂપ, કોવાયા, જુના સાવર, ચાતુરી અને અંટાળિયા ગામોમાં અલગ-અલગ હુમલાઓમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ચાતુરી ગામમાં પાંચ વર્ષના જિયાન સિંધાનું મૃત્યુ પણ આ ઘટનાઓમાં સામેલ છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના ગઢડા ગામમાં પણ એક મજૂરનું સિંહના હુમલામાં મૃત્યુ થયું હતું.
ગિરનારની ઘટના બાદ વનવિભાગે સૌથી પહેલાં નવી સીડી પર પ્રશિક્ષિત ટ્રેકર્સ અને વનકર્મીઓની સતત તૈનાતી શરૂ કરી છે. તેમનું મુખ્ય કામ સિંહોની હિલચાલ પર નજર રાખવાનું, જોખમ જણાય તો યાત્રાળુઓને સમયસર ચેતવણી આપવાનું અને જરૂર પડે ત્યારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું રહેશે.
આ ઉપરાંત ગિરનાર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે વનવિભાગની ટીમો સતત ગસ્ત કરી રહી છે. જ્યાં સિંહોની અવરજવર વધુ જોવા મળે છે તેવા વિસ્તારોમાં વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
લોકોની સુરક્ષા માટે ચેતવણી બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે અને યાત્રાળુઓને એકલા જવાની જગ્યાએ જૂથમાં ચઢાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. વનવિભાગે પ્રવાસીઓને નિર્ધારિત માર્ગ પરથી જ અવરજવર કરવા અને કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જવાની સૂચના આપી છે.
વનવિભાગ હવે સિંહોની હિલચાલ પર વધુ સઘન મોનિટરિંગ પણ કરી રહ્યું છે. જરૂર જણાય ત્યાં રેસ્ક્યૂ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી સિંહો માનવ વસાહત અથવા યાત્રામાર્ગની નજીક આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે ટ્રેકર્સ, સતત પેટ્રોલિંગ અને ઝડપી ચેતવણી વ્યવસ્થા જેવી કામગીરીથી જોખમ ઘટાડી શકાય છે, પરંતુ સિંહો જંગલી પ્રાણી હોવાથી તેમની હિલચાલ સંપૂર્ણપણે નિયંત્રિત કરવી શક્ય નથી. તેથી વનવિભાગના પ્રયાસો સાથે લોકોની સતર્કતા પણ એટલી જ જરૂરી રહેશે.

