Home Blog Page 306

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે એનડીએ જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. જયારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે તમામ 101 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. જેમાં પક્ષના 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાય શકે છે. જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.

બિહારમાં એનડીએ સત્તામાં આવશે
આ ઉપરાંત બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે ભાજપ સોમવારે સાંજે ઉમેદવારોની જાહેરાત શરૂ કરશે. પટનામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધને બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. તેમજ ફરી એકવાર બિહારમાં એનડીએ સત્તામાં આવશે.

એનડીએની બેઠક વહેંચણી ફોર્મ્યુલા
બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી. જેમાં ભાજપ 101 બેઠક અને નીતિશ કુમારની જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડશે. જયારે ચિરાગ પાસવાનના નેતુત્વવાળી એલજેપીને 29, આરએલએમને 06 અને એચએએમને 06 બેઠક ફાળવવામાં આવી છે.

કોણ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ?
ઉલ્લેખનીય છે કે વહેંચણીમાં સીએમ નીતિશકુમારની જનતા દળ યુનિટ અને ભાજપ 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 243 સીટ નાના સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ પાસવાન) 29 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની એચએએમ (હિન્દુસ્તાની અવમ મોરચા) અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.

એચએએમ અને આરએલએમએ બેઠક વહેંચણી વ્યવસ્થા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. આજે સવારે દિલ્હીથી પરત ફર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ જણાવ્યું હતું કે બેઠક વહેંચણી વ્યવસ્થા પરસ્પર સંમતિથી સંમતિ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

દક્ષિણ આફ્રિકામાં ભયંકર બસ અકસ્માતમાં 42 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર દક્ષિણ આફ્રિકાના એક પર્વતીય વિસ્તારમાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે, અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. રાજધાની પ્રિટોરિયાથી લગભગ 400 કિલોમીટર ઉત્તરમાં લુઇસ ટ્રાઇચાર્ડ શહેર નજીક N1 હાઇવે પર આ અકસ્માત થયો હતો.

બસ ખાડામાં પડી
રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશનના પ્રવક્તા સિમોન ઝ્વેને દક્ષિણ આફ્રિકાના ન્યૂઝ24 ન્યૂઝ આઉટલેટને જણાવ્યું હતું કે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે 42 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક વધી શકે છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ એક ઢાળવાળા પર્વતીય ઘાટ પાસે રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ દેશના દક્ષિણમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વીય કેપથી આવી રહી હતી. લિમ્પોપો પ્રાંતીય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બસ ઝિમ્બાબ્વે અને માલાવીયન નાગરિકોને લઈ જઈ રહી હોવાનું માનવામાં આવે છે જેઓ તેમના વતન પરત ફરી રહ્યા હતા. પ્રાંતીય સરકારે તાત્કાલિક ઘાયલોની સંખ્યા આપી ન હતી, પરંતુ કહ્યું હતું કે ઘણા બચી ગયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. રામાફોસાએ કહ્યું, “આ દુઃખ એ હકીકતથી વધુ છે કે આ ઘટના આપણા વાર્ષિક પરિવહન મહિના દરમિયાન બની હતી, જ્યાં આપણે માર્ગ સલામતીના મહત્વ પર વિશેષ ભાર મૂકીએ છીએ.”

પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહેલી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જનસુરાજના વડા પ્રશાંત કિશોરે સોમવારે 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પહેલાં, પાર્ટીએ 51 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ બે યાદીઓને ભેગી કરતાં, જનસુરાજે અત્યાર સુધીમાં 100થી વધુ (કુલ 116) બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પ્રથમ યાદીમાં મુખ્ય નામો અને જાતિગત સમીકરણ

  • જનસુરાજની પ્રથમ યાદીમાં કેટલાક નોંધનીય નામોનો સમાવેશ થાય છે:
  • સમસ્તીપુરની મોરવા વિધાનસભા બેઠક પરથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહની પુત્રી લતા સિંહને અસ્થાવાં બેઠક પરથી ટિકિટ.
  • ગોપાલગંજ બેઠક પરથી પ્રીતિ કિન્નર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
  • પ્રથમ યાદીના જાતિગત સમીકરણ ની વાત કરીએ તો, સૌથી વધુ EBC (અત્યંત પછાત વર્ગ) માંથી 17 ઉમેદવારો, SC/ST માંથી 7, OBC માંથી 11, લઘુમતી માંથી 9 અને સામાન્ય વર્ગ માંથી 7 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.

બોટાદ હડદડ પથ્થરમારી ઘટનામાં 20 ધરપકડ, પરિસ્થિતિની સમીક્ષા માટે રેન્જ IG સ્થળે પહોંચ્યા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો છે, અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા થનારુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન હોય પોલીસ ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. 20 લોકોની પોલીસે અટકાયત કરી છે જો કે રસ્તામાંથી ઈશુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવાઈ હતી.આ બનાવ થી રાજકારણ ગરમાયું છે.

મળતી માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસની ખરીદી યાર્ડમાં કર્યા બાદ જિનિંગ મિલમાં લઈ ગયા પછી વેપારીઓ દ્વારા ભાવ ઓછા કરી નાખવામાં આવતા હોવાને મામલો ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કદડાના નિયમને લઈને રાજકારણ પ્રવેશી ગયું છે. જેને લઇને એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જો કે આ પંચાયતનું આયોજન બોટાદના હડદડ ગામે કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. જેથી પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. જો કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ આ મામલે ખેડૂતોની સમક્ષ હાજર રહેવાના હોય ત્યારે તેની પણ અટકાયત બગોદરા નજીક થઈ ગઈ હતી.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનીંગ મીલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે, એટલે કે જે કદડો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈશુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂકયા છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી એક મહાપંચાયતનું આયોજન કરાયું હોય જેને લઈને બોટાદ જિલ્લાના હડદડ ગામે મહાપંચાયત યોજનાર હતી.

મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો, ત્યારે બોટાદના ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આજરોજ હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેથી પોલીસ ડીટેન કરવા માટે આવી હતી ત્યારે ગેરકાયદેસર લોકોએ મંડળી બનાવીને મહાપંચાયતનું આયોજન કર્યું હોય જેને ડીટેઇન કરવા આવતા કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીને પણ ઊંધી વાળી દેવામાં આવી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ વિસ્ફોટ, 50 વર્ષીય વ્યક્તિ દાઝી ગયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મકાનમાં હાજર 50 વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધનાના ભીમનગર આવાસમાં રહેતા રૂધાકર ગિરધર ભાલેરાવ (ઉં.વ. 50) પોતાના ઘરમાં હાજર હતા. આ દરમિયાન અચાનક જ ગેસ લીકેજ થયો હતો, અને બાદમાં સિલિન્ડરમાં આગ લાગી હતી. ગેસ લીકેજ બાદ આગ લાગવાના કારણે રૂમમાં હાજર રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉધના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયરબ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ લાગવાના કારણે રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની સત્વરે કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન કર્યું, જે દેશના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનું એક છે અને ભારતની ઉડ્ડયન યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું, “મુંબઈની લાંબી રાહ પૂરી થઈ ગઈ છે. હવે મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમગ્ર પ્રદેશને એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.”

તેમણે વધુમાં કહ્યું —“આ એરપોર્ટ ‘વિકસિત ભારત’ ના વિઝનનું જીવંત પ્રતીક છે। તે છત્રપતિ શિવાજી મહારાજની ધરતી પર બનાવાયો છે અને તેની કમળથી પ્રેરિત ડિઝાઇન આપણી સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાનું પ્રતિબિંબ છે। આ એરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને મધ્ય પૂર્વના સુપરમાર્કેટ્સ સાથે સીધા જોડશે, જેના કારણે ખેડૂતો, માછીમારો અને બાગાયતોની તાજી પેદાશો વૈશ્વિક બજારમાં ઝડપી પહોંચશે। તે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને નવા રોકાણ અને રોજગારીના દ્વાર ખોલશે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એક નોંધપાત્ર જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની પેટાકંપની મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ અને CIDCO વચ્ચેની ભાગીદારી છે. તે ભારતના માળખાગત વિઝન અને 2047 સુધી વિકસિત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.

આ માત્ર એરપોર્ટ નથી : ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક એરપોર્ટ નથી, પરંતુ ભારતને વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર આજની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી, પરંતુ આવનારા દાયકાઓ માટે સંભાવના પણ બનાવે છે. આવનારી પેઢીઓ માટે, આ એરપોર્ટ ફક્ત મુસાફરોને જ નહીં, પરંતુ ઉભરતી મહાસત્તાના હૃદયના ધબકારા, સપના અને આકાંક્ષાઓને પણ વહન કરશે.”

NIMAએ એક સીમાચિહ્નરૂપ : જીત અદાણી
અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “NMIA ભારતની ઉડ્ડયન યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે, જે આધુનિક ટેકનોલોજી અને મુસાફરોના અનુભવને જોડે છે. તે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ને પૂરક બનાવીને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે મુંબઈની સ્થિતિને મજબૂત બનાવે છે.”

વિકસિત ભારત માટે નવી ફ્લાઇટ
NMIA ને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે ટ્વીન એરપોર્ટ સિસ્ટમના ભાગ રૂપે વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટ શરૂઆતમાં 20 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ (MPPA) ની ક્ષમતા સાથે કાર્યરત થશે અને ભવિષ્યમાં 90 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ (MPPA) સુધી વિસ્તરશે. એરપોર્ટની ડિઝાઇન કમળના આકારથી પ્રેરિત છે, જે ભારતના સાંસ્કૃતિક મૂળ અને આધુનિક ટેકનોલોજીકલ અભિગમોનું આકર્ષક મિશ્રણ છે. ઝાહા હદીદ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ, આ માળખું કુદરતી પ્રકાશ, ઉર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણીય ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

સ્માર્ટ કનેક્ટિવિટી અને મલ્ટી-મોડલ હબ
NMIA મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (અટલ સેતુ), નવી મુંબઈ અને મુંબઈ મેટ્રો, ઉપનગરીય રેલ નેટવર્ક અને પ્રસ્તાવિત જળમાર્ગો સાથે જોડાયેલ છે. આ નેટવર્ક પશ્ચિમ ભારતના વિશાળ પ્રદેશમાં મુસાફરો અને કાર્ગો બંનેની સીમલેસ અને ઝડપી હિલચાલને સરળ બનાવશે. શરૂઆતના બે તબક્કામાં, એરપોર્ટ એક રનવે અને એક ટર્મિનલ સાથે કાર્યરત રહેશે, જેની ક્ષમતા 20 MPPA હશે. બાદમાં, તેમાં ચાર રનવે, બહુવિધ ટર્મિનલ અને અત્યાધુનિક કાર્ગો સુવિધાઓ હશે, જેમાં નાશવંત માલ અને એક્સપ્રેસ કાર્ગો માટે સમર્પિત ટર્મિનલનો સમાવેશ થાય છે.

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ વિશે માહિતી
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (NMIAL) એ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ, નિર્માણ, સંચાલન અને જાળવણી માટે રચાયેલ ખાસ હેતુ વાહન છે. આ એક જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ છે, જેમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની પેટાકંપની, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) 74% હિસ્સો ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના ઉપક્રમ, CIDCO 26% હિસ્સો ધરાવે છે. NMIAL મહારાષ્ટ્રના નવી મુંબઈમાં સ્થિત છે અને મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ અને પશ્ચિમ ભારતની વધતી જતી હવા માંગને પૂર્ણ કરશે.

મધ્યપ્રદેશ સિરપ કાંડમાં હવે EDની એન્ટ્રી, શ્રીસન ફાર્માના ઑફિસ અને ફેક્ટરી પર દરોડા

0

મધ્યપ્રદેશના સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ લેવાને કારણે 20થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. બાળકોને આપવામાં આવેલી કફ સિરપ તમિલનાડુની શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.

હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ શ્રીસન ફાર્મા સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં શ્રીસન ફાર્માના સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. મહત્વની વાત એ છે કે તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ પણ દરોડા આપવામાં આવ્યા છે.

EDના અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ તપાસના આધારે આ મામલે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ED કંપની અને અન્ય લોકોએ કરેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. મધ્યપ્રદેશ પોલીસ પાસેથી કંપનીના માલિક જી રંગનાથનની કસ્ટડી મળ્યા બાદ, ED તેની પણ પૂછપરછ કરશે.

કંપનીનું લાઇસન્સ રદ થશે:
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્મા કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ટૂંક સમયમાં કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. શ્રીસન ફાર્મા કંપનીના માલિક જી રંગનાથનની ગયા અઠવાડિયે મધ્યપ્રદેશ અને તમિલનાડુ પોલીસે ધરપકડ કરી

સુરતમાં ઓડિશાની હસ્તકલામાં રામાયણ મહાભારતના પ્રસંગોનું પ્રદર્શન

ભારતીય સંસ્કૃતિ અને કળા, વચ્ચે પ્રાચીન સંબંધ છે. જેમાંની એક ‘ચિત્રકલા’માં કાગળ કે કપડાં પર બનતા ચિત્રો જીવંત બને છે. લોકકલાના વારસા સમાન પટચિત્ર કલા પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે, જેનો ઉદ્દભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો. ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન(GI) ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ મળી છે. આ ટેગ દ્વારા કળાની મૌલિકતા સુરક્ષિત રહી છે અને સ્થાનિક કલાકારોના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે.

ઓડિશાના ચિત્રકાર દેવી પ્રસાદે કહ્યું કે, ઓડિશાની પટચિત્ર કલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે. તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે, જેમ કે રામચરિત માનસ, કૃષ્ણલીલાની કથાઓને ખૂબ બારીકાઈ અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે. તામ્રપત્ર ઉપર લોખંડના સળિયાની ટેકનિકથી આર્ટ તૈયાર થાય છે તો બીજી તરફ કાપડ, પત્ર અને ટોર્સ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટફોર્મ વિકસાવવામાં આવે છે.

વધુમાં દેવી પ્રસાદે કહ્યું હતું કે, પેઈન્ટિંગ સાથે ઈતિહાસ, ભક્તિની વિરાસત સમાન આ હસ્તકલા કલાકારની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે. એક કલાકારને આ કલા આત્મસાત કરવામાં દસથી પંદર વર્ષ જેટલો સમય લાગી શકે છે. જે રીતે અન્ય લોકો વારસામાં જમીન-મિલકત મેળવે છે, એ જ રીતે અમે આ કલાને વડીલો પાસેથી વારસામાં મેળવીએ છીએ. આજે પણ હું જ્યારે પેઈન્ટિંગ કરું છું, ત્યારે એવું લાગે કે ભગવાન જગન્નાથ સામે બેઠા છે. હિન્દુ દેવીદેવતાઓ સહિતની ધાર્મિક કથાઓના ચિત્રોને ખૂબ જ ઝીણવટથી અને શાસ્ત્રીય અંદાજે તૈયાર કરવામાં આવે છે.

વધુમાં તેમણે કહ્યું કે, સુરતનો સરસ મેળો કલાકૃતિઓના વેચાણ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ગુજરાતી લોકોનો પ્રેમ અને હસ્તકલા માટેની સમજણ જોઈને આનંદ થયો છે. આધુનિક યુગમાં આજે પણ લોકો હેન્ડમેડ ચીજવસ્તુઓ અપનાવી રહ્યાં છે, જે અમારા જેવા કલાકારોની આજીવિકાનો સ્ત્રોત બને છે.

તેમણે ઉમેર્યું કે, સરળ મેળા જેવા આયોજનો અમારી કળાને મંચ પૂરો પાડે છે. સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મથી હવે ગ્રામીણ વિસ્તારના કલાકારોને પણ પોતાની કલા દર્શાવવાની તક મળી રહી છે. વિવિધ હસ્તકલા મેળાઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હવે આ કલા વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહી છે.

‘પટ’ એટલે કે કાપડ અને ‘ચિત્ર’ એટલે કે ચિત્રિત દ્રશ્ય. ઓડિશાની આ કલા લગભગ હજારેક વર્ષ જૂની છે. તેમાં ભગવાન જગન્નાથ, કૃષ્ણલીલા, રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓને ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ ચિત્રો મંદિરની દિવાલોને શોભાવવા માટે બનાવાતા હતા. તેની વિશિષ્ટ શૈલી, કુદરતી રંગો અને ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી છે. દરેક પેઈન્ટિંગ પાછળ કોઈ ન કોઈ વાર્તા હોય છે જે સંસ્કૃતિને જીવંત બનાવે છે. આ ઉપરાંત કાગળ, તાડપત્ર, અને કપડાં ઉપર હાથથી કરવામાં આવતી પેઈન્ટિંગને પ્રાચીન સમયમાં મંદિરમાં દેવદર્શને આવતા શ્રદ્ધાળુઓ નિહાળે છે. હવે અ ચિત્રો ઘરની શોભા પણ વધારી રહ્યા છે. 

લાલુ યાદવ, રાબડી અને તેજસ્વીને મોટો ઝટકો, IRCTC કેસમાં કોર્ટે આરોપોને આપી મંજૂરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. IRCTC કૌભાંડમાં એક મોટા ચુકાદામાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેય સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડ્યા છે. તેમની સામે સીબીઆઈના આરોપોમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર દ્વારા ટેન્ડરમાં દખલગીરીનો આરોપ છે.

લાલુ, રાબડી અને તેજસ્વી પર કેસ ચલાવવામાં આવશે. લાલુ યાદવ પર ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ છે. વધુમાં, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જો ત્રણેય સામેના આરોપો સાબિત થાય છે, તો તેમને એક થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.

હવે જાણો શું છે IRCTC કૌભાંડ
આ કેસ 2004 થી 2009ના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. CBIનો આરોપ છે કે આ દરમિયાન, બે IRCTC હોટલ (રાંચી અને પુરીમાં) માટે જાળવણીનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સ નામની ખાનગી કંપનીને ખોટી રીતે આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીનો દાવો છે કે લાલુ પરિવારને આ સોદાના બદલામાં પટનામાં કિંમતી જમીન મળી હતી. લાલુ પરિવાર ઉપરાંત, તત્કાલીન IRCTC ગ્રુપના જનરલ મેનેજર વીકે અસ્થાના, આરકે ગોયલ અને સુજાતા હોટેલ્સના ડિરેક્ટર વિજય અને વિનય કોચર પણ આ કેસમાં આરોપી છે.

CBIના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે પુરી અને રાંચીમાં રેલવેની BNR હોટલને IRCTCને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાળવણી અને સુધારો કરવા માટે તેમને ભાડે આપવાની યોજના હતી.

આ પ્રોજેક્ટ માટેનું ટેન્ડર વિનય કોચરની કંપની, મેસર્સ સુજાતા હોટેલ્સને આપવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા હતા. તત્કાલીન IRCTCના MD, પીકે ગોયલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 17 જુલાઈ, 2017ના રોજ, CBIએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. વિનય કોચર અને અન્ય આરોપીઓના 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

હવે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ વિશે જાણો
CBIનું કહેવું છે કે આખું કાવતરું 2004 થી 2009ની વચ્ચે ઘડાયું હતું, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ દરમિયાન, લગભગ તમામ કેસોમાં, નોકરી આપતા પહેલા જ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી અને મોટાભાગના કેસોમાં, ગિફ્ટ ડીડ તૈયાર કરવામાં આવ્યા હતા.

CBIએ ચાર્જશીટમાં એવો પણ દાવો કર્યો છે કે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે તેમના નજીકના સહાયક ભલ્લા યાદવે ગામમાં જઈને કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યોને નોકરી અપાવવાના બદલામાં, તેઓ પોત-પોતાની જમીન લાલુ પરિવારના નામે ટ્રાન્સફર કરે. લાલુ પરિવારના નામે જમીન ટ્રાન્સફર કરનારા તમામ આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને લાલુ પરિવાર દ્વારા રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.

સુરત ભાજપ વોર્ડ પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, સરાજાહેર પ્રતિબંધનો ભંગ

સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકનારી સુરત પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધનામાં આવેલા સાઇબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર ઊજવ્યો હતો. ખેરનારે તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે મળીને રસ્તા પર જ કેક કાપી હતી. આ દરમિયાન, તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર જોરદાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રમુખની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુરત શહેરમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ પ્રકારની બેફામ ઉજવણી પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે.

આ સંજોગોમાં, ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ હવે સવાલ ઊઠી રહ્યો છે કે શું સુરત પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરશે? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.