Home Blog Page 254

સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?

0

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું હતું. સરકારે તમામ મોબાઇલ કંપનીને ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચવાનો આદેશ આપ્યો હતો. જે બાદ વિવાદ શરૂ થયો હતો. સંચાર સાથી એપના ચાલી રહેવા વિવાદ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ એપ દ્વાર કોઈની જાસૂસી નહીં કરવામાં આવે, તેમજ ન તો કોલ મોનિટરિંગ કરવામાં આવશે.

સિંધિયાએ કહ્યું, જો તમે એપનો ઉપયોગ કરવા માંગતા હો તો એક્ટિવેટ કરો, જો ન ઈચ્છતા હો તો એક્ટિવેટ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો તેને ફોનમાંથી ડિલીટ પણ કરી શકો છો. સરકારની જવાબદારી એપને લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.

સિંધિયાએ કહ્યુ કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તે કંઈકને કંઈક શોધવાનો પ્રયાસ કરે છે, તો અમે તેની મદદ ન કરી શકીએ. અમારૂ કામ ગ્રાહકોની મદદ કરવાનું છે અને તેમની સુરક્ષાની ખાતરી કરવાનું છે. સંચાર સાથી એપ દરેક ગ્રાહકને પોતાની સુરક્ષાની ખાતરી કરવામાં સક્ષમ બનાવે છે. સંચાર સાથી એપ 1.5 કરોડથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી છે.

પ્રિયંકા ગાંધીએ જાસૂસીના આરોપો લગાવ્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, આ એક જાસૂસી એપ છે. સરકાર દેશને તાનાશાહીમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. નાગરિકોને તેમની ગોપનીયતાનો અધિકાર છે. દરેક વ્યક્તિને તેઓ તે સરકારની નજર વિના પરિવાર અને મિત્રોને સંદેશા મોકલી શકે તેવો ગોપનીયતાનો અધિકાર હોવો જોઈએ. આ માત્ર ટેલિફોન પર છૂપી રીતે નજર રાખવાની વાત નથી.

સંચાર સાથી એક સાઈબર સુરક્ષા એપ છે, જેને સરકારે મે 2023માં પોતાના પોર્ટલ બાદ લોન્ચ કરી હતી. જાન્યુઆરી 2024માં તે મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને iOS બંને પર આવી ગઈ. તે યૂઝર્સને મોબાઈલ ચોરી, ફેક કોલ, ફેક સીમ, IMEI ફ્રોડ અને મેસેજ સ્કેમથી બચાવવા માટે બનાવવામાં આવી છે.

આ એપ શું કામ કરે છે?
સંચાર સાથી એપ અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ આપે છે. જેમ કે…

  • ચોરી કે ખોવાયેલા મોબાઈલને સંપૂર્ણ દેશમાં બ્લોક કરી શકે છે.
  • પોલીસ અને એજન્સીઓને ફોનના લોકેશન ટ્રેસ કરવામાં મદદ કરી શકે છે.
  • “Chakshu” ફીચર દ્વારા ફેક કોલ, એસએમએસ કે વોટ્સએપ મેસેજ રિપોર્ટ કરી શકાય છે.
  • તમારા નામ પર કેટલા મોબાઈલ રજિસ્ટર્ડ છે, તે ચેક કરી શકાય છે.
  • “Know Your Mobile (KYM)” ફીચર ફોનની ઓથેન્ટિસિટી જણાવે છે કે ફોન નકલી છે કે અસલી.

પાંચ વર્ષમાં બે લાખથી વધુ કંપનીઓ બંધ, કર્મચારીઓના પુનર્વસન અંગે સરકારે શું કહ્યું?

0

દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓના શટડાઉનનો સિલસિલો ઝડપથી વધ્યો છે. સરકારે સોમવારે લોકસભામાં તેના આંકડા રજૂ કર્યા હતા. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણી કંપનીઓને નિયમો મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. તેમાં મર્જર, કન્વર્ઝન, સ્વૈચ્છિક બંધ અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેવાની સ્થિતિ પણ કારણ તરીકે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-2023 વર્ષ કોર્પોરેટ સફાઈ માટે સૌથી મહત્વનું હતું, જેમાં રેકોર્ડ 83,452 કંપનીઓ શટડાઉન થઈ હતી. તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડોરમેન્ટ કંપનીઓને દૂર કરવા માટે ચલાવવામાં આવેલા સ્ટ્રાઈક-ઓફ અભિયાન છે.

કયા વર્ષે કેટલી કંપનીઓ બંધ થઈ?

  • 2020-21: 15,216 કંપનીઓ
  • 2022-23: 83,452 કંપનીઓ
  • 2023-24: 21,181 કંપનીઓ
  • 2024-25: 20,365 કંપનીઓ

કર્મચારીઓના પુનર્વસન માટે સરકારનું પગલું
બંધ કંપનીઓના કર્મચારીઓના પુનર્વસન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત નથી. સરકારી માહિતી અનુસાર, 2021-22 થી શરૂ થતા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ 185,350 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.

8648 કંપનીઓને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી
આમાંથી, 16 જુલાઈ સુધીમાં, ફક્ત આ નાણાકીય વર્ષમાં જ 8,648 કંપનીઓના રેકોર્ડ રદ કરવામાં આવ્યા છે. કંપની અધિનિયમ, 2013 મુજબ, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખવાનું બંધ કરે છે અથવા જો કંપની પોતે નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડ રદ કરવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડ રદ કરી શકાય છે.

ગુજરાતના 6 IPS અધિકારીઓને બઢતી, રાજુ ભાર્ગવ-મનોજ શશિધર DGP બન્યા

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સોમવારે 01 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.

જેમાં આઈપીએસ ઓફિસરને ડીજીપી તરીકેનું પ્રમોશન મળ્યું છે. જેમાં 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

4 IPS અધિકારીઓને IG તરીકે મળી બઢતી
આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી.

દક્ષિણ ગુજરાતમાં 76 લાખની પહેલી ટેસ્લા કાર સુરત આરટીઓમાં નોંધાઈ

0

દક્ષિણ ગુજરાતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પૈકી પહેલી ઈલેકટ્રીક ટેસ્લા કાર સુરત આરટીઓમાં નોંધાઈ થઇ છે. સુરતના એક શાળા સંચાલક અને મિલમાલિકે 76 લાખની ટેસ્લા કર ખરીદી છે. ટેસ્લા કર ખરીદવા માટે કાર માલિકે છ મહિના પહેલા ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. છ મહિનાના વેટીંગ માટે કારમાલિકે ટેસ્લાની ડિલિવરી મળી છે. ગુજરાતમાં ટેસ્લાનું શો રૂમ નહીં હોવાની કરમાલિકે મુંબઈ જઈને ટેસ્લા કાર લીધી હતી.

મુંબઈમાં પણ ટેસ્લા કારની ટેસ્ટ દરા દ્રાઇવ અને ફીચર્સ જોઈ અને જાણી શકાય છે. આ શો રૂમ પાર ટેસ્લા કારનું સ્પોટ બુકિંગ કરાવી શકાતું નથી. કારમાલિકે બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા ફરજિયાતપણે ઓનલાઇન જ કરાવી પડે છે. સુરત આરટીઓમાં રજિસ્ટ્રેશન માટે આવેલી ટેસ્લા આકર્ષકનું કેન્દ્ર બની હતી. કારનું ઇન્સ્પેક્શન કરનારા આરટીઓ ઈન્સ્પેક્ટરે પણ ટેસ્લાનું મોડલ જોઈને અચંબિત થઇ ગયા હતા. કારનું 360 ડિગ્રી એંગલથી નિરીક્ષણ કરવા સાથે તેના એડવાંશ ફિચર્સથી વાકેફ થયા હતા.

લાલા કલર માટે 1.80 લાખ એક્સટ્રા ચૂકવ્યા
સુરત આરટીઓમાં ચોપડે પહેલી નોંધણી થયેલા ટેસ્લા કાર લાલ કલરની છે. કાર ખરીદનાર માલિકે લાલ કલરની કર ખરીદવા માટે કંપનીને 1.80 લાખ રૂપિયા એક્સટ્રા યુકવ્યા છે. જયારે વાહનમાલિકે આરટીઓનો અંદાજિત 1.40 લાખ રૂપિયા ટેક્સ યુકવ્યા છે.

સુરતના હીરા વેપારી પાસે મહારાષ્ટ્ર પાર્સીંગની ટેસ્લા કાર
સુરતની એક ડાયમંડ કંપનીના મલિક પાસે ટેસ્લા કાર છે. પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાર્સીંગનો ટેસ્લા કર છે. આ કાર તેમણે એકાદ વર્ષ પહેલા ખરીદી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેઓએ મુંબઈથી કાર ખરીદીને ત્યાં જ નોંધણી કરાવી હતી.

કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી, ઈમેલ મળતાં એરપોર્ટ પર અફરાતફરી

0

કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો… જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બેમાં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

હૈદરાબાદથી કુવૈત માટે ઉડાન ભરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક-ઓફ થયાના થોડા સમય બાદ, હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે.

બોમ્બ સ્ક્વોડ, CISF દ્વારા વિગતવાર નિરીક્ષણ
ઇમરજન્સી લેન્ડિંગ પૂર્ણ થતાંની સાથે જ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ વિમાનને ઘેરી લીધું. બધા મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ, બહુ-સ્તરીય બોમ્બ ધમકી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું.

નોંધનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો પછી સુરક્ષા એજન્સીઓએ તેમની સતર્કતા વધારી દીધી છે. આમ છતાં, બે અઠવાડિયા પહેલા, એરપોર્ટ અને વિમાનોને પણ બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે કેનેડાના ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ વિશે સૌપ્રથમ બોમ્બની ધમકી ફેલાવવામાં આવી હતી, ત્યારે મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટ સામે પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. વધુમાં, કેટલાક અસામાજિક તત્વોએ દિલ્હી એરપોર્ટ, ગોવા એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી છે.

સિગારેટ–પાન મસાલા પર નવા સેસની તૈયારી, કેન્દ્ર સરકારે સંસદમાં લાવ્યું મોટું ટેક્સ સુધારા બિલ

0

સંસદ સત્રમાં સરકાર એક મોટો ટેક્સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલો હશે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં બે મહત્વના બિલ રજૂ કરશે. નાણામંત્રી હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ બિલ, ૨૦૨૫ અને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ સુધારા બિલ રજૂ કરશે. જેના હેઠળ વર્તમાન GST કાપનસેશન સેસ ને બદલીને નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સેસના દરોમાં કોઈ પણ પ્રકારનો
ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં GST હેઠળ આ પ્રોડક્ટ્સ પર જેટલો સેસ લગાવવામાં આવે છે, તે જ સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ પણ લાગશે. એટલે કે, GST હેઠળ સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર લાગતા હાલના સેસને હવે આ નવા સેસ દ્વારા બદલવામાં આવશે.

સરકાર આ પ્રોડક્ટ પર લાગતા GSTવાળા જૂના સેસને રિપ્લેસ કરી રહી છે, જેથી ટેક્સ કલેક્શનને વધુ સરળ બનાવી શકાય. વર્તમાન સમયમાં સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર GST ઉપરાંત વળતર ઉપકર પણ લાગે છે, જેની મુદત પૂરી થઈ રહી છે. સરકાર તે જ સ્ટ્રક્ચરને નવા નામ અને નવા કાયદા હેઠળ આગળ ધપાવવા માંગે છે. જેથી આવકમાં કોઈ ગેપ ન આવે.

આ ફેરફારથી દરોમાં કોઈ વધારો થવાનો નથી એટલે કે હાલ પૂરતી સામાન્ય લોકો માટે કિંમતો પર સીધી અસર જોવા નહીં મળે પરંતુ ટેક્સ સિસ્ટમ બદલાવાથી કંપનીઓ માટે રિપોર્ટિગ અને કમ્પ્લાયન્સમાં ફેરફાર આવશે. ખાસ કરીને સિગારેટ સેક્ટર તો પહેલેથી જ સખત ટેક્સ માહોલમાં કામ કરે છે, એટલે નવો કાયદો તેમની સામે નવા અનુપાલન નિયમો લાવી શકે છે.

સિગારેટ પર સેસ લગાવવા માટે તેને GSTમાંથી હટાવીને સેન્ટ્રલ એકસાઇઝ એક્ટ હેઠળ લાવવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આ પ્રોડક્ટ્સની ટેક્સ મોનિટરિંગ પર વધુ કંટ્રોલ રહે. એકસાઇઝ સ્ટ્રક્ચર દ્વારા ટ્રેકિંગ સરળ બને છે અને ટેક્સ ચોરીના કેસ પણ ઘટે છે.

સુરત ક્રાઈમ બ્રાંચની મોટી સફળતા: બેંગકોકથી લવાયેલ 1.70 કરોડથી વધુનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

સુરત શહેરમાં નશો વિરુદ્ધ ચાલી રહેલી “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત પોલીસને એક વધુ મોટી સફળતા મળી છે. શહેરના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ JCP ક્રાઈમ, DCP ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાંચે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે બેંગકોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-263 દ્વારા સુરત આવનાર મુસાફર જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

બાતમી હકિકત મળી આવતાં જ ડુમસ પોલીસ, એર ઈન્ટેલિજન્સ યુનિટ અને CISF ની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. આરોપીની ચેક–ઈન લગેજની તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ‘હાઈડ્રો વીડ’ એટલે કે હાઈબ્રિડ ગાંજાના કુલ 4035.97 ગ્રામનો જથ્થો મળ્યો, જેની કિંમત રૂ. 1,41,25,895 જેટલી થાય છે. તાત્કાલિક અસરથી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવામાં આવ્યો હતો.

આગામી તપાસ માટે આરોપીને પોલીસ રીમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન જાફરે ખુલાસો કર્યો કે ગેરકાયદેસર માદક પદાર્થનો વધુ જથ્થો તેણે બેગના પડમાં છુપાવ્યો છે. કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા વધારાના રીમાન્ડ બાદ ક્રાઈમ બ્રાંચે તેની ટ્રોલી બેગનું ટેક્નિકલ સાધનોની મદદથી ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું. બેગના ઉપર–નીચેના પડમાંથી વધુ ચાર પેકેટ મળી આવ્યા, જેમાં કુલ 4 કિલો 852 ગ્રામ હાઈબ્રિડ ગાંજો હતો, જેની અંદાજીત કિંમત રૂ. 1,69,82,000 જેટલી થાય છે.

આ રીતે સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 8.88 કિલો (8887.97 ગ્રામ) હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 3,11,07,895 જેટલી છે.

પોલીસ અનુસાર આ જથ્થો ભારતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો અને આરોપી ડ્રગ્સ રેકેટનો મહત્વપૂર્ણ ભાગ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ મુખ્ય સપ્લાયર, નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ ચાલુ છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સુરત પોલીસ શહેરમાંથી નશાના નેટવર્કને નાબૂદ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

Surat: ચૂંટણીમાં 10 ટકા EWSની માગ સાથે પાટીદાર નેતા મેદાને ઉતર્યા

ભાજપ નેતા વરુણ પટેલે આપેલા નિવેદન બાદ હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મેદાને ઉતર્યા છે. અનામત આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં 10 ટકા EWS ની માંગણી કરી છે. તેમજ ચૂંટણીમાં EWS થી દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળી રહેશે એવો સૂર પણ આલાપ્યો છે.

પાટીદાર નેતા મેદાને ઉતર્યા
ભાજપના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે ડાલમાં જ સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટથી ઉડાપોહ મચ્યો છે. તેમને પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા મુદ્દે આકરું નિવેદન આપ્યું હતું. વરૂણ પટેલના આ નિવેદનને હવે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપતા રાજકારણમાં હલચલ મચી છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ડાલમાં વરુણભાઈએ દૂધસાગર ડેરીમાં 21 ટકાથી પણ વધુ મતદારો હોવા છતાં માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ અને ભવિષ્યમાં 10 ટકા EWS લાગું નહીં થાય તો સમાજને નુકશાન થશે એ બે બાબત મૂકી છે.

આ નિવેદનને સંપૂર્ણ સમર્થન છે. સ્વાભાવિક રીતે 10 ટકા EWS હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે EWS લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68 થી પણ વધુ જ્ઞાતિનો એક EWS નો વર્ગ છે, એને પોતાના અધિકારો પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગેચંગે ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથો સાથ 10 ટકા EWSનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી પ્રશ્ન ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે.

તમિલનાડુમાં એસટીની બે બસો સામ-સામે અથડાતાં 11 લોકોના મોત, 40થી વધુ ઘાયલ

0

તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપતૂરની પાસે રવિવારે રાજ્ય પરિવહન વિભાગની બે બસો સામ-સામે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. મૃતકોમાં આઠ મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

શિવગંગા જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શિવાપ્રસાદે કહ્યું કે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. રાજ્ય પરિવહન નિગમની બસો સામ-સામે ટકરાઈ છે. આ બંને બસો ડ્રાઇવર સાઇડમાં અથડાઈ, જેના કારણે બસો કાટમાળમાં ફેરવાઈ ગઈ. પીડિતોના મૃતદેહો બસની સીટોમાં ફસાઈ ગયા. જેના કારણે બસના કાચ તોડીને અન્ય યાત્રીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. પોલીસના કહેવા મુજબ, ટક્કરના કારણે બંને બસોનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાક યાત્રીઓના મોત ઘટનાસ્થળે જ થયા હતા.

દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ થયેલા લોકોને ત્વરિત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ઘાયલોને તાત્કાલિક સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ સહાય આપવા માટે અધિકારીઓને સૂચના આપી છે

સંસદ શિયાળુ સત્ર શરૂ થશે, માત્ર 15 દિવસીય સત્રમાં 14 બિલ રજૂ

0

સરકારે સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર માટે 14 આર્થિક બિલોની યાદી જાહેર કરી છે. તેમાં ઈન્સ્યોરન્સ કાયદામાં ફેરફાર કરતું વિધેયક અને તંબાકુ-પાન મસાલા જેવા ‘સિન ગુડ્સ’ પર ટેક્સ અને સેસ લગાડતાં બે અન્ય બિલોનો સમાવેશ થાય છે. એ સાથે જ 2025-26 માટેની ગ્રાન્ટ્સની સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સનો પહેલો તબક્કો પણ આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર સુધી ચાલશે.

આ માટે સાંસદોને મોકલવામાં આવેલી બિલોની યાદી મુજબ સરકાર નવી પેઢીના ફાઇનાન્સિયલ સુધારાઓના ભાગરૂપે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની યોજના સાથે ઈન્સ્યોરન્સ કાયદા (સંશોધન) બિલ 2025 રજૂ કરશે. અત્યાર સુધી ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વિદેશી સીધી મૂડીરોકાણ (FDI) દ્વારા રૂ. 82,000 કરોડ આવી ચૂક્યું છે.

હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં સેન્ટ્રલ એક્સાઈઝ (સંશોધન) વિધેયક 2025 અને હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ 2025 રજૂ કરશે. આ વિધેયકો મારફતે સિગારેટ, તંબાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર લાગતા GST કોમ્પોન્સેશન સેસને બદલીને નવો સેસ લાદવામાં આવશે. હાલમાં તંબાકુ અને પાન મસાલા પર 28 ટકા GST લાગે છે અને તેના પર જુદા-જુદા દરે કોમ્પેન્સેશન સેસ વસૂલવામાં આવે છે.

સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025
સરકારે સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ બિલ 2025 પણ રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યું છે, જે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એક એકીકૃત સિક્યોરિટીઝ માર્કેટ કોડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ 2025
જન વિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ) બિલ 2025 સામાન્ય જીવન અને બિઝનેસને સરળ બનાવવા માટે નાના ગુનાઓને ડિક્રિમિનલાઈઝ કરવાની દિશામાં કાર્ય કરે છે. આ બિલ ઓગસ્ટમાં લોકસભામાં રજૂ થયું હતું અને તેને એક સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું.

અન્ય આર્થિક બિલોમાં નીચેના વિધેયકોનો સમાવેશ થાય છે:

  • ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સંશોધન) બિલ 2025
  • મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (સેકન્ડ એમેડમેન્ટ) બિલ 2025
  • નેશનલ હાઈવે (સંશોધન) બિલ 2025
  • કોર્પોરેટ લો (સંશોધન) બિલ 2025