Home Blog Page 222

“અરે છોડો યાર, ફાલતુ સવાલો ન પૂછો” 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન

0

મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં દૂષિત પાણીના સપ્લાયને કારણે થયેલી ભયાનક દુર્ઘટના બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાને લઈને સવાલ પૂછવા પર રાજ્યના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમણે માફી માંગી હતી.

શું છે સમગ્ર ઘટના?
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાને કારણે ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હતું. આ દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં ઉલટી-ઝાડાનો રોગચાળો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે, જેમાંથી સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે એક તપાસ સમિતિની રચના કરી છે. તેમણે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને એકને સેવામાંથી બરતરફ કરી દીધા છે. સરકાર પ્રભાવિતોના સારવારનો ખર્ચ ઉઠાવી રહી છે અને ટેન્કરો દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી રહી છે.

મંત્રી વિજયવર્ગીયનો વિવાદિત જવાબ
બુધવારે એમજીએમ મેડિકલ કોલેજમાં મુખ્યમંત્રીની બેઠક બાદ, કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (જેમનો વિધાનસભા ક્ષેત્ર ઇન્દોર-1 ભાગીરથપુરામાં આવે છે) બહાર નીકળ્યા હતા. તે સમયે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને હજુ સુધી રિફંડ કેમ નથી મળ્યું અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કેમ નથી થઈ?

આ સવાલ પર મંત્રી ભડકી ગયા અને બોલ્યા, “અરે છોડો યાર, ફાલતુ સવાલો ન પૂછો.” જ્યારે પત્રકારે ફરીથી આગ્રહ કર્યો, ત્યારે તેમણે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. આ દરમિયાન, એક સ્થાનિક કોર્પોરેટર (કમલ વાઘેલા)એ પણ પત્રકાર સાથે ઉગ્ર દલીલ કરી હતી.

વીડિયો વાયરલ થયા બાદ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. વિવાદ વધતા, મોડી રાત્રે મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને માફી માંગી. તેમણે લખ્યું: “હું અને મારી ટીમ છેલ્લા બે દિવસથી ઊંઘ્યા વગર પ્રભાવિત વિસ્તારમાં સતત પરિસ્થિતિ સુધારવામાં લાગેલા છીએ. દૂષિત પાણીથી મારા લોકો પીડિત છે અને કેટલાક આપણને છોડીને ચાલ્યા ગયા છે, આ ઊંડા દુઃખની સ્થિતિમાં મીડિયાના એક સવાલ પર મારા શબ્દો ખોટા નીકળી ગયા. તે માટે હું ખેદ વ્યક્ત કરું છું. પરંતુ જ્યાં સુધી મારા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ નહીં થઈ જાય, ત્યાં સુધી હું શાંત નહીં બેસીશ.”

કોંગ્રેસે મંત્રીના આ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ આને “સત્તાના અહંકારનું પ્રતિક” ગણાવ્યું અને માંગ કરી કે મંત્રી જાહેરમાં માફી માંગે. વિપક્ષનું કહેવું છે કે સ્વચ્છતાના દાવાઓ છતાં આવી બેદરકારી વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે. બીજી તરફ, વહીવટીતંત્રનો દાવો છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

0

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને પ્રશ્ન છે કે આખરે ક્યારે દેશની બુલેટ ટ્રેન દોડશે? આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.

મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રગતિ (12 ડિસેમ્બર 2025 મુજબ)

  • 508 કિ.મીમાંથી 330 કિ.મી વાયડક્ટ અને 408 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે
  • 17 રિવર બ્રેજ, 5 પીએસસી (પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ) અને 11 સ્ટીલ બ્રિજ, 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પ્રથમ 130 મીટર સ્પાન પૂર્ણ થયો છે
  • 235 કિ.મીના પટ પર 4.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે
  • 560 ટ્રેક કિમી (130 રૂટ કિમી) આરસી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું
  • મુખ્ય લાઇન વાયડક્ટના આશરે 85 કિમી રૂટને આવરી લેતા લગભગ 3700 OHE માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • પાલઘર જિલ્લામાં 7 પર્વતીય ટનલ પર ખોદકામ ચાલુ છે
  • બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્રમાં) વચ્ચેની 21 કિમી ટનલમાંથી 5 કિ.મી NATM ટનલ ખોદવામાં આવી છે
  • સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલુ છે
  • ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે. ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે.

નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડર ₹111 મોંઘું

0

નવા વર્ષ 2026ની શરૂઆત મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.

મુખ્ય શહેરોમાં નવા ભાવ
1 જાન્યુઆરી, 2026થી લાગુ થયેલા નવા દરો મુજબ, દેશના મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:

દિલ્હી: અહીં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1580.50 થી વધીને હવે ₹1691.50 થઈ ગયો છે.
કોલકાતા: કોલકાતામાં સિલિન્ડરનો ભાવ ₹1684 થી વધીને ₹1795 પર પહોંચી ગયો છે.
મુંબઈ: મુંબઈમાં જે સિલિન્ડર ₹1531.50 માં મળતો હતો, તેની કિંમત હવે ₹1642.50 થઈ ગઈ છે.
ચેન્નઈ: ચેન્નઈમાં ભાવ ₹1739.5 થી વધીને ₹1849.50 કરવામાં આવ્યો છે.

સતત બે મહિનાના ઘટાડા બાદ વધારો
આ ભાવવધારો સતત બે મહિનાના ઘટાડા બાદ આવ્યો છે. આ પહેલા 1 ડિસેમ્બર, 2025ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી અને કોલકાતામાં ₹10 જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં ₹11નો ઘટાડો થયો હતો. નવેમ્બર 2025માં પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર
એક તરફ જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યાં 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ એપ્રિલ 2025ના સ્તર પર જ સ્થિર છે. હાલમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:

દિલ્હી: ₹853
કોલકાતા: ₹879
મુંબઈ: ₹852
ચેન્નઈ: ₹868

શિયાળામાં દહીં જમાવવાની અનોખી ટ્રીક: લીલી મરચીની મદદથી બનાવો ક્રીમી અને ઘટ્ટ દહીં

0

દહીં હંમેશા આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, ભલે તે ગરમીઓ હોય કે શિયાળાં. જોકે શિયાળામાં દહીં જમાવવાનો પ્રશ્ન મોટો બની જાય છે. ઠંડીના સમયમાં દહીં જલ્દી જ નથી જમતું, ક્યારેક ઘણી મોડું પણ થાય છે, અને ક્રીમી અને મજબૂત દહીં બનાવવી મુશ્કેલ બની જાય છે.જો તમે પણ શિયાળામાં ઘરમાં મજબૂત અને ક્રીમી દહીં બનાવવામાં મુશ્કેલી અનુભવો છો, તો આ પ્રાચીન અને અસરકારક લીલી મરચી વડે દહીં જમાવવાની ટ્રિક તમારા માટે સાચી છે.

લીલી મરચી કઈ રીતે મદદ કરે છે
લીલી મરચીના તણકામાં એવા એન્ઝાઇમ અને સૂક્ષ્‍મજીવ રહેલા છે જે દૂધને ઝડપી ગાઢ કરવામાં મદદ કરે છે. આ સરળ અને કુદરતી રીતથી શિયાળામાં પણ દહીં ઝડપથી જમશે અને ક્રીમી રહેશે.

જરૂરી સામગ્રી:
પૂરો ફેટ દૂધ – 1 લીટર
લીલી મરચી – 2-3 (તણકાં સહિત)
ઢાંકણ સાથેનો વાસણ (મિટ्टी, કાચ કે સ્ટીલ)
બનાવવાની રીત:

પગલું 1 – દૂધ ઉકાળો:
દૂધને સારી રીતે ઉકાળો, જેથી તે થોડું ગાઢ થાય.
પગલું 2 – દૂધને લુકવોર્મ કરો:

દૂધ ઉકાળ્યા પછી થંડુ થવા દો, આશરે એ તાપમાન સુધી કે જ્યારે તમારી આંગળી મૂકી શકો અને ગરમી સહન કરી શકો. દૂધ બહુ ગરમ કે બહુ ઠંડું ન હોવું જોઈએ.

પગલું 3 – લીલી મરચી તૈયાર કરો: લીલી મરચીને ધોઈને સુકવાવો. ધ્યાન રાખો કે તણકા લાગેલા મરચીનો ઉપયોગ કરવો, કેમ કે મુખ્ય એન્ઝાઇમ તણકામાં રહે છે.
પગલું 4 – મરચી ઉમેરો:

લુકવોર્મ દૂધને મિટ્ઠી, કાચ કે સ્ટીલના વાસણમાં રેડો.
2-3 લીલી મરચી, આખી કે કપેલી, દૂધમાં ઉમેરી દો. ખાતરી કરો કે મરચીના તણકા પૂરેપૂરે દૂધમાં ડૂબી જાય.
પગલું 5 – ઢાંકણ મૂકો અને ગરમ જગ્યાએ રાખો: વાસણ ઢાંકીને 10-12 કલાક માટે ગરમ જગ્યાએ રાખો (અથવા રાતભર).
પગલું 6 – દહીં તૈયાર:

દહીં જમ્યા પછી મરચી બહાર કાઢો.
દહીંને 1-2 કલાક ફ્રિજમાં રાખો જેથી તે સારી રીતે ક્રીમી અને મજબૂત થઈ જાય.
ટિપ્સ અને નોટ્સ:

લીલી મરચીનો ઉપયોગ માત્ર દહીંને જમાવવાની પ્રોસેસ માટે છે, તેની મીઠાશ અથવા તીખાશ પર અસર નથી થતી.
શિયાળામાં આ રીતથી દહીં ન માત્ર ઝડપી જમશે, પરંતુ ક્રીમી અને સ્વાદિષ્ટ પણ રહેશે. જો તમારે વધુ મજબૂત દહીં જોઈએ, તો દૂધનું ફેટ વધારે હોય તે સારું.

નવા વર્ષની શરૂઆત સાથે કાતિલ ઠંડી અને ધુમ્મસનો કહેર, ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

નવા વર્ષના પહેલા દિવસે, દેશના ઘણા ભાગોમાં હવામાને તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો કહેર ચાલુ છે. ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડી શકે છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરશિયાળે થયેલા આ કમોસમી વરસાદને કાર ઘઉં, ચણા, તુવેર અને ધાણાના વાવેતરને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

નવા વર્ષની શરૂઆત સાથે જ રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીથી ધ્રૂજી ઉઠ્યું છે. મધ્ય ભારતથી લઈને પૂર્વ અને પૂર્વોત્તર ભારત સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. હિમાલયના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં અતિશય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. રોડ, રેલ અને હવાઈ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થવાને કારણે જનજીવન થંભી ગયું છે. દિલ્હી અને શ્રીનગરમાં 300થી વધુ ફ્લાઇટ્સ પર તેની અસર પડી છે. અત્યારે રાહતની કોઈ આશા દેખાઈ રહી નથી. ઉત્તર ભારતમાં ચારથી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં વરસાદની પણ શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, ઓડિશા અને મેઘાલયના કેટલાક ભાગોમાં મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. મોટાભાગના સ્થળોએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી રહી ગઈ હતી. પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, બિહાર, મધ્ય પ્રદેશ અને આસામના જુદા જુદા વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

તીવ્ર ઠંડા પવનોએ લોકોને ઘરોમાં કેદ રહેવા મજબૂર કરી દીધા છે. આઈએમડી મુજબ જ્યારે તાપમાન ઓછું હોય, પવનની ગતિ હળવી હોય અને ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ધુમ્મસ બને છે અને દિવસ દરમિયાન લાંબો સમય સુધી રહે છે. ધુમ્મસ સૂર્યપ્રકાશને અવરોધે છે, તેથી દિવસ દરમિયાન વધુ ઠંડી અનુભવાય છે.

મેદાની રાજ્યોમાં શીતલહેરને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. પંજાબના અમૃતસરમાં સૌથી ઓછું 6.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. હરિયાણામાં રોહતક સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી અને રાજસ્થાનના કરૌલીમાં સૌથી ઓછું 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને યુપી સહિતના મેદાની રાજ્યોમાં આજે હળવો વરસાદ પડી શકે છે. પૂર્વ યુપી અને હિમાચલ પ્રદેશમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે બિહારમાં ગંભીર કોલ્ડ ડેની ચેતવણી આપવામાં આવી છે.

નવા વર્ષની ઉજવણી વચ્ચે સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ, અનેક મોતની આશંકા

નવા વર્ષના પ્રથમ દિવસે જ માઠા સમાચાર આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ ધમાકામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે.

નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ એક બારમાં થયો હતો. સ્વિસ પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટ સ્વિસ શહેર ક્રેન્સ મોન્ટાનામાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે. વિસ્ફોટ પછી બારમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. સ્વિસ પોલીસની બચાવ ટીમો તેમને બારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષના દિવસ નિમિત્તે આ બારમાં પાર્ટીઓ ચાલી રહી હતી અને વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી. સ્વિસ પોલીસે તેની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર વાલેસ કેન્ટનની પોલીસના પ્રવક્તા ગાયતાન લાથિયોએ જણાવ્યું કે વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ સ્પષ્ટ નથી.

પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ, ઇમરાન ખાનની બહેન અલીમાની ધરપકડ

0

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જેલમાં છે. તેમની બહેનો અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન, પોલીસે ખાનની બહેન અલીમાની ધરપકડ કરી છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વધી રહી છે. પાકિસ્તાનના કાયર ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર બતાવ્યું છે કે તેઓ કેટલી હદે ઝૂકી શકે છે. ઇમરાન ખાનને મળવા માટે આદિયાલા જેલની બહાર વિરોધ કરી રહેલી બહેનો સામે મધ્યરાત્રિ પછી કાર્યવાહી કરવામાં આવી હતી. ઇમરાનની બહેન અલીમા ખાનની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં, ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ઇમરાનના સમર્થકો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં, મુનીર ઈમરાનના નામથી એટલો ડરી ગયો છે કે ખાનના સમર્થકોને જેલની બહાર પણ જવા દેવામાં આવી રહ્યા નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે નજીકના સંબંધીઓ દર મંગળવારે ઈમરાનને મળે. કોર્ટના આદેશ પર ઈમરાનની બહેનો તેને મળવા આવી હતી. જ્યારે ખાનને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો, ત્યારે બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે પોલીસ કાર્યવાહી થઈ. ફક્ત અલીમા ખાનની ધરપકડના ફોટા જ સામે આવ્યા છે.

ધરપકડ દરમિયાન ઇમરાનની બહેન અલીમા ખાને અસીમ મુનીર પર ઉગ્ર હુમલો કર્યો. અલીમાએ કહ્યું કે મુનીર ગમે તેટલો જુલમ કરે, લોકો ટૂંક સમયમાં ઈમરાનના સમર્થનમાં રસ્તા પર ઉતરશે. તેણે કહ્યું, “અમે આ દેશના લોકો છીએ, અહીં અમારો અધિકાર છે, આ દેશ અમારો છે, 25 કરોડ લોકોને દેશમાંથી હાંકી શકાય નહીં, જો તેઓ ઈચ્છે તો તેઓ આ દેશને પણ વેચી શકે છે, તેઓએ તેને વેચવાનું શરૂ કરી દીધું છે, અમે ઈમરાન ખાન સાથે ઉભા છીએ, તમે જોશો ઈન્શાઅલ્લાહ, ખૂબ જ ટૂંક સમયમાં લોકો રસ્તા પર આવશે અને બીજો કોઈ રસ્તો બાકી નથી.” અલીમાએ કહ્યું, “અમારી પાસે જવા માટે કોઈ કોર્ટ નથી અને અહીં કોઈ કાયદો નથી. તેઓ આખો દિવસ કાયદો તોડી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ, પછી લોકો પોતાનો કાયદો ફરીથી સ્થાપિત કરશે.”

ઇમરાનના સમર્થકોએ જોરથી ગર્જના કરી. ઇમરાનની બહેનો સાથે, મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થકો પણ અદિયાલા જેલ પહોંચ્યા. આ દરમિયાન, ઇમરાનના સમર્થકોએ મુનીર અને શાહબાઝ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઇમરાનના સમર્થકોએ કહ્યું કે જેમ તેમના નેતા જેલની અંદર અડગ ઉભા છે, તેમ તેઓ તેમના પરિવાર સાથે બહાર પણ તેમના માટે અડગ ઉભા છે.

ભાગીને લગ્ન કરનારા પ્રેમી-પંખીડાઓ હવે ચેતી જજો! ગુજરાત સરકાર લાવવા જઇ રહી છે આ નિયમ

0

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી હતી. બેઠકમાં ખાસ કરીને વધતા સાયબર ફ્રોડ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ફ્રોડ માટે મોકલાતી લિંકમાં છુપાયેલા વાયરસ મારફતે ડેટા ચોરી થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. Dy. Cm. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે ખાસ ચર્ચા કરી હોવાનું પણ જણાવાયું હતું. સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઈન કાર્યરત હોવાનું સરકારે ફરી એકવાર જનતાને યાદ અપાવ્યું છે.

જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચના
કેબિનેટ બેઠકમાં ગ્રામિણ સહકારી બેંકોના વ્યાપ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યની 9 સહકારી બેંકોને નાબાર્ડ મારફતે વધુ લાભ મળે તે દિશામાં સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે રાજ્યના સર્વાંગી વિકાસ માટે જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી 29 લાખ ખાતેદારોને લાભ મળ્યો
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ઉપરાંત ગુજરાતમાં કુલ 5 લાખ પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ કરવામાં આવશે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી 29 લાખ ખાતેદારોને લાભ મળી ચૂક્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી હાજર રહેશે
આગામી રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી હાજર રહેશે, જેને લઈને સરકાર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ સ્વીકાર્યું.

‘પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય કરાશે’
પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે ઉઠેલી ચર્ચા અંગે સ્પષ્ટતા કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગ્રાન્ટના અભાવે પગાર વિલંબ થયો છે, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે ગંભીરતાથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની માગ
ગુજરાતમાં પાટીદાર, ઠાકોર સમાજ સહિતના આગેવાનો લાંબા સમયથી પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી રહ્યા છે. એસપીજીના લાલજી પટેલ તો અલગ અલગ જગ્યાએ સંમેલન યોજી આ માગને બુલંદ બનાવી રહ્યા છે. ચાર મહિના પહેલાં આ માગણીને લઈ મહેસાણામાં યોજાયેલી એક જનક્રાંતિ મહારેલીમાં પાટીદાર સમાજના આગેવાને કહ્યું હતું કે પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે.

લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર આ રીતે થશે

  • ભાગીને થતાં લગ્નની સીધી નોંધણી બંધ
  • વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત
  • જ્યાં સુધી મંજૂરી ન આવે ત્યાં સુધી તલાટી નોંધણી નહીં કરી શકે
  • યુવક-યુવતીના માતા-પિતાને સત્તાવાર નોટિસ
  • 30 દિવસમાં માતા-પિતાને લેખિત જવાબ આપવો ફરજિયાત
  • આ જવાબને આધારે વર્ગ-2 અધિકારી પોતાનો અભિપ્રાય અને મંજૂરી આપશે

નવા વર્ષની ઉજવણી પર પોલીસ એલર્ટ: ડ્રોનથી સઘન નજર, નશેડીઓ પર કડક કાર્યવાહી

0

નવા વર્ષને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. લોકો નવા વર્ષને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને નશેડીઓને ઝડપવા પોલીસ ઉમરગામથી લઇને નડાબેટ સુધી અને દાહોદથી લઇને દ્વારકા સુધી એલર્ટ છે. પોલીસ આ વર્ષે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને સઘન દેખરેખ કરી રહી છે. જો કોઇ ફાર્મહાઉસ કે ક્યાંય પણ ખૂણેખાંચરે મહેફિલ માણતું હશે તોપણ પોલીસની આકાશી નજરથી બચી નહીં શકે.

નવસારીમાં શહેરની આસપાસ આવેલાં અનેક ફાર્મહાઉસમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ થવાની શક્યતાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટેકનોલોજીનો સહારો લઈને ફાર્મહાઉસના ટેરેસ, ખુલ્લી જગ્યાઓ અને ઝાડીઝાંખરાવાળા વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ચકાસણી કરવામાં આવી રહી છે.

વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડરની ચેકપોસ્ટ અને નજીકના વિસ્તારમાં પોલીસ ડ્રોન સાથે એલર્ટ છે. આવી જ રીતે મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જિલ્લામાં પણ નશેડીઓને ઝડપવા પોલીસ ખડેપગે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ-ગાંધીનગર સહિત તમામ મોટાં શહેરોથી લઇ નાનામાં નાનાં ગામંડામાં પોલીસની બાજનજર છે.

બનાસકાંઠા અને અરવલ્લીમાં પોલીસ વધુ એલર્ટ છે. અહીંની તમામ સંવેદલશીલ ચેકપોસ્ટ અને અંતરિયાળ ધૂળિયા રસ્તે પણ પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 31મીની ઉજવણી માટે લોકો સામાન્ય રીતે નદી કિનારે કે દરિયાકિનારા જેવાં નિર્જન સ્થળો પસંદ કરતા હોય છે. આવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પોલીસ માટે પહોંચવું મુશ્કેલ હોય છે ત્યાં પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સગીરાનો બળાત્કારી RAC જવાન વૃંદાવનમાં વેશ બદલી છુપાયો, જાણો કેવી રીતે ઝડપાયો?

0

કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સમાજમાં ભારે રોષ જોવા મળે છે. રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરએસી (RAC) ના બરતરફ જવાન રાજેન્દ્ર સિસોદિયાને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં મહિલાના કપડાં અને બુર્કો પહેરીને રહેતો હતો. જોકે, પોલીસની બાજ નજરથી તે બચી શક્યો નહીં અને આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

આ ગંભીર ઘટના 15 ડિસેમ્બરે ધોલપુરના કોતવાલી વિસ્તારમાં બની હતી. આરોપી રાજેન્દ્ર સિસોદિયાએ પીડિતાના પિતાને રેલવેમાં નોકરી અપાવવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લીધા હતા. એડમિટ કાર્ડ આપવાના બહાને તેણે 16 વર્ષીય સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યારે સગીરા તેના નાના ભાઈ સાથે ત્યાં પહોંચી, ત્યારે આરોપીએ ચાલબાજી કરી ભાઈને ડોક્યુમેન્ટની ફોટોકોપી કરાવવા બહાર મોકલી દીધો અને પાછળથી સગીરા સાથે હેવાનીયત આચરી હતી. ઘટના બાદ આરોપી તુરંત ફરાર થઈ ગયો હતો, જેના પર પોલીસે 10 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આ ઘટનાને પગલે કુશવાહા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રાજકીય નેતાઓ અને પૂર્વ ધારાસભ્યોએ આરોપીની ધરપકડ માટે આંદોલનની ચીમકી આપી હતી. વહીવટી તંત્ર દ્વારા દબાણ વધારવા માટે ધોલપુર નગર નિગમે આરોપીના મકાનના ગેરકાયદેસર હિસ્સા પર બુલડોઝર પણ ફેરવી દીધું હતું. ચારેબાજુથી ઘેરાયેલો આરોપી સતત લોકેશન બદલી રહ્યો હતો અને ક્યારેક પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર તો ક્યારેક ડેપ્યુટી એસપી બતાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો.

ધોલપુર એસપી વિકાસ સાંગવાનના માર્ગદર્શન હેઠળ પોલીસે રાજસ્થાન, યુપી અને એમપીમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આખરે બાતમી મળી કે આરોપી વૃંદાવનમાં છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ગઈ હતી, 50 વર્ષનો રાજેન્દ્ર ઓળખ છુપાવવા સ્ત્રીના વેશમાં અને બુર્કામાં ભીડ વચ્ચે રહેતો હતો. અગાઉ પણ પોક્સો એક્ટ અને અપહરણ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને અગાઉ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.

હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે તેણે નોકરીની લાલચ આપીને અન્ય કેટલી યુવતીઓને શિકાર બનાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે જેથી તેને કડકમાં કડક સજા અપાવી શકાય. આ ધરપકડ બાદ પીડિત પરિવાર અને સ્થાનિક સમાજે રાહતનો શ્વાસ લીધો છે.