Home Blog Page 214

ઈતિહાસની સૌથી મોટી ચોરી: 400 કિલો સોનાની ચોરી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

કેનેડાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી 20 મિલ્યન ડોલરના સોનાની ચોરીના મામલે તપાસ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ‘પ્રોજેક્ટ 24K’ તરીકે ઓળખાતા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીલ રિજનની પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2023માં જ્યારે આ ચોરી થઈ ત્યારે 400 કિલો સોનું ચોરાયાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે 43 વર્ષીય અરસલાન ચૌધરીને ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પર 5,000 ડોલરથી વધુની ચોરી, ગુનાહિત સંપત્તિ રાખવી અને ગંભીર કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. 17 એપ્રિલ 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચથી આવેલી ફ્લાઇટમાંથી ઉતારેલું સોનું ગણતરીના કલાકોમાં જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાંથી ચોરી કરાયું હતું, જેમાં અરસલાનની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

માસ્ટરમાઈન્ડનું ભારત કનેક્શન અને ફરાર આરોપીઓ
આ લૂંટમાં એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારીઓનું કનેક્શન પણ સામે આવ્યું છે. ૩૩ વર્ષીય સિમરન પ્રીત પનેસર, જે અગાઉ એરલાઈન્સમાં કામ કરતો હતો, તેણે સિસ્ટમમાં છેડછાડ કરીને સોનાના કન્સાઈનમેન્ટને ડાઇવર્ટ કરવામાં મદદ કરી હોવાનો આક્ષેપ છે.

પોલીસને શંકા છે કે પનેસર હાલમાં ભારતમાં છુપાયેલો છે. ગત વર્ષે તેને ચંદીગઢ પાસે ટ્રેસ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે વોરંટ જારી કરવામાં આવ્યું છે. અન્ય એક આરોપી આર્ચિત ગ્રોવર પણ મે 2024માં ભારતથી પરત ફરતી વખતે એરપોર્ટ પરથી જ ઝડપાયો હતો.

કેનેડા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 શખસની ઓળખ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પરમપાલ સિદ્ધુ, અમિત જલોટા, પ્રસાથ પરમલિંગમ અને અલી રઝા જેવા નામો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ ગેંગ અમુક સભ્યો શખસ સોનાની ચોરી જ નહીં, પરંતુ હથિયારોની હેરાફેરીમાં પણ સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી કિંગ મેકલીન હાલમાં અમેરિકાની જેલમાં હથિયારોની તસ્કરીના કેસમાં બંધ છે. પોલીસ હજુ પણ ગાયબ થયેલા સોના અને બાકીના આરોપીઓને શોધવા માટે અમેરિકા અને ભારતની એજન્સી સાથે સતત સંપર્કમાં છે.

સુરત શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું

0

સુરતમાં તા.૧૪/૧/૨૦૨૬નાં રોજ મકરસંક્રાતિના પર્વની ઉજવણી થનાર હોય શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. જે અનુસાર તા.૧૪/૦૧/૨૦૨૬ અને ૧૫/૧/૨૦૨૬નાં દિવસે સુરત શહેરમાં તમામ ફ્લાઈ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનોને અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.

તેમજ ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવનારા અને નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

ભારતમાં ’10 મિનિટ ડિલિવરી’ બંધ, ટાઇમ લિમિટ હટાવવા સરકારનો આદેશ

0

ભારતમાં ગિગ વર્કર્સને થતી મુશ્કેલીઓને લઈને છેલ્લા 1 મહિનાથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગત 25 ડિસેમ્બરે મોટા પ્રમાણમાં ગિગ વર્કર્સે હડતાળ પણ કરી હતી. વિપક્ષે માંગ કરી હતી કે મામલે સરકારે નિયમો બનાવવા જોઈએ. ત્યારે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ક્વિક કોમર્સ સેક્ટરની કંપનીઓ સાથે વાત કરી છે. જે બાદ મોટા ભાગની કંપનીઓએ સરકારને આશ્વાસન આપ્યું છે કે, હવેથી જાહેરાતો તથા સોશિયલ મીડિયાથી ’10 મિનિટ’ ડિલિવરીની મુદત હટાવવામાં આવશે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી જેવી કંપનીઓ સાથે વાત કરી હતી. જે બાદ હવે વિવિધ કંપનીઓ ગિગ વર્કર્સ માટેની ટાઇમ લિમિટ હટાવશે.

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

0

આજે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આગળ વધારવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચેતવણી આપી કે કોઈપણ શ્વાનના કરડવાથી બાળક કે વૃદ્ધને ઈજા થશે કે તેઓ મૃત્યુ પામશે, તો રાજ્યને વળતર ચુકવવાની ફરજ પાડવામાં આવી શકે છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે શ્વાનના હુમલાની અસર લોકોને જીવનભર વેઠવી પડી શકે છે. કરડવા અને લોકોની પાછળ દોડવા માટે શ્વાનોને છુટા કેમ છોડવામાં આવી રહ્યા છે? શ્વાનોને ખવડાવનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે.

બેન્ચે રાજ્યોને ચેતવણી આપતા કહ્યું, “શ્વાન કરડવાના દરેક મામલા અને તેના લીધે થતા મૃત્યુને ધ્યાનમાં લઇને, જરૂરી વ્યવસ્થા ન કરવા બદલ અમે રાજ્યોને વળતર ચુકવવાની ફરજ પડી શકીએ છીએ. કૂતરાઓને ખોરાક આપનારાઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.”

‘તો શ્વાનોને ઘરે લઇ જાઓ’
વકીલ મેનકા ગુરુસ્વામીએ રખડતા શ્વાનોના મુદાને “ભાવનાત્મક બાબત” ગણાવી હતી.
કોર્ટે કહ્યું કે, “તમારી ભાવના ફક્ત કૂતરાઓ માટે જ હોય તેવું લાગે છે.”વકીલ ગુરુસ્વામીએ કહ્યું,”એવું નથી. હું માણસો વિશે પણ એટલી જ ચિતા કરું છું”.

ન્યાયાધીશ નાથે કહ્યું કે “સરસ ,તો શ્વાનોને તમારા ઘરે લઈ જાઓ. ગંદગી કરવા, કરડવા હોય, લોકોને ડરાવવા તેમણે શા માટે બહાર છોડો છો?”

શ્વાનોને ખોરાક આપતા લોકો પણ જવાબદાર ઠરશે:
સુનાવણી દરમિયાન કડક સવાલ કરતા કહ્યું, “કોઈ ચોક્કસ સંસ્થા દ્વારા જેને ખોરાક આપવામાં આવે છે એ શ્વાન નવ વર્ષના બાળક પર હુમલો કરીને મારી નાખે, ત્યારે કોને જવાબદાર ઠેરવવું જોઈએ? શું એ સંસ્થાને જવાબદાર ન બનાવવી જોઈએ?”

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિક્રમ નાથે જણાવ્યું કે દેશની સર્વોચ્ચ દાલત કાયદાકીય કાર્યવાહીને બદલે આ મુદ્દા માટે “જાહેર પ્લેટફોર્મ” બની ગઈ છે.

આ મુદ્દે થઇ રહી છે કાર્યવાહી:
બેન્ચ ગયા વર્ષે કોર્ટે નવેમ્બરમાં આપેલા આદેશોનું પાલન થઇ રહ્યું છે કે નહીં એના પર નજર રાખી અહી છે. એ આદેશમાં સ્થાનિક અધિકારીઓને બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, શાળાઓ, કેમ્પસ અને અન્ય જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા શ્વાનોને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે ABC નિયમો મુજબ શ્વાનોની રસીકરણ/નસબંધી કરાવવી આવશ્યક છે અને તેમને તે જ સ્થળે પાછા ન છોડવા જે જગ્યાએથી તેમને ઉપાડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કડકડતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતને વાતાવરણને લઈને આગાહી કરી છે. પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો અને માનવસર્જિત કારણોની સાથે કુદરતી ફેરફારો પશ્ચિમી વિક્ષેપ પર અસર કરી રહ્યા છે.

બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું થવાની શક્યતા રહેશે.

અમેરિકાએ એક વર્ષમાં 1 લાખથી વધુ વિઝા રદ કર્યા

યુએસ જઈને ભણવા, કામ કરવા કે વસવાનું લાખો લોકોનું સપનું તૂટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર યુએસ ઈમિગ્રેશન પોલિસી વધુને વધુ કડક બનાવી રહી છે, યુએસએ વર્ષ 2025 માં 1,00,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાનો સમાવેશ થાય છે. ગુનાહિતને ટાંકીને ઈમિગ્રેશન પર રોક લગાવવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ આ વિઝા રદ કરવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ વર્ષ 2024માં બાઈડેનના વહીવટના 40,000 વિઝા રદ કરવામાં આવ્યા હતાં. આ વર્ષ 2025માં વર્ષ 2024 કરતા બમણાથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા હતાં.

દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે:
સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું, “અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે બદમાશોનો દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રાખીશું.” નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “સ્ટેટ ડિપાર્ટમેન્ટે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે યુએસ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ જેમની સામે કાર્યવાહી કરી છે એવા લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાધારકો અને 2,500 સ્પેશીયલ વિઝાધારકોનો સમાવેશ થાય છે.”

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે કાર્યવાહી:
સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય ડેપ્યુટી સ્પોક પર્સન ટોમી પિગોટે જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે. હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ હેઠળ આરોપી અથવા દોષિત હજારો વિદેશી નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે 2025 માં રદ કરવામાં આવેલા મોટાભાગ વિઝા બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા હતાં, તેમના કેટલાક વિઝાધારકો વિઝાની મુદત સમાપ્ત થયા બાદ પણ યુએસમાં રોકાયેલા હતાં. લો ઇન્ફોર્સમેન્ટ અધિકારીઓની તપાસનો સામનો કરી રહેલા 8,000 સ્ટુડન્ટ અને 2,500 સ્પેશીયલ વિઝા ધરાવતા લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા જેના વિઝા રદ કરવામાં આવ્યા છે, એવા સ્પેશીયલ વિઝાધારકોમાંથી અડધાની દારૂ પીને વાહન ચલાવવાની ધરપકડ કરવામાં આવી હતી, 30% પર હુમલો, મારપીટ અથવા અપહરણ જેવા આરોપો હતાં, અને બાકીના 20% ચોરી, બાળકો સાથે દુર્વ્યવહાર, ડ્રગ્સનું સેવન અને વિતરણ, અને છેતરપિંડી અને ઉચાપત જેવા આરોપો લાગેલા છે.

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMS માં દાખલ

0

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં તેઓ બે વખત અચાનક બેભાન થયા હતા, જેના પગલે તબીબોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી હતી.

10 જાન્યુઆરીના રોજ વોશરૂમ તરફ જતા સમયે ધનખડને બે વખત ચક્કર આવી બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોવામાં આવી હતી, પરંતુ ફરીથી આવું બનતાં પરિવારજનો અને ડોક્ટરો ચિંતિત બન્યા હતા. સોમવારે તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ માટે AIIMS પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ MRI સહિતની વિસ્તૃત તપાસ માટે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.

જાહેર જીવન દરમિયાન પણ જગદીપ ધનખડને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા સમયે કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ તેમજ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન તેઓ અસ્વસ્થ થયા હતા અને કેટલીક વખત બેભાન પણ થયા હતા. આ ઘટનાઓએ તેમના સ્વાસ્થ્યને લઈને પહેલેથી જ પ્રશ્નો ઊભા કર્યા હતા.

ગત વર્ષે 21 જુલાઈના રોજ ધનખડએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપતાં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય છે અને તેઓ ડોક્ટરોની સલાહને ગંભીરતાથી અનુસરવા માંગે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલી પત્રમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 67(એ) હેઠળ પદ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો.

હાલ AIIMSમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમના વહેલા સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

બાંગ્લાદેશમાં હિન્દુ ગાયકનું પોલીસ કસ્ટડીમાં મોત, દેશમાં ભારે ચકચાર

બાંગ્લાદેશમાં એક હિન્દુ ગાયકના મૃત્યુથી ભારે ચકચાર મચી ગઈ છે. તેમનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારજનો પોલીસ પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે, જેમાં તબીબી બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના પ્રખ્યાત હિન્દુ ગાયક અને રાજકીય કાર્યકર્તા પ્રોલોય ચાકીના મૃત્યુથી દેશમાં રાજકીય દબાણ, માનવ અધિકારો અને લઘુમતીઓના રક્ષણ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. રવિવાર રાત્રે આવામી લીગના સભ્ય ચાકીનું પોલીસ કસ્ટડીમાં અવસાન થયું, જેનાથી તેમના પરિવાર અને સમર્થકોમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે ચાકીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું, પરંતુ પરિવારે તેમની અટકાયત દરમિયાન બેદરકારી અને સમયસર તબીબી સારવારનો અભાવ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ, દેશમાં રાજકીય હિંસા અને લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે.

પ્રોલોય ચાકી કોણ હતા?
પ્રોલોય ચાકી માત્ર એક રાજકીય નેતા જ નહોતા પણ બાંગ્લાદેશમાં એક પ્રખ્યાત સંગીતકાર અને સાંસ્કૃતિક કાર્યકર પણ હતા. તેમને ઉત્તર બાંગ્લાદેશમાં આવામી લીગના પ્રભાવશાળી આયોજક માનવામાં આવતા હતા અને દાયકાઓ સુધી સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ વિચારધારાને પ્રોત્સાહન આપતા હતા. તેઓ આવામી લીગના પબના જિલ્લા એકમના સાંસ્કૃતિક બાબતોના સચિવ હતા અને 1990 ના દાયકાથી સાંસ્કૃતિક ચળવળોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના ગીતો અને પ્રદર્શન ખાસ કરીને લઘુમતી અને પ્રગતિશીલ સમુદાયોમાં લોકપ્રિય હતા.

તેમની ધરપકડ શા માટે કરવામાં આવી?
ડિસેમ્બરમાં, પોલીસે 2024 ના વિરોધ પ્રદર્શન દરમિયાન બોમ્બ વિસ્ફોટના સંદર્ભમાં પ્રોલોય ચાકીની ધરપકડ કરી હતી, જેના કારણે શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. પરિવારનો દાવો છે કે ચાકીની ધરપકડ સમયે કેસમાં તેમનું નામ પણ નહોતું, છતાં તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે વચગાળાની સરકાર દરમિયાન આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

મૃત્યુ અંગે વહીવટીતંત્રનું સંસ્કરણ
જેલ વહીવટીતંત્ર જણાવે છે કે ચાકી પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. પબના જેલ સુપરિન્ટેન્ડેન્ટ મોહમ્મદ ઓમર ફારુકના જણાવ્યા અનુસાર, ચાકી ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમને પહેલા પબના જનરલ હોસ્પિટલ અને પછી રાજશાહી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે રાત્રે 9 વાગ્યે તેમનું મૃત્યુ થયું. 60 વર્ષીય ચાકીનું સારવાર દરમિયાન જેલ કસ્ટડીમાં મૃત્યુ થયું.

પરિવારના આરોપો
ચાકીના પરિવારે વહીવટીતંત્રના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમના પુત્ર, સોની ચાકી, આરોપ લગાવે છે કે જેલમાં તેમના પિતાની તબિયત સતત બગડતી રહી, પરંતુ અધિકારીઓએ સમયસર સારવાર આપી ન હતી કે પરિવારને જાણ કરી ન હતી. તેમનું કહેવું છે કે પરિવારે હોસ્પિટલમાં દાખલ થવા માટે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું.

વધતી હિંસા વચ્ચે ગંભીર પ્રશ્નો
પ્રોલોય ચાકીનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે બાંગ્લાદેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓ, રાજકીય વિરોધીઓ, સાંસ્કૃતિક સંગઠનો અને મીડિયા આઉટલેટ્સ પર હુમલાઓ વધી ગયા છે. ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓ, શેખ મુજીબુર રહેમાનના સ્મારકો અને રાજદ્વારી મિશનને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ પૃષ્ઠભૂમિ સામે, ચાકીનું કસ્ટડીમાં મૃત્યુ ફક્ત એક વ્યક્તિનું મૃત્યુ જ નહીં, પરંતુ રાજકીય દમન, લઘુમતી અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરોનું પ્રતીક બની ગયું છે. તેમના મૃત્યુએ કાયદાના શાસન અને કસ્ટડીમાં રહેલા લોકો સાથેના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો, PMની ડિગ્રી મામલે માનહાનિ કેસ ચાલશે

0

કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઇકોર્ટે ફગાવી છે. હવે હાઈકોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે.

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી.

અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટએ તેમની ટ્રાયલ સિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ.

સંજય સિંહે પોતાની ગેરહાજરીમાં પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે બંને રાજકારણીઓની અરજીઓ નામંજૂર કરી હતી, જેને લઈને તેમણે નીચલી કોર્ટના આદેશોને પડકાર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે બંને અરજીઓનો કડક વિરોધ કર્યો હતો. કેજરીવાલની અરજીની સુનાવણી બાદ વધારાના સેશન જજ એમ. પી. પુરોહિતે કેજરીવાલની ટ્રાયલ અલગ કરવાની માગણી નામંજૂર કરી હતી.

ગુજરાત યુનિ.એ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા, જે એક સામાન્ય હેતુથી પ્રેરિત છે અને તેમની કાર્યવાહીમાં સતતતા છે. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે અને સંબંધિત ઘટનાક્રમ દરમિયાન એક વિડિયો પણ અપલોડ કર્યો છે. તેથી પ્રાથમિક દૃષ્ટિએ, CrPCની કલમ 223ની ઉપકલમ (a)ની જોગવાઈ હાલના કેસના તથ્યો પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતાં કોર્ટે જણાવ્યું છે કે જે આદેશ આરોપીના પોતાના પ્રારંભ અને આમંત્રણ પર તેના હિતમાં પસાર થયો હોય, તેને કોર્ટ રદ કરી શકતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે રાજકારણીઓ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. યુનિવર્સિટીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા માન હાનિકારક નિવેદનો અને સંકેતો કરાયા હોવાનું જણાવ્યું હતું, જેના આધારે મેટ્રોપોલિટન કોર્ટે કેસનો સંજ્ઞાન લઈને કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. આ ઘટના, હાઇકોર્ટે મુખ્ય માહિતી કમિશન (CIC) દ્વારા ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી જાહેર કરવાની આપેલી સૂચના રદ કરી હતી, તેના એક મહિના અંદર બની હતી.

સુરત VNSGU ખાતે રાજ્યક્ષાની અંડર-11 એથ્લેટિક્સ મીટનું ભવ્ય સમાપન

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી- VNSGU ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટની સફળ પૂર્ણાહુતિ થઇ હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને એન.જે.ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ચાર દિવસીય એથ્લેટિક્સ મીટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ ૩,૯૧૭ બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલા ૧૦૫૬ સ્પર્ધકોને જેઓને મેડલ, પ્રમાણપત્ર સહિત રૂ.૨૨ લાખની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંડર-૧૧ એથ્લેટિક્સ મીટમાં ૯ અને ૧૧ વર્ષથી નાની વયના ભાઈઓ અને બહેનોની ચાર કેટેગરીમાં ૬૦, ૧૦૦, ૨૦૦ તેમજ ૪૦૦ મી.ની દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિજેતા બાળકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-SAG દ્વારા લેવાતી DLSS-ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક મળશે, જે બાળકોની રમતગમતની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

નોંધનીય છે કે, ચિલ્ડ્રન્સ યુનિ. દ્વારા અગાઉ આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર–૧૧ એથ્લેટિક્સ મીટની ત્રણ સિઝનમાં કુલ ૨૦ હજારથી વધુ બાળખેલાડીઓ ભાગ લઇ ચૂક્યા છે અને જે પૈકી અનેક બાળકો આજે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારત માટે ઓલિમ્પિક રમવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમજ અનેક બાળકોએ ડીએલએસએસ શાળામાં પ્રવેશ મેળવ્યા છે.