Home Blog Page 210

મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે નીકળેલા પરિવારને ગમખ્વાર અકસ્માત, 5ના કરુણ મોત

0

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એક પરિવાર માટે અત્યંત દુઃખદ અને કાળ બનીને આવ્યો. જિલ્લાના બેરસિયા થાણા વિસ્તારમાં આવેલા વિધા વિહાર સ્કૂલ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી અને લોડિંગ વાહન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો તમામ વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે આખો પરિવાર લોડિંગ વાહનમાં સવાર થઈને હોશંગાબાદ ખાતે નદીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો. સવારના સમયે જ્યારે તેમનું વાહન બેરસિયા પાસે પહોંચ્યું, ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમની ધડાકાભેર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે લોડિંગ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ચારેબાજુ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસડીએમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં બેરસિયાના એસડીએમ આશુતોષ શર્મા, એએસપી નીરજ ચૌરસિયા અને ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા અને ડોક્ટરોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે નિર્દેશ આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

ઉત્તરાયણમાં ઉજવણી વચ્ચે દુર્ઘટનાઓ: 108ને 5,897 કોલ્સ, 400થી વધુ પક્ષીઓ ઘાયલ

0

ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણની ઉજવણી આ વર્ષે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, પરંતુ તેની પાછળ અકસ્માતો અને કરુણાંતિકાઓનો એક ભયાનક ચહેરો પણ સામે આવ્યો છે. ૧૪ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં પતંગબાજીના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓએ ઇમરજન્સી સેવાઓને દોડતી કરી મૂકી હતી. એક તરફ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કોલ્સનો વરસાદ થયો હતો, તો બીજી તરફ ઘાતક દોરીઓએ આકાશમાં અબોલ પક્ષીઓના લોહી વહેવડાવ્યા હતા.

માનવીય ઈમરજન્સી: ૧૦૮ સેવા પર કેટલા કોલ?
૧૪ જાન્યુઆરીના રોજ માત્ર ૨૪ કલાકના ગાળામાં રાજ્યની ‘૧૦૮’ ઇમરજન્સી સેવાને રેકોર્ડબ્રેક ૫,૮૯૭ ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ આ આંકડો ઘણો ઊંચો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત પતંગ ચગાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતરાયણના દિવસે ઊંચાઈ પરથી પડી જવાના ૪૮૮ કિસ્સા નોંધાયા હતા. પતંગ પકડવાની લ્હાયમાં અથવા અગાશી પર સંતુલન ગુમાવવાને કારણે નાના બાળકો અને યુવાનો ધાબા પરથી પટકાયા હતા, જેમાં અનેકને ગંભીર ફેક્ચર કે માથામાં ઈજાઓ પહોંચી હતી.

પક્ષીઓ માટે ‘કાળ’ બની પતંગની દોરી
તહેવારની સૌથી મોટી સજા નિર્દોષ પક્ષીઓને ભોગવવી પડી છે. અમદાવાદ શહેરમાં કાચ પાયેલી ઘાતક દોરીએ અનેક પક્ષીઓને આકાશમાં જ કાપી નાખ્યા હતા. ૧૪ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યા સુધીમાં શહેરમાં ૪૦૦થી વધુ પક્ષીઓની ઇમરજન્સી નોંધાઈ હતી. આકાશમાં પેચ લડાવતી વખતે વપરાતી ચાઇનીઝ કે સિન્થેટિક દોરીઓએ કબૂતર, ઘુવડ અને સમળી જેવા પક્ષીઓની પાંખોને ચીરી નાખી હતી. અનેક પક્ષીઓ લોહીલુહાણ હાલતમાં રસ્તાઓ અને ધાબા પર પટકાયેલા જોવા મળ્યા હતા.

સેવાયજ્ઞ: ૨૨ ઓપરેશન થિયેટર સાથે જીવદયા ટ્રસ્ટ સજ્જ
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદના પાંજરાપોળ સ્થિત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. સંસ્થાએ પક્ષીઓની સારવાર માટે ૨૨ જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા હતા. તબીબો અને સ્વયંસેવકોની ટીમે સતત કામ કરી પક્ષીઓની પાંખોનું સર્જરી દ્વારા રિપેરિંગ કર્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અનેક પક્ષીઓ આજીવન અપંગ બની ગયા છે.

સોનું-ચાંદી સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર

0

સોના-ચાંદીના ભાવમાં આજે 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.

બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.

સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય રો મટિરિયલ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરુ

0

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જેમાં હાલમાં જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્લાવર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી જોવા મળ્યો હતો. તેણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જેની બાદ સુરક્ષા દળો અને પોલીસ જવાબી કાર્યવાહી શરુ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ જૈશ કમાન્ડર માવી ફસાયો હોવાની શકયતા છે. સુરક્ષા દળોએ બે થી ત્રણ આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે બિલ્લાવરના કહોગ ગામ નજીકના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેની બાદ આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી. જમ્મુના પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો અને આતંકીઓ વચ્ચે કઠુઆના કામધ નાલ્લાના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. જોકે, આ ઓપરેશન દરમિયાન સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી ગતિવિધી વધી છે. જાન્યુઆરી 2026 પૂર્વે 7-8 જાન્યુઆરીએ આ જ વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. વર્ષ 2025માં કઠુઆમાં પણ અનેક એન્કાઉન્ટર થયા હતા. માર્ચ 2025માં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ઈતિહાસની સૌથી મોટી ચોરી: 400 કિલો સોનાની ચોરી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

કેનેડાના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી 20 મિલ્યન ડોલરના સોનાની ચોરીના મામલે તપાસ એજન્સીને વધુ એક મોટી સફળતા મળી છે. ‘પ્રોજેક્ટ 24K’ તરીકે ઓળખાતા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીલ રિજનની પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2023માં જ્યારે આ ચોરી થઈ ત્યારે 400 કિલો સોનું ચોરાયાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે 43 વર્ષીય અરસલાન ચૌધરીને ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેની પર 5,000 ડોલરથી વધુની ચોરી, ગુનાહિત સંપત્તિ રાખવી અને ગંભીર કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. 17 એપ્રિલ 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચથી આવેલી ફ્લાઇટમાંથી ઉતારેલું સોનું ગણતરીના કલાકોમાં જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાંથી ચોરી કરાયું હતું, જેમાં અરસલાનની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

માસ્ટરમાઈન્ડનું ભારત કનેક્શન અને ફરાર આરોપીઓ
આ લૂંટમાં એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારીઓનું કનેક્શન પણ સામે આવ્યું છે. ૩૩ વર્ષીય સિમરન પ્રીત પનેસર, જે અગાઉ એરલાઈન્સમાં કામ કરતો હતો, તેણે સિસ્ટમમાં છેડછાડ કરીને સોનાના કન્સાઈનમેન્ટને ડાઇવર્ટ કરવામાં મદદ કરી હોવાનો આક્ષેપ છે.

પોલીસને શંકા છે કે પનેસર હાલમાં ભારતમાં છુપાયેલો છે. ગત વર્ષે તેને ચંદીગઢ પાસે ટ્રેસ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીયસ્તરે વોરંટ જારી કરવામાં આવ્યું છે. અન્ય એક આરોપી આર્ચિત ગ્રોવર પણ મે 2024માં ભારતથી પરત ફરતી વખતે એરપોર્ટ પરથી જ ઝડપાયો હતો.

કેનેડા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 શખસની ઓળખ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પરમપાલ સિદ્ધુ, અમિત જલોટા, પ્રસાથ પરમલિંગમ અને અલી રઝા જેવા નામો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ ગેંગ અમુક સભ્યો શખસ સોનાની ચોરી જ નહીં, પરંતુ હથિયારોની હેરાફેરીમાં પણ સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી કિંગ મેકલીન હાલમાં અમેરિકાની જેલમાં હથિયારોની તસ્કરીના કેસમાં બંધ છે. પોલીસ હજુ પણ ગાયબ થયેલા સોના અને બાકીના આરોપીઓને શોધવા માટે અમેરિકા અને ભારતની એજન્સી સાથે સતત સંપર્કમાં છે.

સુરત શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું

0

સુરતમાં તા.૧૪/૧/૨૦૨૬નાં રોજ મકરસંક્રાતિના પર્વની ઉજવણી થનાર હોય શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યાં છે. જે અનુસાર તા.૧૪/૦૧/૨૦૨૬ અને ૧૫/૧/૨૦૨૬નાં દિવસે સુરત શહેરમાં તમામ ફ્લાઈ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનોને અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.

તેમજ ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવનારા અને નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

ભારતમાં ’10 મિનિટ ડિલિવરી’ બંધ, ટાઇમ લિમિટ હટાવવા સરકારનો આદેશ

0

ભારતમાં ગિગ વર્કર્સને થતી મુશ્કેલીઓને લઈને છેલ્લા 1 મહિનાથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગત 25 ડિસેમ્બરે મોટા પ્રમાણમાં ગિગ વર્કર્સે હડતાળ પણ કરી હતી. વિપક્ષે માંગ કરી હતી કે મામલે સરકારે નિયમો બનાવવા જોઈએ. ત્યારે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ક્વિક કોમર્સ સેક્ટરની કંપનીઓ સાથે વાત કરી છે. જે બાદ મોટા ભાગની કંપનીઓએ સરકારને આશ્વાસન આપ્યું છે કે, હવેથી જાહેરાતો તથા સોશિયલ મીડિયાથી ’10 મિનિટ’ ડિલિવરીની મુદત હટાવવામાં આવશે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી જેવી કંપનીઓ સાથે વાત કરી હતી. જે બાદ હવે વિવિધ કંપનીઓ ગિગ વર્કર્સ માટેની ટાઇમ લિમિટ હટાવશે.

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

0

આજે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આગળ વધારવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચેતવણી આપી કે કોઈપણ શ્વાનના કરડવાથી બાળક કે વૃદ્ધને ઈજા થશે કે તેઓ મૃત્યુ પામશે, તો રાજ્યને વળતર ચુકવવાની ફરજ પાડવામાં આવી શકે છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે શ્વાનના હુમલાની અસર લોકોને જીવનભર વેઠવી પડી શકે છે. કરડવા અને લોકોની પાછળ દોડવા માટે શ્વાનોને છુટા કેમ છોડવામાં આવી રહ્યા છે? શ્વાનોને ખવડાવનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે.

બેન્ચે રાજ્યોને ચેતવણી આપતા કહ્યું, “શ્વાન કરડવાના દરેક મામલા અને તેના લીધે થતા મૃત્યુને ધ્યાનમાં લઇને, જરૂરી વ્યવસ્થા ન કરવા બદલ અમે રાજ્યોને વળતર ચુકવવાની ફરજ પડી શકીએ છીએ. કૂતરાઓને ખોરાક આપનારાઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.”

‘તો શ્વાનોને ઘરે લઇ જાઓ’
વકીલ મેનકા ગુરુસ્વામીએ રખડતા શ્વાનોના મુદાને “ભાવનાત્મક બાબત” ગણાવી હતી.
કોર્ટે કહ્યું કે, “તમારી ભાવના ફક્ત કૂતરાઓ માટે જ હોય તેવું લાગે છે.”વકીલ ગુરુસ્વામીએ કહ્યું,”એવું નથી. હું માણસો વિશે પણ એટલી જ ચિતા કરું છું”.

ન્યાયાધીશ નાથે કહ્યું કે “સરસ ,તો શ્વાનોને તમારા ઘરે લઈ જાઓ. ગંદગી કરવા, કરડવા હોય, લોકોને ડરાવવા તેમણે શા માટે બહાર છોડો છો?”

શ્વાનોને ખોરાક આપતા લોકો પણ જવાબદાર ઠરશે:
સુનાવણી દરમિયાન કડક સવાલ કરતા કહ્યું, “કોઈ ચોક્કસ સંસ્થા દ્વારા જેને ખોરાક આપવામાં આવે છે એ શ્વાન નવ વર્ષના બાળક પર હુમલો કરીને મારી નાખે, ત્યારે કોને જવાબદાર ઠેરવવું જોઈએ? શું એ સંસ્થાને જવાબદાર ન બનાવવી જોઈએ?”

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિક્રમ નાથે જણાવ્યું કે દેશની સર્વોચ્ચ દાલત કાયદાકીય કાર્યવાહીને બદલે આ મુદ્દા માટે “જાહેર પ્લેટફોર્મ” બની ગઈ છે.

આ મુદ્દે થઇ રહી છે કાર્યવાહી:
બેન્ચ ગયા વર્ષે કોર્ટે નવેમ્બરમાં આપેલા આદેશોનું પાલન થઇ રહ્યું છે કે નહીં એના પર નજર રાખી અહી છે. એ આદેશમાં સ્થાનિક અધિકારીઓને બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, શાળાઓ, કેમ્પસ અને અન્ય જાહેર સંસ્થાઓના પરિસરમાંથી રખડતા શ્વાનોને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે ABC નિયમો મુજબ શ્વાનોની રસીકરણ/નસબંધી કરાવવી આવશ્યક છે અને તેમને તે જ સ્થળે પાછા ન છોડવા જે જગ્યાએથી તેમને ઉપાડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કડકડતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતને વાતાવરણને લઈને આગાહી કરી છે. પવનની ગતિ અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોના ઠંડા પવનોને કારણે હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો અને માનવસર્જિત કારણોની સાથે કુદરતી ફેરફારો પશ્ચિમી વિક્ષેપ પર અસર કરી રહ્યા છે.

બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા જ જાન્યુઆરીના અંતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાન મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 થી 24 જાન્યુઆરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવશે, તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ માવઠું થવાની શક્યતા રહેશે.

અમેરિકાએ એક વર્ષમાં 1 લાખથી વધુ વિઝા રદ કર્યા

યુએસ જઈને ભણવા, કામ કરવા કે વસવાનું લાખો લોકોનું સપનું તૂટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર યુએસ ઈમિગ્રેશન પોલિસી વધુને વધુ કડક બનાવી રહી છે, યુએસએ વર્ષ 2025 માં 1,00,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાનો સમાવેશ થાય છે. ગુનાહિતને ટાંકીને ઈમિગ્રેશન પર રોક લગાવવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ આ વિઝા રદ કરવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ વર્ષ 2024માં બાઈડેનના વહીવટના 40,000 વિઝા રદ કરવામાં આવ્યા હતાં. આ વર્ષ 2025માં વર્ષ 2024 કરતા બમણાથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા હતાં.

દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે:
સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું, “અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે બદમાશોનો દેશનિકાલ કરવાની કાર્યવાહી ચાલુ રાખીશું.” નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “સ્ટેટ ડિપાર્ટમેન્ટે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે યુએસ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ જેમની સામે કાર્યવાહી કરી છે એવા લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝાધારકો અને 2,500 સ્પેશીયલ વિઝાધારકોનો સમાવેશ થાય છે.”

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ લોકો સામે કાર્યવાહી:
સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય ડેપ્યુટી સ્પોક પર્સન ટોમી પિગોટે જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે 100,000 થી વધુ વિઝા રદ કર્યા છે. હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ હેઠળ આરોપી અથવા દોષિત હજારો વિદેશી નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે 2025 માં રદ કરવામાં આવેલા મોટાભાગ વિઝા બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા હતાં, તેમના કેટલાક વિઝાધારકો વિઝાની મુદત સમાપ્ત થયા બાદ પણ યુએસમાં રોકાયેલા હતાં. લો ઇન્ફોર્સમેન્ટ અધિકારીઓની તપાસનો સામનો કરી રહેલા 8,000 સ્ટુડન્ટ અને 2,500 સ્પેશીયલ વિઝા ધરાવતા લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા જેના વિઝા રદ કરવામાં આવ્યા છે, એવા સ્પેશીયલ વિઝાધારકોમાંથી અડધાની દારૂ પીને વાહન ચલાવવાની ધરપકડ કરવામાં આવી હતી, 30% પર હુમલો, મારપીટ અથવા અપહરણ જેવા આરોપો હતાં, અને બાકીના 20% ચોરી, બાળકો સાથે દુર્વ્યવહાર, ડ્રગ્સનું સેવન અને વિતરણ, અને છેતરપિંડી અને ઉચાપત જેવા આરોપો લાગેલા છે.