Home Blog Page 192

નકશામાં અમેરિકાએ PoK-અક્સાઈ ચીનને ભારતનું બતાવ્યું, પાકિસ્તાનમાં ખળભળાટ

0

અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. સવાલ એ છે કે, અમેરિકાએ એવું તો શું કર્યું કે શહબાઝ શરીફ અને આસિમ મુનીરની ઊંઘ ઉડી ગઈ? હકીકતમાં, અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, PoK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મહોર મારી દીધી છે. અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર છે અને PoK ભારતનો જ ભાગ છે.

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR) એ ભારત-અમેરિકાના નવા વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની માહિતી આપતી વખતે જે નકશાનો ઉપયોગ કર્યો છે, તેને જોઈને પાકિસ્તાની શાસકો ચોંકી ગયા છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નકશામાં સમગ્ર કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ નકશા મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ ભારતમાં સામેલ છે. આ નકશામાં ન તો કોઈ લાઇન ઓફ કંટ્રોલ (LoC) છે કે ન તો કોઈ વિવાદિત વિસ્તાર; બધું જ સ્પષ્ટપણે ભારતનું બતાવવામાં આવ્યું છે.

નકશામાં શું ખાસ છે?
હકીકતમાં, USTR એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો (જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે) માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી. અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી, અમેરિકા-ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે.’ પરંતુ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં PoK ને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે.

અમેરિકાનો મોટો સંકેત
અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક તસવીર નથી, પરંતુ અમેરિકાની બદલાતી વિચારધારાનો મોટો સંકેત છે. ભારત હંમેશા કહેતું રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે. જેમાં PoK અને ગિલગિટ-બાલ્ટિસ્થાન પણ સામેલ છે. હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો આવવાનો અર્થ એ છે કે, વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે. આ એવો સંકેત પણ છે કે, અમેરિકા હવે PoK ના મુદ્દે તટસ્થ નથી. આ બાબત તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે. બંને દેશોએ ટેરિફ ઘટાડવા અને ટ્રેડ ડીલના ફ્રેમવર્ક પર સહમતિ સાધી છે.

નેપાળના બૈતાડીમાં જાનૈયાની બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 લોકોના કરુણ મોત

0

દેશમાં વધુ એક બસ દુર્ઘટનાની ભીષણ ઘટના બની છે, જેમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હાલ પોલીસની ટીમ અને તંત્ર દ્વારા ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમજ મૃતકોના પરિજનોને જાણ કરવામાં આવી છે.

જાનૈયાની બસનો ભયંકર અકસ્માત
ભારતીય સરહદને અડીને આવેલા નેપાળના બૈતાડીમાં જાનૈયાનો લઈને જઈ રહેલી એક બસનો ભયંકર અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે. બસ અકસ્માતના પગલે રોડ પર ભયાનક ટ્રાફિક સર્જાયો છે, તેમજ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.

સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યૂ શરુ કર્યું
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, બૈતાડીના પુરચુની નગરપાલિકાના સત ભવને ગામથી બજહાંગના સુનકુડા જઈ રહેલી એક બસ પુરચુનીના બડગાંવ મોડ પાસે પહોંચી ત્યારે કાબૂ બહાર જતી રહી હતી, જેના પગલે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જિલ્લા પોલીસ કાર્યાલય બૈતાડીના પોલીસ પ્રવક્તા, પોલીસ નિરીક્ષક બલદેવ બડુએ આ અકસ્માત વિશે જણાવ્યું હતું કે, ‘નેપાળ એપીએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ કર્યું શરુ કર્યું હતું.’

મૃતકોના નામ આવ્યા સામે
આ દુર્ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે, તેમાં 40 વર્ષીય કેશવ રાજ જોશી, 13 વર્ષીય અશોક રાજ જોશી, 35 વર્ષીય બસંત રાજ જોશી, 41 વર્ષીય વિષ્ણુ દત્ત જોશી, 42 વર્ષીય નરેશ રાજ જોશી, 17 વર્ષીય બિશન દત્ત જોશી, 28 વર્ષીય દીપક જોશી અને 46 વર્ષીય કિશન જોશી, 60 વર્ષીય મોહન દેવ ભટ્ટ, 27 વર્ષીય કેશવ ભટ્ટ, 40 વર્ષીય બસંત રાજ રતલા, બજાંગ જય પૃથ્વી, 40 વર્ષીય પુષ્પા અવસ્થીનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની શિયા મસ્જિદમાં જુમ્માની નમાજે બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 24નાં મોત, 101 ગંભીર

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં મોટો ધમાકો થયો છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિસ્ફોટના સ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પોલીસ અને આર્મીની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જે શહેરની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે. વિસ્ફોટ પછી લોકો દોડધામ કરી મૂકી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરી છે.

પાટનગરના તારલાઈ વિસ્તારની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જે શિયા સમુદાયના લોકો માટે જાણીતી છે. આ હુમલામાં આત્મઘાતીના ચિથરા ઉડી ગયા હતા. સ્યુસાઈડર બોમ્બરે નમાઝ વખતે પોતાને ઉડાવ્યો હતો.

પાકિસ્તાનમાં શિયા સમુદાયના બે કરોડ લોકો છે, જ્યારે કુલ વસ્તીની સંખ્યા લગભગ દસથી બાર ટકા છે. નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો વિસ્ફોટ છે. અહીં એ જણાવવાનું કે 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.

નાના વરાછામાં પોલીસ કમિશનરના PA પર હુમલો, પંચથી નાકમાં ફ્રેક્ચર, આરોપી કાર મૂકી ફરાર

સુરતના નાના વરાછા ઢાળ વિસ્તારમાં ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર લક્ઝરી બસમાંથી ઉતરેલા યુવકો અને એક કારમાં આવેલા લોકો દ્વારા ઝપાઝપી કરી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પંચ (હાથમાં પહેરવાનું હથિયાર) વડે માર મારવામાં આવતા હેડ કોન્સ્ટેબલના નાકમાં ફ્રેક્ચર થયું છે. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલાગામના વતની અને હાલ નાના વરાછા પટેલ ફળિયા પાછળ આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય અક્ષયકુમાર છગનભાઈ આહીર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે ફરજ પૂરી કરી તેઓ પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યે નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ પર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી અક્ષયકુમાર કારમાંથી ઉતરીને ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ (નં. GJ-14-Y-9222) અને તેની પાસે ઊભેલી એક કાર (નં. GJ-16-BK-7191) ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયકુમારે ચાલકોને વાહન હટાવવાનું કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાઈ બસમાંથી ત્રણ વ્યક્તિ અને કારમાંથી ચાલક તથા તેની સાથેનો એક વ્યક્તિ નીચે ઉતર્યા હતા અને “અમને ગાડી હટાવવાનું કહેનાર તું કોણ છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. અક્ષયકુમારે પોતાની પોલીસ ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું.

આઈકાર્ડ બતાવ્યા બાદ પણ આરોપીઓએ “તું પોલીસ હોય તો શું થયું” કહી ઝપાઝપી કરી હતી. કારચાલકે અક્ષયકુમારનું ગળું પકડી હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. લોકો ભેગા થતાં જ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. લોહી વહી રહ્યું હોવાથી અક્ષયકુમારને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં નાકમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું.

ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે અક્ષયકુમારની ફરિયાદના આધારે કારચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કારના નંબરના આધારે તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. હુમલા બાદ કારચાલક પત્નીને ટ્રાવેલ્સમાં મૂકવા આવ્યો હતો અને ત્યારબાદ કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર સુધી પહોંચીને વાહન કબજે કર્યું છે. તપાસ દરમિયાન ખુલ્યું કે હુમલા બાદ કારચાલક એક પાનના ગલ્લે ઉભો રહી સિગરેટ પી રહ્યો હતો અને બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતાં અંદરથી ભાજપનો એક ખેસ પણ મળ્યો છે, જેથી કાર માલિક કોઈ રાજકીય કાર્યકર્તા હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે.

ઉપરાંત, કબજે લેવાયેલી કારનું બોનેટ નુકસાનગ્રસ્ત હોવાનું જણાતા ભાગતી વખતે કારનો અકસ્માત થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારના નંબર પરથી તપાસ કરતાં વાહન કતારગામ વિસ્તારમાં રહેતા દિવ્યેશ નામના યુવકનું હોવાનું બહાર આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.

દેશભરમાં ઓલા, ઉબેર, રેપિડો બંધ, ડ્રાઈવરોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું

0

ઓલા, ઉબેર અને રેપિડો સાથે સંકળાયેલા ડ્રાઇવરોએ 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.’ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ તરીકે ઓળખાતી આ હડતાળમાં ડ્રાઇવરોએ તેમની મોબાઇલ એપ્લિકેશનો બંધ કરવી પડશે. આનાથી કેબ, ઓટો અને બાઇક ટેક્સી સેવાઓ પર ગંભીર અસર થવાની ધારણા છે.

જો તમે કાલે ઓલા, ઉબેર અથવા રેપિડો રાઈડ બુક કરાવવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો. આ કંપનીઓના ડ્રાઈવરોએ કાલે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેમણે તેને “ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન” ગણાવ્યું છે અને તેમની મોબાઈલ એપ્સ બંધ રાખશે. આનાથી કેબ, ઓટો અથવા બાઇક ટેક્સી શોધવામાં મુશ્કેલી પડી શકે છે.

હડતાળનું મુખ્ય કારણ
આ હડતાળ TGPWU (તેલંગાણા ગિગ વર્કર્સ યુનિયન) અને અન્ય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં ડ્રાઇવરો કામ બંધ કરશે. તેમનું કહેવું છે કે કોઈ નિશ્ચિત ભાડા કે નિયમો નથી; તેમનું ફક્ત શોષણ થઈ રહ્યું છે. યુનિયને નીતિન ગડકરી (માર્ગ પરિવહન મંત્રી) ને પત્ર લખીને તેમની ફરિયાદો રજૂ કરી છે. ડ્રાઇવરો કહે છે કે સરકારે કોઈ દર નક્કી કર્યા ન હોવાથી, કંપનીઓ પોતાની વિવેકબુદ્ધિથી વેતન કાપે છે. આનાથી ડ્રાઇવરો માટે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે અને તેમની કમાણીની કોઈ ખાતરી નથી.

ડ્રાઇવરોની મુખ્ય માંગણીઓ
યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર તાત્કાલિક ઓટો, ટેક્સી અને બાઇક ટેક્સી માટે લઘુત્તમ ભાડું નક્કી કરે, અને આ નિર્ણય ડ્રાઇવરો સાથે પરામર્શ કર્યા પછી જ લેવો જોઈએ. તેમણે ખાનગી વાહનો (સફેદ નંબર પ્લેટવાળા) ના વાણિજ્યિક ઉપયોગ પર અથવા તેમને વાણિજ્યિક શ્રેણીમાં રૂપાંતરિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. વધુમાં, યુનિયન ઇચ્છે છે કે સરકાર આ કંપનીઓ પર નજીકથી નજર રાખે જેથી તેમની મનમાની રોકી શકાય અને ડ્રાઇવરોના શોષણને અટકાવી શકાય.

મુસાફરો પર શું અસર થશે?
શનિવારની હડતાળથી મુસાફરીમાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે. કેટલાક શહેરોમાં તેની અસર હળવી અને અન્યમાં ગંભીર હોઈ શકે છે, તેથી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. પ્રથમ, ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્લિકેશનો પર વાહન શોધવાનું ખૂબ મુશ્કેલ બનશે.

હડતાળ પહેલા પણ થઈ હતી
7 ફેબ્રુઆરીના રોજ થયેલી આ મોટી હડતાળ પહેલા પણ ડ્રાઇવરો અને ડિલિવરી પાર્ટનર્સે તેમની માંગણીઓ માટે ઘણી વખત કામ બંધ કરી દીધું છે. તાજેતરમાં 3 ફેબ્રુઆરી, 2026ના રોજ ગિગ કામદારોએ સલામતી, સારા વેતન અને ’10 -મિનિટ ડિલિવરી’સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હડતાળના મુખ્ય કારણો
ડ્રાઇવરોના અસંતોષનું મુખ્ય કારણ ઓછી કમાણી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જ્યારે કંપનીઓ ડ્રાઇવરોના કમિશન ઘટાડી રહી છે. વધુમાં, તેઓ તેમની સલામતી અને નિયમો વિશે ચિંતિત છે. તેઓ “૧૦ મિનિટની ડિલિવરી” જેવા દબાણયુક્ત કામનો વિરોધ કરી રહ્યા છે અને ઇચ્છે છે કે સરકાર તેમના માટે લઘુત્તમ ભાડું નક્કી કરે.

કતારગામ ટીપી રિઝર્વેશન મુદ્દે રહેવાસીઓમાં ભય, ચાર વર્ષથી ન્યાયની લડત, હજારો રસ્તા પર ઉતર્યા

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરો અને મિલકતો તૂટી જશે તેવી આશંકામાં ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. કતારગામની ટીપી સ્કીમ નં. 49, 50 અને 51 હેઠળ કેટલીક રહેણાંક મિલકતોને રિઝર્વેશનમાં મૂકવામાં આવતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે. રહેવાસીઓ રિઝર્વેશન દૂર કરવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમને કોઈ ઠોસ ઉકેલ મળ્યો નથી.

કતારગામ ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે 2002ના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે તમામ ચકાસણી બાદ તેમણે કાયદેસર રીતે મકાનો ખરીદ્યા હતા. હવે અચાનક જ તેમની મિલકતોને રિઝર્વેશન હેઠળ મૂકવામાં આવતાં લગભગ 60 સોસાયટીમાં રહેતા એક લાખથી વધુ લોકો પ્રભાવિત થવાના છે. તાજેતરમાં હજારો રહેવાસીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાય માટે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

કતારગામના રહેવાસીઓએ જણાવ્યું કે મકાન તૈયાર થયા બાદ કોઈ નોટિસ આપ્યા વગર તેમના ઘરના સ્લેબ તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તેમણે કહ્યું કે સરકાર આવાસની વાત કરે છે, જ્યારે અમારી પાસે તમામ દસ્તાવેજ હોવા છતાં મકાન તોડી પાડવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે પરિવાર માનસિક તણાવમાં જીવે છે.

ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ પણ આરોપ લગાવ્યો કે ઝોનલ ઓફિસમાં સહી કરાવી લેવામાં આવે છે અને પછી પ્રક્રિયાનો બહાનો બતાવવામાં આવે છે. મુખ્ય મંત્રી તાજેતરમાં સુરત આવ્યા ત્યારે પણ આ મુદ્દો સ્થાનિક નેતાઓએ રજૂ ન કર્યો હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે.

વધુમાં જણાવ્યું કે તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મેયર, ધારાસભ્યો, શહેરી વિકાસ મંત્રી તથા મુખ્ય મંત્રી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે 2004ના ડ્રાફ્ટ પ્લાન દરમિયાન અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને મ્યુનિસિપલ કચેરીમાં તમામ ચકાસણી બાદ લોકોએ પ્લોટ અને મકાન ખરીદ્યા હતા.

કતારગામ વિસ્તારમાં ઘણા લોકોએ બેંક લોન લઈને મકાન લીધાં છે અને હજુ પણ હપ્તા ભરી રહ્યા છે. તમામ કાગળો હોવા છતાં જો મકાન રિઝર્વેશનમાં મૂકવામાં આવશે તો તેઓ ક્યાં જશે તે સૌથી મોટો પ્રશ્ન છે. અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે તેમના ઘરના ભાગ પર પહેલેથી જ તોડફોડ કરવામાં આવી છે અને આગળ પણ તોડવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે પરિવાર સતત ડરમાં જીવે છે.

ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું કે અન્ય શહેરોમાં જેમ કે જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં ટીપી સ્કીમમાં ખામીઓના કારણે વેરિયેશન કરવામાં આવ્યા છે. એ જ રીતે કતારગામની ટીપી સ્કીમમાં પણ સુધારો કરી તાત્કાલિક નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. તેમણે દાવો કર્યો કે ઘણા મકાનો પર ઇમ્પેક્ટ ફી પણ ભરવામાં આવી છે, જેનો હેતુ લોકોને ઘર બચાવવાનો હતો, પરંતુ આજે તો મકાન તૂટી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

આ મુદ્દો છેલ્લા ચાર વર્ષથી સુરતમાં સળગતો રહ્યો છે અને તેમાં ભ્રષ્ટાચારના આરોપો પણ સામે આવ્યા છે. વર્ષ 2023માં ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા મંત્રી નાનુભાઈ વાનાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દાવો કર્યો હતો કે રહેણાંક મકાનો, કોમ્યુનિટી હોલ અને સોસાયટીના રોડને રિઝર્વેશન હેઠળ મૂકી જમીનના માલિકોને નબળી જગ્યાએ પ્લોટ આપીને સારી જગ્યાના પ્લોટ ફાળવવામાં આવ્યા, જે સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની આશંકા દર્શાવે છે.

રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર મામલે એક શખ્સની ધરપકડ

0

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગયા શનિવારે મોડી રાત્રે નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે થયેલી ગોળીબારની ઘટનાના સંદર્ભમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપીએ રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારમાં વપરાયેલ હથિયાર સપ્લાય કર્યું હતું.

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલે બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટનાના સંદર્ભમાં આસારામ ફસાલે ઉર્ફે બાબુની ધરપકડ કરી છે. તેણે ગોળીબારમાં વપરાયેલ હથિયાર સપ્લાય કર્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે આરોપીને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટ (ફોર્ટ કોર્ટ)માં રજૂ કરશે.

ચાર આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી
નોંધનીય છે કે ગોળીબારની ઘટનાના સંદર્ભમાં અગાઉ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પોલીસ કસ્ટડી આજે પૂરી થાય છે. 3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસે ગોળીબારમાં વપરાયેલ સ્કૂટરની માહિતી પુણેના એક વ્યક્તિ પાસેથી મળી હતી. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પુણેના એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક આદિત્ય ગાયકવાડને સ્કૂટર ₹30,000 માં વેચી દીધું હતું. તેણે કોરા કાગળ પર ગાયકવાડની સહી પણ મેળવી હતી. ગાયકવાડ, અન્ય એક ધરપકડ કરાયેલ વ્યક્તિ, સમર્થ પોમાજી સાથે, મુંબઈના જુહુ વિસ્તારમાં પૂર્વ-આયોજિત સ્થળે સ્કૂટર છોડીને ગયા હતા.

મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે
એવો આરોપ છે કે આ વ્યક્તિઓ શુભમ લોંકર પાસેથી સીધી સૂચનાઓ લઈ રહ્યા હતા.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ વાહન ખરીદ્યા ત્યારથી લઈને તેને મુંબઈ લાવવા સુધી ગોળીબાર કરનારની ઓળખથી અજાણ હતા. તેમણે જણાવ્યું હતું કે શુભમ લોંકરે શૂટરને નિયુક્ત સ્થળેથી સ્કૂટર ઉપાડવા અને ગોળીબાર કરવા સૂચના આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉના ગુનાઓમાં પણ આવી જ યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક જ ગુનો કરવા માટે અનેક નાના જૂથોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરનાર વ્યક્તિ હજુ પણ ફરાર છે. વધુ તપાસ ચાલુ છે.

શામલીમાં પોલીસ એનકાઉન્ટરમાં 50 હજારનો ઇનામી કુખ્યાત રિહાન અંસારી ઠાર

0

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ગુરુવારે મોડીરાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં કુખ્યાત અપરાધી રિહાન અંસારી માર્યો ગયો, જ્યારે તેનો એક સાથીદાર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો. રિહાન અંસારી પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન બંને તરફથી તાબડતોબ ફાયરિંગ થયું હતું, જેમાં શામલી કોતવાલીનો સિપાહી સુમિત ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.

પોલીસ સાથે અથડામણ કેવી રીતે થઈ?
શામલીના એસપી એનપી સિંહે જણાવ્યું કે મોડીરાત્રે માહિતી મળી હતી કે ઝિન્ઝાણા વિસ્તારથી કસેરવા ગામ તરફ બે બદમાશ બાઈક પર લૂંટની ઘટના અંજામ આપવા જઈ રહ્યા છે. માહિતી મળતા જ કોતવાલી પોલીસ અને એસઓજી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં જ બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધી. પોલીસની જવાબી કાર્યવાહીમાં રિહાન અંસારી ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

કોણ હતો રિહાન અંસારી?
પોલીસ મુજબ રિહાન અંસારી સામે શામલી ઉપરાંત બાગપત, ગાઝિયાબાદ, દિલ્હી અને હરિયાણામાં લૂંટ સહિતના 90થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હતા. તે છેલ્લા દાયકાથી પોતાના ગેંગનું નેતૃત્વ કરી રહ્યો હતો અને કુખ્યાત યાહિયા ગેંગ સાથે પણ તેના સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

શું મળ્યું કબજામાં?
પોલીસે રિહાન પાસેથી ઇટાલીમાં બનેલી 0.32 બોરની બેરેતા પિસ્તોલ, દેશી બનાવટની .32 બોર પિસ્તોલ, આઠ જીવંત કારતૂસ, સાત ખાલી કારતૂસના ખોખા, નંબરપ્લેટ વગરની મોટરસાયકલ, લૂંટાયેલ મોબાઇલ ફોન, બે અન્ય મોબાઇલ, બે લૂંટાયેલી અંગૂઠીઓ અને રોકડ રકમ જપ્ત કરી છે.

રાષ્ટ્રપતિ શાસન હટતાં જ મણિપુરમાં ફરી હિંસા, નવી સરકારના શપથ સાથે તણાવ, બંધનું એલાન

0

મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં પરિસ્થિતિ ફરી એક વાર તંગ બની ગઈ હતી જ્યારે તુઈબોંગ વિસ્તારમાં લોકપ્રિય સરકારની રચના સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. દિવસભર વાતાવરણ તંગ રહ્યું હતું, જેના કારણે વહીવટીતંત્રને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવાની ફરજ પડી હતી.

સાંજે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જ્યારે સુરક્ષા દળોએ વિરોધીઓને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કરવો પડ્યો. જોકે, સવારથી જ વિરોધ પ્રદર્શન ચાલુ હતા. જોકે, કુકીના ધારાસભ્યોએ નવી સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હોવાના સમાચાર સામે આવતાં વિરોધીઓનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો. વિરોધીઓનો આરોપ છે કે પ્રદેશમાં અલગ વહીવટી વ્યવસ્થાની લાંબા સમયથી માંગણી હોવા છતાં, ધારાસભ્યોએ સમુદાયની લાગણીઓનો વિરોધ કરીને આ પગલું ભર્યું છે.

વિરોધીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની અલગ વહીવટની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આ સરકારને સ્વીકારશે નહીં. નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન, ધારાસભ્યો એલએમ ખૌટે અને ન્ગુરસાંગલુર સનાટે સહિત કુકી ધારાસભ્યોની હાજરીમાં સરકાર રચના પ્રક્રિયા પૂર્ણ થતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વિરોધીઓએ આ વિકાસને સમુદાયની આકાંક્ષાઓ સાથે દગો ગણાવ્યો.

આત્મદાહનો પ્રયાસ ચિંતા પેદા કરે છે
અહેવાલ મુજબ, બે વિરોધીઓએ આત્મદાહનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ મળતાં વિરોધ પ્રદર્શન ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી, જેનાથી કોઈ મોટી ઘટના બનતી અટકાવી હતી. સાંજે લગભગ 6 વાગ્યા પછી, પરિસ્થિતિ ફરી બગડી હતી, છૂટાછવાયા અથડામણો થયા હતા. આ અથડામણોમાં ઘણા વિરોધીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે કોઈની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ ચેતવણીઓ જારી કરવામાં આવી હતી
અગાઉ, કુકી સમુદાયના કેટલાક સંગઠનો અને વર્ગોએ કુકી ધારાસભ્યોને લોકપ્રિય સરકારની રચનાને ટેકો ન આપવાની ચેતવણી આપી હતી. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

જલંધરમાં ગુરુદ્વારા બહાર AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, વિસ્તારમાં ભયનો માહોલ

0

પંજાબના જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આપ નેતા લકી ઓબેરોય પર મોડલ ટાઉનના ગુરુદ્વારા સાહિબની બહાર ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ધોળા દિવસે નેતા પર ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ગુના માટે જવાબદાર શખ્સોને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે.

હુમલો કેવી રીતે થયો?
પ્રાથમિક જાણકારી મુજબ, ઓબેરોય જ્યારે ગુરુદ્વારાની બહાર પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક બાઇક પર ધસી આવેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાંથી ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજકીય પૃષ્ઠભૂમિ
અત્રે ઉલ્લેખનીય છે કે, લકી ઓબેરોયની પત્નીએ આમ આદમી પાર્ટી તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. લકી ઓબેરોય કેન્ટ મતવિસ્તારના ઈન્ચાર્જ રાજવિંદર કૌર થિયાડાના અત્યંત નજીકના નેતા છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે અને તેઓની ઝડપી લેવામાં આવે.