Home Blog Page 190

ભારતનો પહેલો સંગીતમય રસ્તો: 80 કિમી ઝડપે દોડતાં જ વાગશે Jai Ho ગીત

0

મુંબઈ કોસ્ટલ રોડ ભારતનો પહેલો સંગીતમય રસ્તો બન્યો છે. છત્રપતિ સંભાજી મહારાજને સમર્પિત આ કોસ્ટલ રોડ પર ખાસ સંગીત લેન સ્થાપિત કરવામાં આવી છે. જ્યાંથી કોઇ વાહન નિયત કરાયેલ 80 કિમી પ્રતિ કલાકની ગતિથી પસાર થાય ત્યારે સ્લમડોગ મિલિયોનર ફિલ્મનું એ આર રહેમાનનું પ્રસિધ્ધ ગીત જય હો સંભળાય છે. આ વિશ્વનો પાંચમો અને ભારતનો પહેલો સંગીતમય રોડ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ રોડને જનતા માટે ખુલ્લો મુકતાં ખુશી વ્યક્ત કરી કે, આંતરરાષ્ટ્રીય સ્તરની આ નવીનતમ ટેકનિક, ભારતીય સંસ્કૃતિ અને સંગીતનું એક સુંદર મિશ્રણ હોવાને લીધે આ સંગીતમય રસ્તો સમગ્ર દેશમાં જિજ્ઞાસાનું કારણ બનશે.

આ નવીન પ્રયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુંબઈ કોસ્ટલ રોડ પર નરીમાન પોઈન્ટથી વરલી સુધીના ઉત્તરીય રુટ પર કરવામાં આવ્યો છે. વરલી તરફ જતી ભૂગર્ભ ટનલમાંથી બહાર નીકળ્યા પછી ડિવાઈડરને અડીને આવેલ પહેલી લેનથી 500 મીટર આગળ સંગીત પટ્ટીઓ લગાવવામાં આવી છે. જો આ પટ્ટીઓ પરથી 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવવામાં આવે તો જય હો ગીતની ધૂન સાંભળી શકાય છે.

જ્યારે કોઇ વાહન નિયત કરાયેલ ચોક્કસ ગતિથી રસ્તા પર લગાવેલી આ સંગીત પટ્ટીઓ પરથી પસાર થાય ત્યારે વાહનથી સંગીત પટ્ટીઓ સાથે પેદા થતા ઘર્ષણથી આ ગીત સંભળાય છે. સંગીત પટ્ટીઓ પર વાહનના ટાયરથી ઘર્ષણ ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો પર જય હો ગીતની ધૂન સેટ કરવામાં આવી છે.

સંગીતમય રોડ બનાવવાનો આ નવીન વિચાર 2007 માં જાપાનમાં લોકપ્રિય થયો હતો. જાપાની એંજિનિયર શિઝુઓ શિનોદાએ બુલડોઝરની મદદથી રસ્તા પર કામ કરતી વખતે આ ધ્વનિ અસર શોધી હતી. બાદમાં આ પ્રયોગથી મેલોડી રોડ બનાવવાની ટેકનિક વિકસાવવામાં આવી. અત્યાર સુધી વિશ્વમાં જાપાન, હંગેરી, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત આવા પ્રયોગો કરી ચૂક્યા છે. ભારતમાં મુંબઈ ખાતે આ પહેલો પ્રયોગ છે.

રાજપાલ યાદવ હજુ જેલમાં જ રહેશે, જામીન ન મળ્યા, કોર્ટે ઝાટકણી કાઢી

0

રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. ચેક બાઉન્સ અને લોન ચુકવણી કેસમાં તેમને જામીન મળી શક્યા ન હતા. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. કોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. રાજપાલના પરિવારમાં લગ્ન છે, જેના કારણે તેમણે જામીન માટે અપીલ કરી હતી. જોક, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ રાજપાલને ઠપકો આપતા કહ્યું કે તેઓ તેમની જ ભૂલના કારણે જેલમાં છે.

દોઢ દાયકા જૂના લોન કેસના સંદર્ભમાં રાજપાલ યાદવને થોડા વધુ દિવસ તિહાર જેલમાં રહેવું પડશે. અભિનેતાએ ફરિયાદીને વારંવાર ખાતરી આપી છે કે તે પૈસા ચૂકવી દેશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે પૈસા ચૂકવવામાં આવશે, પરંતુ આવું થયું નથી. કોર્ટે કહ્યું કે આજે ફરીથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસા ચૂકવવામાં આવશે. સુનાવણી દરમિયાન બ્રેક પહેલાં જસ્ટિસ શર્માએ વકીલને કહ્યું કે પૈસા આપવાની તૈયારી કરી લેજો.

બપોરે 2:30 વાગ્યા પછી કોર્ટમાં સુનાવણી ફરી શરૂ થઈ હતી. રાજપાલના વકીલે કોર્ટને જણાવ્યું કે તેઓ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા. તેમણે જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ ઠપકો આપ્યો કે રાજપાલ જેલમાં છે કારણ કે તેમણે પોતાના વચનનો અનાદર કર્યો હતો. તેમણે ઓછામાં ઓછા બે ડઝન વાર કહ્યું હશે કે તેઓ પૈસા ચૂકવશે, પરંતુ પછી તેમણે તેમનું કમિટમેન્ટ પુરું કર્યું નથી. રાજપાલની જામીન સુનાવણી હવે સોમવારે થશે. કોર્ટે બીજા પક્ષને જામીન અરજીનો જવાબ ફાઈવ કરવા કહ્યું છે.

રાજપાલ યાદવના પરિવારમાં 19 ફેબ્રુઆરીએ લગ્ન છે. તેમને તેમના ભાઈ શ્રીપાલ યાદવની પુત્રીના લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે લગ્નમાં હાજરી આપવા માટે અરજીમાં જામીન માટે અરજી કરી હતી.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બાળકોના યૌન શોષણના આરોપ

0

પ્રયાગરાજના માઘ મેળાથી શરૂ થયેલો સંતો વચ્ચેનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર લાગેલા ગંભીર આરોપોથી આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચ્યો છે. માઘ મેળામાં પોલીસ સાથે થયેલી અથડામણ પછી હવે તેઓ નવી અને ગંભીર કાનૂની મુશ્કેલીમાં ઘેરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ તેમના વિરુદ્ધ સગીરોના યૌન શોષણ (POCSO) જેવા ગંભીર આરોપો લગાવી કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

શું છે ગંભીર આરોપો?
જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજની POCSO કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આરોપ મૂક્યો છે કે માઘ મેળા દરમિયાન બે બાળકોએ શંકરાચાર્યના કેમ્પમાં તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી આપી હતી. આ આરોપ મુજબ બાળકોને ‘ગુરુ સેવા’ને નામે લલચાવવામાં આવતા હતા. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાથી સંબંધિત એક વિડિયો CD છે, જેને તેઓ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરશે.

કોણ છે ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી?
આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેઓ શામલીના પંડિત પરિવારમાંથી આવે છે. વર્ષ 2022માં તેમણે જગદ્‌ગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી. તેઓ શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુખ્ય પક્ષકાર તરીકે પણ જોડાયેલા છે.

શંકરાચાર્યનો જવાબ
“આ એક મોટું ષડયંત્ર છે. આ આરોપોને લઈને શંકરાચાર્યએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલાને સમજીવિચારીને રચાયેલું કાવતરું ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેમના વિરુદ્ધ એક દૂષિત માનસિકતાવાળું જૂથ કાર્ય કરી રહ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર પણ સામેલ હોવાનું તેમણે આરોપ મૂક્યો છે.

અધૂરા એક્સપ્રેસવે પર પૂરો ટોલ નહીં: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનો નવો નિયમ

0

સરકારે રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે, જો કોઈ એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ અને કાર્યરત ન થાય, તો લોકો પાસેથી તેના અધૂરા ભાગ માટે સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નેશનલ હાઇવે ફી નિયમો, 2008માં સુધારો કરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

મંત્રાલયના જણાવ્યાનુસાર, જ્યારે એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત ન હોય ત્યારે પણ સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવતો હતો. એટલે કે, જો એક્સપ્રેસવેનો ફક્ત એક ભાગ પૂર્ણ થયો હોય અને બાકીનો ભાગ બાંધકામ હેઠળ હોય, તો પણ ડ્રાઇવરો પાસેથી સમગ્ર લંબાઈ માટે ટોલ વસૂલવામાં આવતો હતો. આનાથી જનતા પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો. હવે, નવા નિયમો હેઠળ, જો રાષ્ટ્રીય એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ ન થાય, તો ફક્ત તેના કાર્યરત અને પૂર્ણ થયેલા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે. વધુમાં, આ ટોલ નિયમિત નેશનલ હાઈવે જેટલા જ દરે વસૂલવામાં આવશે, નહીં કે એક્સપ્રેસવે દરે.

સરકારના મતે, રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ ફી નિયમિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો કરતા 25 ટકા વધારે છે. આનું કારણ એ છે કે એક્સપ્રેસવે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. આ રસ્તાઓ પર વધુ સારી માળખાગત સુવિધા, ઓછી ટ્રાફિક ભીડ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ છે, જેનાથી મુસાફરીનો સમય ઓછો થાય છે. જો કે, જ્યારે એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને કેટલાક સ્થળોએ બાંધકામ ચાલુ હોય, ત્યારે તેઓ સંપૂર્ણપણે સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરી શકતા નથી. આવા સંજોગોમાં પણ, લોકો પાસેથી 25 ટકા વધુ ફી વસૂલવાથી ઘણીવાર ટીકા થઈ છે.

નવી જોગવાઈ મુજબ, જો કોઈ એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત ન હોય, તો ફક્ત પૂર્ણ થયેલા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે, જે નિયમિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેટલા જ દરે વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે વાહનચાલકોને હવે અધૂરી સુવિધા માટે સંપૂર્ણ અને વધારાનો ટોલ ચૂકવવો પડશે નહીં. આ ફેરફારને લાખો લોકો માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે જેઓ દરરોજ અથવા નિયમિતપણે એક્સપ્રેસવેનો ઉપયોગ કરે છે. તે તેમના મુસાફરી ખર્ચમાં ઘટાડો કરશે અને તેમને વધુ પારદર્શિતા પ્રદાન કરશે.

આ નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ ફી (દર નક્કી કરવા અને વસૂલવા) નિયમો, 2008માં આ સુધારો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે નવા દરો એવા એક્સપ્રેસવે પર લાગુ થશે જ્યાં આ તારીખ પછી કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. સરકાર કહે છે કે આ પગલું જનતાના હિતમાં છે જેથી તેઓ ફક્ત તે સેવાઓ માટે ચૂકવણી કરે જે તેઓ ખરેખર મેળવે છે.

સામાન્ય મુસાફરોને શું ફાયદો થશે?
આ નિર્ણયથી ખાસ કરીને ખાનગી વાહન ચાલકો, ટ્રક ઓપરેટરો અને બસ સેવાઓને ફાયદો થશે. ટોલ દરમાં ઘટાડો થવાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જે માલ અને મુસાફરોના ભાડા પર અસર કરી શકે છે. એકંદરે, ટોલ વસૂલાત પ્રણાલીને વધુ ન્યાયી અને પારદર્શક બનાવવા માટે આ સરકારનું પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે, લોકોને અધૂરા એક્સપ્રેસવે પર મુસાફરી કરવાનો વધારાનો બોજ સહન કરવો પડશે નહીં અને તેમની મુસાફરી માટે ફક્ત વાજબી ફી ચૂકવવી પડશે.

ભારતીય હવામાન વિભાગ એલર્ટ: 9 રાજ્યોમાં વરસાદની ચેતવણી, ઠંડીનું મોજું તીવ્ર!

દેશભરમાં ઠંડી ઘટતી જાય છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા એક એલર્ટથી ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 13 ફેબ્રુઆરીએ અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાક (kmph)ની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે.

જે રાજ્યોમાં વરસાદની અપેક્ષા છે તેમાં અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, પુડુચેરી અને લદ્દાખનો સમાવેશ થાય છે. વધુમાં, 16-17 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ 27 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તર ભારતના 27 જિલ્લાઓ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. IMD મુજબ, 13 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, અમેઠી, બારાબંકી, મૈનપુરી, બહરાઇચ, બુલંદશહેર, ચંદૌલી, ચિત્રકૂટ, અયોધ્યા, પ્રયાગરાજ, ગોરખપુર, શામલી, સીતાપુર અને ઝાંસીમાં મધ્યમથી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે.

હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ, કુરુક્ષેત્ર, સોનીપત, હિસાર, ઝજ્જર અને પાણીપતમાં પણ સવારે ધુમ્મસના કારણે મુશ્કેલીઓ ઊભી થશે. પંજાબના લુધિયાણા, અમૃતસર, ફિરોઝપુર, હોશિયારપુર, પટિયાલા અને કપૂરથલામાં ધુમ્મસના કારણે દૃશ્યતામાં ઘટાડો થશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આકાશ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. સવારે 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તર પ્રદેશમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, કેટલાક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. ગાઢ ધુમ્મસથી પ્રભાવિત જિલ્લાઓમાં લખનૌ, કાનપુર, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ, આગ્રા, ગોરખપુર, ગાઝિયાબાદ અને દેવરિયાનો સમાવેશ થાય છે. રાજધાની લખનૌમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

બિહારમાં આકાશ સ્વચ્છ રહેશે. ક્યાંય વરસાદની શક્યતા નથી. જોકે, ગાઢ ધુમ્મસના કારણે ૧૦ થી વધુ જિલ્લાઓમાં સમસ્યા ઊભી થવાની શક્યતા છે. હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે તેમાં પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, સહરસા, કટિહાર, સમસ્તીપુર, દરભંગા અને મધુબનીનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ (IMD) મુજબ, રાજસ્થાનમાં આવતીકાલે હવામાન સ્વચ્છ રહેશે. જોકે, 17 ફેબ્રુઆરીએ જયપુર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જોકે, ભરતપુર, અલવર, અજમેર, બારન, ભીલવાડા અને બિકાનેરમાં મધ્યમથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આજે જયપુરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

13 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશમાં વરસાદની કોઈ ચેતવણી નથી. અહેવાલો અનુસાર, દિવસ દરમિયાન ઠંડીથી થોડી રાહત મળી શકે છે. જોકે, 16 ફેબ્રુઆરી પછી રાજધાની ભોપાલની આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન, સાગર, રેવા, સતના અને છિંદવાડાનો સમાવેશ થાય છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેશે. જોકે, 16 અને 17 ફેબ્રુઆરીએ ફરી વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવચેત રાખવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં વરસાદની અપેક્ષા છે તેમાં કાંગરા, શિમલા અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.

જમ્મુ અને કાશ્મીરમાં હવામાન કેવું રહેશે?
જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની આગાહી છે. જે જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં જમ્મુ, શ્રીનગર, કઠુઆ, ઉધમપુર, પૂંછ અને ડોડાનો સમાવેશ થાય છે. શ્રીનગરમાં આજે મહત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ રહેશે.

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPને બે તૃતીયાંશ બહુમતઃપીએમ મોદીએ આપ્યાં અભિનંદન

0

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં મોટું પરિવર્તન આવ્યું છે. શેખ હસીનાના શાસનકાળના અંત પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ નવી શરૂઆત થવાની આશા સેવાઈ રહી છે. ભારત સરકારે આ જીતને આવકારીને બાંગ્લાદેશી જનતાના જનાદેશનું સન્માન કર્યું છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની પ્રચંડ જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, “સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.” ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે એક લોકશાહી અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની રાજનીતિમાં આ ચૂંટણી એક મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ છે. તારિક રહેમાનની પાર્ટી BNP લગભગ 17 વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફરી રહી છે. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, 300 સભ્યોવાળી ‘જાતીય સંસદ’માં BNP ગઠબંધને 209 બેઠકો જીતીને બે-તૃતિયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ (Geopolitics) માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ભવ્ય વિજય મેળવ્યા હોવા છતાં, BNP એ પરિપક્વતા બતાવીને પોતાના સમર્થકોને વિજય ઉત્સવ ન મનાવવા વિનંતી કરી છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ વિજય સરઘસ કાઢવાને બદલે શુક્રવારની નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત તેમજ દેશની શાંતિ માટે દુઆ કરે. આ નિર્ણયથી સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ આપી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે તારિક રહેમાનના નેતૃત્વવાળી નવી સરકાર સાથે ભારત મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવા કરારો થાય તેવી શક્યતા છે, જે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.

બેંગલુરુમાં ભયાનક અકસ્માત, હાઈવે પર અનેક વાહનો અથડાયા, 7 લોકોના મોત

0

આજે સવારે બેંગલુરુ નજીક હોસ્કોટની બહાર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. એક કાર, બાઇક અને કેન્ટર વાહન વચ્ચેની ટક્કરમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માત હોસ્કોટ-દબાસ્પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એમ સત્યવારા ગામ નજીક થયો.

પોલીસે જણાવ્યું હતું કે હોસ્કોટથી દેવનહલ્લી જઈ રહેલી એક કારે મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની ટક્કર પછી ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને વાહન એક કેન્ટર સાથે અથડાયું હતું. બીજી એક કાર પણ ટક્કર મારી હતી, જેના પરિણામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર છ લોકો અને મોટરસાઈકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત વધુ પડતી ઝડપને કારણે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા છ લોકો કોઠાનુરના રહેવાસી હતા, જોકે તેમની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્કોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને તેઓ પરિવારોને જાણ કરવાની પ્રક્રિયામાં છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું દુઃખદ અવસાન

ભારતીય ટેલિવિઝનના સુવર્ણ યુગના પ્રતીક અને દૂરદર્શન (DD)ના પ્રખ્યાત ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું આજે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીમાં અવસાન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે, અને ઘણા પૂર્વ સાથીઓ તથા પ્રશંસકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

તેઓ 1976થી 2005 સુધી દૂરદર્શનમાં ન્યૂઝ એન્કર તરીકે કાર્યરત રહ્યા હતા. 1980 અને 1990ના દાયકામાં તેઓ તેમના શાંત અવાજ, સરળ શૈલી અને દોષરહિત હિન્દી ઉચ્ચારણ માટે ખૂબ જાણીતા બન્યા હતા. તેમની હાજરી ટેલિવિઝન પર એક અનોખી ઔરા ઉભી કરતી હતી, અને તેઓ સરળતા અને વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવતા હતા.

તેમણે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓના સમાચાર વાંચ્યા હતા, જેમાં 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના અવસાનના સમાચારનો સમાવેશ થાય છે. તેઓ પંજાબમાં આતંકવાદના સમયે પણ નિર્ભયપણે સમાચાર પ્રસ્તુત કરતા હતા, જ્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. 1997માં મધર ટેરેસાના અંતિમ સંસ્કારને કવર કર્યા બાદ તેઓએ પરિવારને વધુ સમય આપવાનો નિર્ણય લીધો હતો.

તેમના પૂર્વ સાથી ન્યૂઝ એન્કર શમ્મી નારંગે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “તેઓ કૃપા અને વિનમ્રતાનું પ્રતીક હતા. તેમની હાજરી દરેક જગ્યાને ઉજ્જવળ બનાવતી હતી.” અન્ય પત્રકારો અને પ્રશંસકોએ પણ તેમને યાદ કરીને કહ્યું કે, તેમના યુગમાં સમાચાર વાંચવું એક કલા હતી, જે આજના ચીસાચીસવાળા મીડિયાથી તદ્દન અલગ હતી.સરલા મહેશ્વરીના પતિ પવન મહેશ્વરી અને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના અવસાનથી ટેલિવિઝન જગતે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.

સુરતમાં બસ બાઇક વચ્ચે જોરદાર અકસ્માત, BCA વિદ્યાર્થીનું મોત

સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી દીધા. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે BCA ના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કચડાઈને મોત નીપજ્યું. આ અકસ્માતમાં પરિવારની એકમાત્ર આશા ઠપ્પ થઈ ગઈ, જેનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતના જહાંગીરપુરાનો રહેવાસી 20 વર્ષીય જશ બુંદેલા બુંદેલા કોલેજમાં બીસીએના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો.

ગઈકાલે સાંજે, લગભગ 4:30 વાગ્યે, જશ કોલેજ પછી તેના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વિરુદ્ધ દિશામાંથી આવતી બાઇકને જોઈને તેણે અચાનક બ્રેક લગાવી, જેના કારણે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું. સંતુલન ગુમાવતા તે સીધો ચાલતી બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો. જશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

થાઈલેન્ડમાં ભયાનક ગોળીબાર, 22 બાળકો સહિત 34 લોકોના મોત

શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ તરીકે ઓળખાતા થાઈલેન્ડમાં આજે માનવતા શરમાઈ ગઈ છે, કારણ કે દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ થયેલી ભયાનક ગોળીબારની ઘટનાઓમાં કુલ 34 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 22 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી મોટી ઘટના એક ડે-કેર સેન્ટરમાં બની હતી, જ્યાં નોકરીમાંથી કાઢી મૂકાયેલા પૂર્વ પોલીસ કર્મચારીએ બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે ગોળીબાર અને ચાકુથી હુમલો કરી 22 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી.

મૃતકોમાં 22 જેટલા નાના ફૂલ જેવા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જે આંકડો સાંભળીને જ કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ ઘટનાને થાઈલેન્ડના ઈતિહાસનો સૌથી ભયાનક અને ‘ઘાતક સામૂહિક ગોળીબાર’ ગણવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી મોટી જાનહાનિ એક ડેકેર સેન્ટરમાં થઈ છે. એક બરતરફ કરાયેલા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકાયેલા ‘ભૂતપૂર્વ પોલીસ અધિકારી’ એ ડેકેર સેન્ટરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો અને બાળકો પર ચાકુથી પણ હુમલો કર્યો હતો. આ પાશવી હુમલામાં 22 બાળકો અને 12 પુખ્ત વયના નાગરિકો સહિત કુલ 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

હત્યારાએ બપોરના સમયે જ્યારે બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવતા સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લહેર પ્રસરી ગઈ છે. આ ઘટના પાછળનો હેતુ શું હતો, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપીને આવ્યો હતો અને માનસિક રીતે અસ્થિર જણાતો હતો.

આ કરુણાંતિકા ઓછી હતી ત્યાં દક્ષિણ થાઈલેન્ડના ‘હાટ યાઈ’ વિસ્તારમાંથી પણ વધુ એક હુમલાના સમાચાર આવ્યા છે. અહીં એક 18 વર્ષીય યુવકે શાળામાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલો મુજબ, હુમલાખોરે શાળાની એક મહિલા કર્મચારીને થોડા સમય માટે ‘બંધક’ બનાવી લીધી હતી, જોકે પોલીસે બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને ‘રાષ્ટ્રીય ત્રાસદી’ ગણાવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણાતા થાઈલેન્ડમાં આ પ્રકારની ‘આતંકવાદ’ જેવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. થાઈલેન્ડમાં બંદૂક રાખવાના કાયદા કડક હોવા છતાં ગેરકાયદેસર હથિયારોનું પ્રમાણ ચિંતાજનક છે.