ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું પ્રથમ ગુજરાત પ્રવાસ આજે શરૂ થવાથી રાજકીય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છે. નીતિન નબીન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન બપોરે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત મેળવશે. યાત્રાના સમયસર 3:30 વાગ્યે તેઓ GSC બેંક ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે સંવાદ કરશે, જ્યારે 5:30 વાગ્યે ઇન્ફો સિટી ખાતે ઉદ્યોગકારો, CA અને એન્ટરપ્રિનિયર્સ સાથે મુલાકાત કરશે. સાંજે 7:30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેના બાદ કેબિનેટ મંત્રીઓ સાથે નીતિન નબીનની બેઠક રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પત્ની અમૃતા ફડણવીસએ એક્સિસ બેન્કમાંથી રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમૃતા ફડણવીસે જાહેરાત કરી છે કે તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ અગાઉ ભારતની પ્રખ્યાત એક્સિસ બેંકમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા હતા. જોકે, તેમણે ગુરુવારે રાજીનામું આપ્યું છે. રાજીનામાની જાહેરાત કરતા અમૃતાએ ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
અમૃતા ફડણવીસે શું કહ્યું?
અમૃતા ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સત્તાવાર હેન્ડલ પર લખ્યું, “23 વર્ષ પહેલાં, હું એક્સિસ બેંકમાં એક યુવાન મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાઈ હતી. આજે, કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, હું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપી રહી છું. શાખા સંચાલનથી લઈને કોર્પોરેટ બેંકિંગ, ટ્રેઝરીથી લઈને ગ્રાહક સંબંધો સુધીના અનુભવ સાથે, આ સંસ્થા મારો પરિવાર, શિક્ષક અને બીજું ઘર રહી છે.”
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમાં કહ્યું, “હું મારા સાથીદારો અને લીડર, ખાસ કરીને એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરીનો તેમના બધા સમર્થન માટે આભારી છું. આ સુંદર પ્રકરણનો અંત આવતાં, હું મારી સાથે જીવનભરના પાઠ અને મિત્રતા લઈ જઈશ. આભાર, એક્સિસ બેંક.” “
દેવેન્દ્ર અને અમૃતાના લગ્ન 2005 માં થયા હતા. દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ ઘણીવાર સમાચારમાં રહે છે. તેમના લગ્ન 2005 માં થયા હતા. અમૃતા ઘણીવાર રાજકીય મુદ્દાઓ પર તેમના પતિ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટેકો આપતી જોવા મળે છે. અમૃતા, તેના X હેન્ડલ પર જણાવે છે કે તે એક ભૂતપૂર્વ બેંકર, ગાયિકા અને સામાજિક કાર્યકર છે. અમૃતા સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ફેન ફોલોઇંગ ધરાવે છે, X પર 237,000 થી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.6 મિલિયન ફોલોઅર્સ પણ છે.
મેઘાલયના સાંસદ રિકી સિંગ્કોનનું ફુટબોલ રમતી વખતે નિધન
મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.
ડો. રિકી સિંગ્કોન સમર્પિત અને કરુણામયી નેતા હતા : મેઘાલયના મુખ્યમંત્રી કે. સંગમા
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે, સંગમાએ ટ્વિટ કર્યું કે, શિલોંગના માનનીય સાંસદ રિકી એજે સિંગ્કોનના આકસ્મિક નિધનથી હું અત્યંત સ્તબ્ધ અને દુઃખી છું. ડો. રિકી એક સમર્પિત અને કરુણામયી નેતા હતા, તેનામાં જનસેવા પ્રત્યેનો ઉત્સાહ અને પોતાની જનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા હતી. તેઓ આસ્થાવાન હતા અને વિનમ્રતા, દૂરદર્શિતા અને સમાજના ઉત્થાનની સાચી ઇચ્છા સાથે સેવા કરતા હતા. આ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અગણિત શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદનાઓ છે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.
સાંસદ રિકી સિંગ્કોનના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિલોંગના સાંસદ રિકી એજે સિંગ્કોનના અચાનક નિધન થવા પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ ટ્વિટમાં લખ્યું છે – શિલોંગના લોકસભા સાંસદ ડૉ. રિકી એજે સિંગકોનના નિધનથી અત્યંત દુઃખ થયું છે. મેઘાલયના લોકો પ્રત્યેની તેમની સમર્પિત સેવા માટે તેમને યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
રિકી સિંગ્કોને 3 વખતના કોંગ્રેસ સાંસદને હટાવ્યો
VVP ની ટિકિટ પર ચૂંટણી લડી તેમણે ત્રણ વખતના કોંગ્રેસ સાંસદ વિંસેન્ટ એચ. પાલાને 37 લાખ કરતા વધારે મતોથી હરાવ્યો હતો, જેનાથી મેઘાલયના રાજકારણના સમીકરણમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો હતો. છેવેડાના લોકો સાથે સંપર્ક અને આદિવાસી અધિકારો, શાસન અને પારદર્શિતા માટે તરફેણ કરનાર રિકી સિંગ્કોનના અચાનક નિધનથી મેઘાલય રાજ્ય અને દેશનું રાજકારણ ખાસ કરીને વીપીપીને મોટી ખોટ પડી છે.
રાંદેરમાં આગડિયા પેઢીના કર્મચારીની કારનો કાચ તોડી રૂ.35 લાખની લૂંટ, CCTVમાં કેદ
સુરતના રાંદેર મોરા ભાગળ નજીક ઢળતી સાંજે બાઇક સવાર બે જણા એ જાહેર રોડ પર આગડિયા પેઢીના કર્મચારીને કોઈ હથિયાર વડે આંતરી રૂપિયા 35 લાખની લૂંટ ચલાવી મોપેડ સવાર બે અજાણ્યા ઈસમો ભાગી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસે તાત્કાલિક ફરિયાદી પાસે પ્રાથમિક માહિતી લઈ નાકાબંધી કરી મોપેડ સવાર લૂંટારુઓને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જોકે લૂંટારું બન્ને ઇસમોના CCTV માં કેદ થઈ જતા પોલીસે બન્ને લૂંટારુઓ ઓળખ દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લૂંટારુઓ મોપેડ ઉપર આવ્યા હતા અને આંખના પલકારે આગદિયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા. લૂંટારુંઓનો ભોગ બનેલા ઇસમે બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા.
આ ઘટના રાંદેર રામનગર પાસે મોબાઇલની દુકાન બહાર બની હતી. લૂંટારું બન્ને ઈસમો એક્ટિવા પર આવ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરતા રાંદેર પોલીસ સહીત ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા લૂંટારુઓ કાર ના કાચ તોડી લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું.
આવક પ્રમાણપત્ર માટે નવી સરળ પ્રક્રિયા અમલમાં, જાણો નવા નિયમો
ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકનું પ્રમાણપત્ર અંગે મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. હવે રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવક પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
સરકારનો મહત્ત્વનો નિર્ણયઆ નવા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા અને ભ્રષ્ટાચાર ઘટાડાનો છે. નવા ઠરાવ અનુસાર, હવે અરજદારે પોતાની આવક અંગે કોઈ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. હવે અરજદારે પોતાની આવક બાબતે સ્વ-ઘોષણા આપવી રહેશે. જો કે, ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઓનલાઇન અરજી પ્રક્રિયા મજબૂત બનશેરાજ્ય સરકારના નવા ઠરાવ અનુસાર ડિજિટલ e-સર્ટિફિકેટ સુવિધા સાથે આવકનું પ્રમાણપત્ર હવે QR Code અને Digitally Signed e-Seal સાથે આપવામાં આવશે. સાથે જ અરજી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે Single Sign-On (SSO) સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા મજબૂત બનશે. SSO સિસ્ટમથી અરજદાર એક જ જગ્યાથી અનેક સુવિધા મેળવી શકે છે. તેમજ અરજદાર ઓનલાઇન માધ્યમથી અરજી અને ટ્રેકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે.
અધિકારીઓની જવાબદારી નિર્ધારિતઆ નવી વ્યવસ્થામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. દરેક અરજીનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટશે. આ સાથે જ સમય અને આર્થિક ખર્ચ બચશે અને વહીવટી કામગીરી વધુ પારદર્શી બનશે.
સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત 6.5 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો
ગુજરાતના તમામ એરપોર્ટ અને પોર્ટ પર ગાંજો તથા ડ્રગ્સની હેરાફેરીની શંકાને લઇને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત બેંગકોકથી ગાંજો લઇને આવતા પેડલર 6.5 કરોડના 6.40 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાયા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સાથે જ ડ્રગ્સ કોને મોકલ્યું અને કોણ લેવાનું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.
સુરત-બેંગકોક વચ્ચે દોડતી ફ્લાઇટનું નામ ગાંજા એક્સપ્રેસ થઇ ગયં હોય તેમ લાગી રહ્યું છે. બેંગકોકથી સુરત પહોંચેલી ફ્લાઇટના મુસાફરો કસ્ટમન્સ અને ઇમિગ્રેસનની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા હતા. ત્યારે જ કસ્ટમ્સની ટીમે બે મુસાફરોને અટકાવ્યા હતા. બન્નેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેમણે પોતાની પાસે કંઇ શંકાસ્પદ વસ્તુ નહીં હોવાની કેફિયત રજુ કરી હતી. જોકે, કસ્ટમ્સની ટીમે તેમનો સામન ચેક કરતાં બેગમાંથી 30 સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. જેમાં લીલા રંગનો પદાર્થ જોવા મળ્યો હતો.
અધિકારીઓએ પેકેટ કબજે કરીને એફએસએલના અધિકારીઓ મારફતે તેની તપાસ કરાવતાં તે હાઇબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ડિપાર્ટમેન્ટ દ્વારા બન્ને પેડલરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ બેંગકોકથી સુરત આવતી ફ્લાઇટમાં જુદા જુદા ત્રણ કન્સાઇન્મેન્ટ મળી આવ્યા હતા. જે અંગે પણ કસ્ટમ્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
મુખ્યમંત્રી યોગીનો આદેશ: ઉત્તર પ્રદેશમાં DM-SP મોનિટરિંગ, સવારે 9.45 ઓફિસ ફરજિયાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટી અધિકારીઓની કાર્યશૈલી અને જાહેર સમસ્યાઓના નિરાકરણમાં બેદરકારી પર કડક વલણ અપનાવ્યું છે. જિલ્લાઓમાં તહેનાત જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કેપ્ટન જાહેર સુનાવણીને ગંભીરતાથી લેતા નથી તેવી ફરિયાદો બાદ, મુખ્યમંત્રી કાર્યાલયે હવે આ અધિકારીઓ પર સીધી દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે કડક સૂચનાઓ જારી કરી છે કે અધિકારીઓ ખરેખર તેમની ઓફિસમાં બેસીને જાહેર સમસ્યાઓ સાંભળે, ફક્ત કાગળ પર નહીં.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી લેવાશે
મુખ્યમંત્રીના મુખ્ય સચિવ સંજય પ્રસાદ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકોને એક કડક પત્ર મોકલવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અધિકારીઓએ હવે દરેક કાર્યકારી દિવસે સવારે 9:45 વાગ્યે તેમની કચેરીઓમાં હાજર રહેવું ફરજિયાત રહેશે.
વધુમાં તેમણે તેમના ઓફિસ લેન્ડલાઈન અથવા વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયના ડેશબોર્ડ સાથે કનેક્ટ થવું આવશ્યક છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અધિકારી મોબાઇલ ફોન દ્વારા વિડીયો કોન્ફરન્સિંગમાં જોડાશે નહીં, જેથી ખાતરી કરી શકાય કે તેઓ ખરેખર પ્રવાસ પર કે ઘરેથી નહીં, પરંતુ તેમની ખુરશી પરથી જનતાની ફરિયાદો સાંભળી રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નારાજગીનું મુખ્ય કારણ એ છે કે તેમના લખનૌ નિવાસસ્થાને જનતા દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે. મુખ્યમંત્રીને ખ્યાલ આવી ગયો છે કે દૂરના જિલ્લાઓમાંથી લોકો નાની-મોટી સમસ્યાઓ સાથે રાજધાની લખનૌ
આવી રહ્યા છે .
તેમાં રેશનકાર્ડ, જમીનના વિવાદો, અથવા પોલીસ સ્ટેશનોમાં સુનાવણીનો અભાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે, જે જિલ્લા સ્તરે સરળતાથી ઉકેલી શકાય છે. મુખ્યમંત્રી માને છે કે જો જિલ્લા ડીએમ અને એસપી તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવે અને સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી જાહેર સુનાવણી કરે તો ગરીબ અને જરૂરિયાતમંદોને લખનૌ જવા માટે પોતાનો સમય અને પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે.
નવી સિસ્ટમ હેઠળ અધિકારીઓની હાજરી પર નજર રાખવામાં આવશે, પરંતુ તેમના કામની ગુણવત્તાની પણ તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય જાહેર સુનાવણીના કેસોની રેન્ડમ તપાસ કરશે. આ હેઠળ ફરિયાદીઓને લખનૌથી સીધા ફોન કરીને પૂછવામાં આવશે કે અધિકારીએ તેમની વાત સાંભળી છે કે નહીં અને તેમની સમસ્યાનું નિરાકરણ થયું છે કે નહીં.
અધિકારીઓએ હવે પોર્ટલ પર તેમણે ઉકેલેલી ફરિયાદોની સંખ્યા પણ અપલોડ કરવાની રહેશે. જો,ક્રોસ-ચેકિંગ દરમિયાન, કોઈ ફરિયાદી ફરિયાદ કરે છે કે તેને પાછા મોકલી દેવામાં આવી રહ્યો છે અથવા કોઈ અધિકારી મળી શકતો નથી, તો સંબંધિત ડીએમ અથવા એસએસપી સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ નિયમોમાં 5 મોટા ફેરફાર, જાણો તમારા ખર્ચની રીત કેવી રીતે બદલાશે
જો તમે રોજિંદા ખર્ચ, ઓનલાઈન ખરીદી અથવા ટેક્સ ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 એપ્રિલ, 2026 થી તમારા માટે ઘણા નિયમો બદલાઈ શકે છે. આવકવેરા વિભાગે આવકવેરા નિયમો 2026 ના ડ્રાફ્ટમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત પાંચ મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. જો મંજૂર થાય, તો આ નિયમો 1962 ની જૂની જોગવાઈઓને બદલી શકે છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ ફેરફારો તમારા નાણાકીય અને કર આયોજનને કેવી રીતે અસર કરશે.
મોટા ક્રેડિટ કાર્ડ બિલો પર કડક રિપોર્ટિંગ
નવા ડ્રાફ્ટ મુજબ, જો નાણાકીય વર્ષમાં તમારા એક અથવા વધુ ક્રેડિટ કાર્ડ પર કરવામાં આવેલી ચુકવણીની કુલ રકમ (રોકડ સિવાય) ₹10 લાખ કે તેથી વધુ હોય, તો બેંક અથવા કાર્ડ જારી કરનારી કંપનીએ આ માહિતી આવકવેરા વિભાગને જાણ કરવાની રહેશે. તેવી જ રીતે, જો ₹1 લાખ કે તેથી વધુની ચુકવણી રોકડમાં કરવામાં આવે છે, તો રિપોર્ટિંગ પણ ફરજિયાત રહેશે. આનો હેતુ મોટા વ્યવહારો પર નજર રાખવા અને કર પાલનને મજબૂત બનાવવાનો છે.
PAN બનાવતી વખતે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે
ત્રણ મહિનાથી ઓછા જૂના ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ હવે સરનામાના પુરાવા તરીકે સ્વીકારી શકાય છે. આનાથી નવા PAN અરજદારોને વધુ સુવિધા મળશે અને દસ્તાવેજ સંગ્રહ પ્રક્રિયા સરળ બનશે.
કર ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડ મંજૂરી
ક્રેડિટ કાર્ડ હવે ઓનલાઈન આવકવેરો ભરવા માટે માન્ય ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિ હશે. પહેલાં, ફક્ત ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ ઉપલબ્ધ હતા. આ ફેરફાર કરદાતાઓને ચુકવણીમાં સુગમતા પ્રદાન કરશે, જોકે તેમને વ્યાજ અને શુલ્કથી વાકેફ રહેવાની જરૂર પડશે.
કંપની દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડ્સ પર કર નિયમો
જો કોઈ કર્મચારીને તેમની કંપની દ્વારા ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે અને કંપની તે કાર્ડ પર થયેલા ખર્ચ માટે ચૂકવણી કરે છે, તો તે લાભદાયી માનવામાં આવે છે અને કરને આધીન છે. જો કે, જો ખર્ચ ફક્ત સત્તાવાર હેતુઓ માટે હોય અને કંપની સંપૂર્ણ રેકોર્ડ અને પ્રમાણપત્રો જાળવે છે, તો તે કરમુક્ત હોઈ શકે છે.
ક્રેડિટ કાર્ડ માટે પાન ફરજિયાત છે.
હવે, કોઈપણ બેંક કે સંસ્થામાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા માટે PAN નંબર આપવો ફરજિયાત બનશે. PAN વગરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આનો હેતુ મોટા વ્યવહારોને કર પ્રણાલી સાથે જોડવાનો અને નકલી ખાતાઓને કાબુમાં લેવાનો છે.
શું તમારા ખર્ચ કરવાની રીત બદલાશે?
આ નિયમો સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર મોટા ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર કડક ચકાસણી કરવાની તૈયારી કરી રહી છે. ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને પારદર્શિતા સુધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો તમે મોટા ખર્ચ કરો છો અથવા કંપની કાર્ડનો ઉપયોગ કરો છો, તો રેકોર્ડકીપિંગ અને ટેક્સ પ્લાનિંગ પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક‑યોલને માર્શલ લો કેસમાં આજીવન કેદની સજા ફટકારી
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને કોર્ટે મોટો ફટકો આપ્યો છે. દક્ષિણ કોરિયાની એક કોર્ટે તેમને માર્શલ લો લાદવા બદલ દોષિત ઠેરવ્યા છે. તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક-યેઓલને 2024 માં માર્શલ લો જાહેર કરીને બળવાનું નેતૃત્વ કરવા અને દેશને બંધારણીય કટોકટીમાં ધકેલી દેવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 65 વર્ષીય યુન સુક-યેઓલ એપ્રિલથી તેમના ટૂંકા ગાળાના માર્શલ લો ઘોષણા સંબંધિત વિવિધ ફોજદારી આરોપોમાં ટ્રાયલ હેઠળ હતા.
ગુરુવારે સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશોએ “બળવાના નેતા હોવાના” સૌથી ગંભીર આરોપ પર ચુકાદો આપ્યો. ફરિયાદ પક્ષે મૃત્યુદંડની માંગ કરી હતી. યુનને આજીવન કેદની સજા સંભળાવતી વખતે, મુખ્ય ન્યાયાધીશ જી ક્વિ-યેઓનએ કહ્યું કે યુને “કાનૂની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું છે અને રાષ્ટ્રીય સભાને લકવાગ્રસ્ત કરવા અને લોકશાહી ધોરણોને નબળી પાડવા માટે હિંસક માધ્યમોનો આશરો લીધો છે.”
લશ્કરી કાયદો કેમ લાદવામાં આવ્યો?
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે ૩ ડિસેમ્બર, ૨૦૨૪ ની રાત્રે માર્શલ લો જાહેર કર્યો, અને કહ્યું કે વિપક્ષના પ્રભુત્વવાળી રાષ્ટ્રીય સભામાં “રાષ્ટ્રવિરોધી શક્તિઓ” ને દૂર કરવી જરૂરી છે. તેમણે સંસદને “ગુનેગારોનો અડ્ડો” ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે સંસદીય બહુમતીનો ઉપયોગ તેમની સરકારને લકવાગ્રસ્ત કરવા માટે થઈ રહ્યો છે.
તેમના આદેશથી તમામ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને સમાચાર માધ્યમોને લશ્કરી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા. સશસ્ત્ર સૈનિકોએ રાષ્ટ્રીય સભા અને રાષ્ટ્રીય ચૂંટણી પંચ પર દરોડા પાડ્યા. ફરિયાદીઓએ યૂન પર તેમના રાજકીય વિરોધીઓની ધરપકડનો આદેશ આપવાનો પણ આરોપ લગાવ્યો.
ઓર્ડર 6 કલાકની અંદર પાછો ખેંચવો પડ્યો
લોકોના ગુસ્સાએ લગભગ તરત જ યૂનના માર્શલ લો શાસનને નિષ્ફળ બનાવ્યું. યુનની જાહેરાત ટીવી પર દેખાતાની સાથે જ, નાગરિકો રાષ્ટ્રીય સભામાં દોડી ગયા અને રાષ્ટ્રપતિના આદેશ પર સંસદ પર કબજો કરવા આવેલા સૈનિકોનો સામનો કર્યો. ભીડે સૈનિકોને મુખ્ય ચેમ્બર પર કબજો કરતા અટકાવ્યા, જ્યારે કાયદા ઘડનારાઓ મધ્યરાત્રિએ ભેગા થયા અને તેમના આદેશનો વિરોધ કર્યો. યુનને છ કલાક પછી તેમનો આદેશ પાછો ખેંચવાની ફરજ પડી. પરંતુ તેમના સત્તા હડપવાના પ્રયાસે દાયકાઓમાં સૌથી મોટા રાજકીય સંકટને જન્મ આપ્યો.
દક્ષિણ ઈરાનમાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પરમાણુ મંત્રણાના તણાવ વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. 5.5ની તીવ્રતાના આ ભૂકંપને કેટલાક લોકો ઈરાનનો ગુપ્ત ‘પરમાણુ ટેસ્ટ’ માની રહ્યા છે.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
દક્ષિણ ઈરાનમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે સપાટી પર ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

