Home Blog Page 144

કેન્દ્ર સરકારે કોંગ્રેસને 28 માર્ચ સુધીમાં 24 અકબર રોડ ઓફિસ ખાલી કરવા નોટિસ ફટકારી

કોંગ્રેસ પાર્ટીને તેના બે મહત્વના કાર્યાલયોમાંથી બહાર કાઢવાની નોટિસ મળી છે. આમાં રાષ્ટ્રીય મુખ્યાલય 24 અકબર રોડ અને યુવા કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય 5 રાઈસિના રોડ સામેલ છે. કેન્દ્ર સરકારે પાર્ટીને 28 માર્ચ (શનિવાર) સુધીમાં આ બંને પ્રિમિસીસ ખાલી કરવા જણાવ્યું છે.

આ નોટિસ કેટલાક દિવસ પહેલાં મોકલવામાં આવી છે અને તે લુત્યન્સ દિલ્હીમાં કોંગ્રેસની હાજરીને અસર કરશે. 1978થી અકબર રોડ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય મુખ્યાલય છે, જ્યાં પાર્ટીના મોટા નિર્ણયો અને સંકલનનું કામ થાય છે. 5 રાઈસિના રોડ પર ઈન્ડિયન યુવા કોંગ્રેસ અને NSUIના કાર્યાલયો છે. કોંગ્રેસ પક્ષે તૈયારીના ભાગરૂપે અગાઉથી જ ઈન્દિરા ભવન, આઈટીઓ પાસે ઓફિસ ખસેડી લીધી છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમે અમારી પાસે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો તપાસી રહ્યા છીએ, પરંતુ આ વખતે સરકાર વધુ આક્રમક છે. પાર્ટી હવે કોર્ટમાં જવા સહિતના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

અને સરકાર પાસેથી સમય મર્યાદા વધારવાની માંગ કરવાની તૈયારીમાં છે. કેટલાક વ્યૂહાત્મક વિકલ્પો જેમ કે રાજ્યસભામાં વરિષ્ઠ નેતાને લાવીને બંગલો તેમના નામે અલોટ કરાવવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટના વિપક્ષ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચેના તણાવને વધુ વધારે છે. અગાઉ પણ અકબર રોડના કાર્યાલયોને લઈને વિવાદો થયા હતા, પરંતુ આ વખતે સમય મર્યાદા ખૂબ જ ઓછી હોવાથી પાર્ટીમાં ચિંતા વ્યાપી છે.

કોંગ્રેસે હજુ સુધી આ મામલે વધુ વિગતવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં આને રાજકીય દબાણ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કાનૂની અને રાજકીય વિકાસ જોવા મળી શકે છે.

બળાત્કાર કેસમાં 7 મહિનાથી ફરાર AAP ધારાસભ્યની મધ્યપ્રદેશથી ધરપકડ

0

પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકમાં ધરપકડ થનારા તે બીજો વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા સોમવારે પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આપ ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. ધરપકડથી બચવા માટે તે 2 સપ્ટેમ્બર, 2025થી જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ સમક્ષ હાજર ન થતા કોર્ટે તેને પ્રોક્લેમ ઓફેન્ડર જાહેર કર્યો હતો.

પઠાણમાજરા દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. પોલીસની એક વિશેષ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી હતી. અંતે, સતત પ્રયત્નો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને દબોચી લીધો હતો. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે જેથી આ કેસમાં ઊંડી તપાસ થઈ શકે.

માત્ર બે દિવસમાં બે ધારાસભ્યોની ધરપકડને કારણે પંજાબની ભગવંત માન સરકાર રક્ષણાત્મક મોડમાં આવી ગઈ છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે અને રાજ્યની કાયદો-વ્યવસ્થા તેમજ સત્તાધારી પક્ષના નેતાઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ તો માન સરકાર વધારે એક મામલે ભોંઠી પડી રહી હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.

જ્યાં એક તરફ લાલજીત ભુલ્લરનો કેસ એક અધિકારીની આત્મહત્યા સાથે જોડાયેલો છે, ત્યાં બીજી તરફ પઠાણમાજરા પર લાગેલા બળાત્કારના ગંભીર આરોપોએ આ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. હાલમાં પોલીસે સત્તાવાર રીતે ધરપકડની પુષ્ટિ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુવૈત એરપોર્ટ પર ડ્રોનથી ઇંધણ ટાંકી અથડાઈ, તેહરાન પર હુમલામાં 12 લોકોના મોત

આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 26મો દિવસ છે. કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી થયેલા હુમલામાં ઇંધણ ટાંકીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી હતી.

જોકે, કુવૈતના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે અહેવાલ આપ્યો છે કે કોઈ જાનહાનિ થઈ નથી. દક્ષિણ તેહરાનમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 28 ઘાયલ થયા. બીબીસીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સૈન્યએ દક્ષિણ લેબનોનના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ધમકી આપી છે.

મંગળવારે ઈરાન પર થયેલા હવાઈ હુમલાથી રાજધાની તેહરાનમાં ભારે વિનાશ થયો. ત્યારબાદ ઈરાની મિસાઈલો અને ડ્રોનથી ઈઝરાયલના તેલ અવીવ અને પશ્ચિમ એશિયાના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા. જો કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.

25 માર્ચ 2026, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

મેષ (Aries)
​ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં નિકટતા આવશે અને સાહસિક કાર્યોમાં સફળતા મળશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવી શકે છે.

​વૃષભ (Taurus)
​આર્થિક દૃષ્ટિએ દિવસ ઘણો મજબૂત જણાશે અને પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. વાણીમાં મધુરતા રાખશો તો અટકેલા સરકારી કામો સરળતાથી પૂર્ણ થશે.

​મિથુન (Gemini)
​ચંદ્ર આપની જ રાશિમાં હોવાથી માનસિક ઉત્સાહ અને નવી સ્ફૂર્તિનો અનુભવ થશે. તમારી નિર્ણયશક્તિ પ્રબળ બનશે અને સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

​કર્ક (Cancer)
​બિનજરૂરી ખર્ચ અને દોડધામમાં વધારો થવાની શક્યતા છે, તેથી બજેટ જાળવી રાખવું. વિદેશથી જોડાયેલા કામમાં પ્રગતિ થશે પરંતુ સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું.

સિંહ (Leo)
​આકસ્મિક ધનલાભના પ્રબળ યોગો છે અને જૂના મિત્રો સાથેની મુલાકાત આનંદદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને મહત્વકાંક્ષી યોજનાઓ સાકાર થશે.

​કન્યા (Virgo)
​કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. પિતાના માર્ગદર્શનથી વેપારમાં મોટો ફાયદો થશે અને માન-સન્માન વધશે.

તુલા (Libra)
​ભાગ્યનો સાથ મળતા લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે અને ધાર્મિક યાત્રાના યોગ બનશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સાનુકૂળ સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક (Scorpio)
​માનસિક વ્યાકુળતા કે અશાંતિનો અનુભવ થઈ શકે છે, તેથી યોગ અને ધ્યાનનો સહારો લેવો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું.

ધનુ (Sagittarius)
​જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો લાભ થશે. જાહેર જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે અને મન પ્રફુલ્લિત રહેશે.

મકર (Capricorn)
​કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં સફળતા મળશે અને શત્રુઓ તમારી સામે પરાજિત થશે. નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે અને જૂના રોગોમાં રાહત જણાશે.

કુંભ (Aquarius)
​વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે અને સંતાન પક્ષ તરફથી ખુશી મળશે. બૌદ્ધિક ચર્ચાઓમાં તમારી જીત થશે અને રચનાત્મક શક્તિમાં વધારો થશે.

મીન (Pisces)
​ઘરેલું બાબતોને લઈને થોડી ચિંતા રહી શકે છે, તેથી પરિવાર સાથે શાંતિથી વાતચીત કરવી. મકાન કે વાહનના દસ્તાવેજી કામોમાં ચોકસાઈ રાખવી અને માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ધર્મ પરિવર્તન સાથે અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થશે: સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિને અનુસૂચિત જાતિ (Scheduled Caste)નો સભ્ય માનવામાં આવી શકતો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થઈ જાય છે.

જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજરિયા (P.K. Mishra and N.V. Anjaria)ની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરેલી દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ થયેલા ઉલ્લંઘનનો દાવો કરી શકતી નથી. કોર્ટે કહ્યું હતું કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ માનનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય બની શકતી નથી. અન્ય ધર્મમાં ધર્માંતરણ થતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ, કાયદો અથવા રાજ્ય વિધાનસભા હેઠળ મળતા કોઈ પણ કાનૂની લાભ, સુરક્ષા, આરક્ષણ અથવા હક એવી વ્યક્તિને આપવામાં આવી શકતા નથી જેને કલમ 3 હેઠળ અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં આવતો નથી. આ પ્રતિબંધ સંપૂર્ણ છે.

શું હતો આખો મામલો?
સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ નિર્ણય આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના મે, 2025ના ચુકાદા સામે પાદરી ચિન્થડા આનંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર આપ્યો હતો. આનંદે આરોપ લગાવ્યો હતો કે અક્કાલા રામીરેડ્ડી અને અન્ય લોકોએ તેમના સામે જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી, જેને આધારે પોલીસે FIR નોંધાવી હતી.

ત્યાર બાદ રામીરેડ્ડીએ કેસ રદ્દ કરવાની માગ સાથે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જસ્ટિસ એન. હરિનાથે FIR રદ કરતાં જણાવ્યું હતું કે આનંદ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી ચૂક્યા હતા, તેથી તેઓ એસસી/એસટી અધિનિયમ હેઠળ સુરક્ષા માગવાનો હક રાખતા નથી.

કોર્ટે એ પણ કહ્યું હતું કે આનંદ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હોવા છતાં તેમને કોઈ લાભ મળી શકશે નહીં, કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો અમાન્ય બની જાય છે. ત્યાર બાદ આનંદે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

સુરતમાં સોસાયટી વિવાદે લીધો હિંસક વળાંક: ડોક્ટર સહિત 3 સામે ફરિયાદ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જાનકી રેસિડેન્સીમાં સોસાયટીના મુદ્દે થયેલી નાની બોલાચાલી ભયાનક હુમલામાં ફેરવાઈ ગઈ હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા દરમિયાન સોસાયટીના મેઇન્ટેનન્સ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાતા યુવાન પર હથોડાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, 22 માર્ચે રાત્રે લગભગ 11:30 વાગ્યે ચિરાગ કોસંબિયા મિત્રો સાથે ગાર્ડન પાસે ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં તેમણે હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડિયાને પણ સ્થળ પર બોલાવ્યા હતા.

વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટીંગ કામમાં વપરાતો હથોડો લઈને આવ્યા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું કે, “તારા નાટક વધી ગયા છે, આજે તને પતાવી જ નાખું.” આ દરમિયાન હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને અલગ પાડ્યા હતા.

આ બનાવ દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જેમાં હુમલાની ક્ષણો સ્પષ્ટ જોવા મળે છે. વીડિયો જોઈ રહેલા લોકો, ખાસ કરીને બાળકો, ચીસો પાડતા જોવા મળે છે.

ઘટના બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભરત સુરતી અને હિરેન બરોડિયાની ધરપકડ કરી છે, જ્યારે ડો. વિપુલ બરોડિયા હજુ ફરાર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ હાથ ધરાઈ રહી છે.

રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે 8 કલાક પહેલા રદ કરવાથી નહીં મળે પૈસા

0

ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ટિકિટ કેન્સલ કરવા પર મુસાફરોને હવે સંપૂર્ણ રિફંડ મળશે નહીં, પરંતુ તેના બદલે પ્રસ્થાનના સમયના આધારે રિફંડ ઘટાડવામાં આવશે. નવા નિયમો અનુસાર, ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 8 કલાકની અંદર ટિકિટ રદ કરનારા મુસાફરોને કોઈ રિફંડ મળશે નહીં. જો કે, જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાન સમયના 24 કલાકથી 8 કલાકની વચ્ચે રદ કરવામાં આવે છે તો ફક્ત 50 ટકા રકમ જ પરત કરવામાં આવશે. વધુમાં, જો ટિકિટ 72 કલાક પહેલા રદ કરવામાં આવે છે તો મુસાફરોને 75 ટકા રિફંડ મળશે.

નોંધનીય છે કે અગાઉ, 72 કલાક કે તે પહેલાં ટિકિટ કેન્સલ કરનારા મુસાફરોને લગભગ સંપૂર્ણ રિફંડ મળતું હતું. જો કે, આ નવા નિયમોના અમલીકરણ સાથે કાળાબજારી કરનારાઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે ટિકિટ સરળતાથી મળી શકે.

નવી જોગવાઈઓ હેઠળ, મુસાફરો હવે કોઈપણ સ્ટેશન પરથી ઑફલાઇન તેમની ટિકિટ રદ કરી શકશે. આનાથી મુસાફરોને ફક્ત તે સ્ટેશન સુધી મર્યાદિત રહેવાની જરૂર રહેશે નહીં જ્યાં તેમણે ટિકિટ બુક કરાવી હતી. વધુમાં મુસાફરો હવે પ્રસ્થાન સ્ટેશનથી આગળ કોઈપણ સ્ટેશનથી ટ્રેનમાં ચઢી શકશે. આનાથી મુસાફરી વધુ સુવિધા મળશે.

સુરત ખજોદ ડમ્પિંગ સાઈટ પર ફરી ભીષણ આગ: કચરા કૌભાંડ અને સ્વચ્છતા દાવા પર સવાલ

સુરતના ખજોદ ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. આ ઘટનાએ ફરી પાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે અને ‘કચરા કૌભાંડ’ના આક્ષેપો ફરી ઉછળવાની શક્યતા વધારી છે.

આજે બપોરે અચાનક લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગ એટલી ભયાનક છે કે તેનો ધુમાડો કિલોમીટરો દૂરથી દેખાઈ રહ્યો છે. વેસુ, વીઆઈપી રોડ અને અલથાણ જેવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ચાર દિવસ સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તે સમયે પણ કચરાના યોગ્ય નિકાલ અને મેનેજમેન્ટ અંગે પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ વારંવાર બનતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવતી હોય શકે. 52 દિવસ પહેલા લાગેલી આગ પછી કયા પગલાં લેવામાં આવ્યા તેની સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી, ત્યારે ફરી આવી ઘટના બનતા પ્રશાસન સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

મિડલ ઈસ્ટ યુદ્ધ પર પીએમ મોદીનો સંદેશ: સાવધાન, સતર્ક અને તૈયાર રહેવાની અપીલ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં મધ્ય પૂર્વ સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિ અંગે સંબોધન કર્યું. આમાં, પીએમ મોદીએ ઉર્જા સંકટ અંગે સરકારની તૈયારી, યુદ્ધને કારણે વિશ્વમાં બગડતી પરિસ્થિતિ અને આ અંગે ભારતના વલણ વિશે જણાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે મધ્ય પૂર્વમાં યુદ્ધ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર અસર પડી રહી છે. યુદ્ધથી પ્રભાવિત તમામ દેશો ઉપરાંત, અમે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે પણ સંપર્કમાં છીએ. અમારું લક્ષ્ય વાતચીત અને રાજદ્વારી દ્વારા ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.

પીએમ મોદીએ કહ્યું કે આ કટોકટી અનોખી છે. ઉકેલો અલગ રીતે વિકસાવવામાં આવી રહ્યા છે. આપણે દરેક પડકારનો સામનો ધીરજ, સંયમ અને શાંત મનથી કરવો જોઈએ. આ યુદ્ધ અંગેની પરિસ્થિતિ દરેક ક્ષણે બદલાઈ રહી છે, તેથી હું મારા દેશવાસીઓને પણ કહેવા માંગુ છું કે આપણે દરેક પડકાર માટે તૈયાર રહેવું જોઈએ. આ યુદ્ધની ખરાબ અસરો લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. જોકે, હું મારા દેશવાસીઓને ખાતરી આપું છું કે સરકાર સતર્ક છે અને અત્યંત ગંભીરતા સાથે રણનીતિ બનાવી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે પશ્ચિમ એશિયાના રાષ્ટ્રોના વડાઓ સાથે બે રાઉન્ડની વાતચીત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવાનું મુશ્કેલ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મોટા રૂટમાંથી એક છે. અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારતને તેલ, ગેસ અને ખાતરોનો પુરવઠો અકબંધ રહે. વિશ્વભરના ઘણા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો છે. આ ભારત માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, ભારતીય સંસદના આ ઉપલા ગૃહમાંથી શાંતિ અને સંવાદ માટે વિશ્વભરમાં એક સંયુક્ત અવાજ સંભળાય તે જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધે વિશ્વમાં ગંભીર ઉર્જા સંકટ પેદા કર્યું છે. આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક છે. યુદ્ધે આપણા વેપાર માર્ગોને પણ અસર કરી છે. આને કારણે, પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરોનો નિયમિત પુરવઠો ખોરવાઈ ગયો છે. લગભગ 10 મિલિયન ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. તેમના જીવન અને આજીવિકાની સુરક્ષા પણ ભારત માટે એક મોટી ચિંતા છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “હું રાજ્યસભાના સભ્યો અને રાષ્ટ્રને ખાતરી આપું છું કે આપણા દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સંગ્રહ અને સતત પુરવઠાની વ્યવસ્થા છે. આપણી સરકાર ઇંધણના કોઈપણ એક સ્ત્રોત પર વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે પ્રયત્નશીલ છે. સરકાર LPG ઉપરાંત ઘરેલુ ગેસ પુરવઠામાં PNGના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. હું રાજ્ય સરકારોને પણ વિનંતી કરવા માંગુ છું કે તેઓ સ્થળાંતરિત મજૂરોનું ખાસ ધ્યાન રાખે. કટોકટીના સમયમાં તેઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. યોજનાઓના લાભ તેમના સુધી પહોંચવા જોઈએ.”

ન્યૂયોર્ક એરપોર્ટ પર વિમાન અકસ્માત: 100 મીટર દૂર ફેંકાયેલી ફ્લાઇટ એટેન્ડન્ટનો ચમત્કારી બચાવ

0

ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર રવિવારે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો, જેમાં એર કેનેડા જાઝની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન ફાયર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક ફ્લાઇટ એટેન્ડન્ટ સોલેન્જ ટ્રેમ્બલે વિમાનથી 100 મીટરથી વધુ દૂર ફેંકાઈ ગયા હોવા છતાં જીવતા બચી ગયા, જેને તેમના પરિવારે “ચમત્કાર” ગણાવ્યો છે.

માહિતી અનુસાર, જાઝ એવિએશન દ્વારા સંચાલિત CRJ-900 વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર રહેલા એક વાહન સાથે અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં બંને પાઇલટના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કુલ નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેમ્બલેનો પણ સમાવેશ થાય છે. તેમને અનેક ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે.

26 વર્ષનો અનુભવ ધરાવતા ટ્રેમ્બલે અકસ્માત બાદ પણ પોતાની સીટ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા પાઇલટમાંથી એકની ઓળખ ક્વિબેકના 30 વર્ષીય એન્ટોઇન ફોરેસ્ટ તરીકે થઈ છે, જ્યારે બીજા પાઇલટ મેકેન્ઝી ગુંથર હતા.

એર લાઇન પાઇલોટ્સ એસોસિએશને આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માત પહેલા કંટ્રોલર દ્વારા ફાયર ટ્રકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બગડતાં આ ગંભીર ઘટના બની ગઈ.

ક્રેશ બાદના ઓડિયો રેકોર્ડિંગમાં કંટ્રોલરો વચ્ચેની વાતચીત પણ સામે આવી છે, જેમાં એક કંટ્રોલરે આ ઘટનાને “ખૂબ જ ભયાનક દૃશ્ય” ગણાવ્યું હતું, જ્યારે બીજા કંટ્રોલરે પોતાની ભૂલ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.