Home Blog Page 110

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના કરુણ મોત

જસદણ તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર કિશોરોના કરુણ મોત નિપજ્યા છે. રજાના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વગર ન્હાવા ગયેલા આ બાળકોને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ જીવ ગુમાવી બેઠા હતા.

મળતી માહિતી મુજબ, જસદણના વિંછીયા રોડ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો મોજ-મસ્તી કરવા માટે તળાવ પર ગયા હતા. તેઓએ ઘરે કોઈને જાણ કરી નહોતી. તળાવમાં ઉતર્યા બાદ પાણી વધુ ઊંડું હોવાને કારણે ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પાસે બાળકોની સાયકલો અને કપડાં લાંબા સમય સુધી બિનવારસી હાલતમાં પડેલા જોઈ સ્થાનિક લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા બાળકો ડૂબી ગયા હોવાની આશંકા ઉભી થઈ અને તંત્રને જાણ કરવામાં આવી.

ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ ચારેય બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં રાજવીર સામતભાઈ રાઠોડ (15 વર્ષ), કિશન મનસુખભાઈ રાઠોડ (15 વર્ષ), રામુ ભાયાભાઈ રાઠોડ (14 વર્ષ) અને કાળુ ભરતભાઈ રાઠોડ (10 વર્ષ)નો સમાવેશ થાય છે.

જ્યારે ચારેય બાળકોના મૃતદેહોને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, ત્યારે પરિવારજનો અને સગા-સંબંધીઓના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી જસદણ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: રાજ્યભરમાં મતગણતરી શરૂ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરીનો દિવસ છે ત્યારે રાજ્યમાં ખૂબજ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહયો છે.રાજ્યમાં આ વખતની ચુંટણીઓ કઈક અલગ અંદાજમાં રહી છે અને મારામારી,ઝપાઝપી, બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવા જેવી શરમ જનક ઘટનાઓ વચ્ચે મહેસાણામાં એક મર્ડર પણ થયું.

આ બધા વચ્ચે ભાજપ તેની જે સીટો હતી તે યથાવત રાખવામાં સફળ રહેશે કે વધશે કે ઘટશે તેની ઉપર સૌની નજર છે.આજે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.

કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.મહત્વનું છે કે રાજ્યમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી ભાજપનો સતત કબ્જો રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ ? તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. મહાનગરપાલિકાઓમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર કે તે પછીના સમયગાળામાં આજે લગભગ મહાનગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે,જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીઓ દરમિયાન તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 61 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 90 ટકા બેઠકો ભાજપ માટે જીતી બતાવી હતી.

હવે 2026માં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ એ સિલસિલો જાળવી રાખશે કે કેમ?તેનો પણ આજે ફેંસલો થવાનો છે.એટલેજ આ વખતે જો 2021ના પરિણામો કરતા નબળું પરિણામ આવશેતો 2027ની ચૂંટણી પહેલા સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે.જગદીશન પંચાલની આ એક અગ્નિપરીક્ષા છે,તેમાં તેઓ કેટલા સફળ રહેશે તેની આજે ખબર પડી જવાની છે,જેથી ભારે ઉત્સુકતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

ઓડિશામાં સનસ્ટ્રોકથી વસ્તી ગણતરીની ફરજ પર બે શિક્ષકોના મોત, દબાણના આક્ષેપો

0

પાંચ વર્ષના વિલંબ બાદ ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હીટવેવની તીવ્ર અસર વચ્ચે ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ઓડિશામાં માત્ર બે દિવસમાં વસ્તી ગણતરીની ફરજ પર રહેલા બે શિક્ષકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે, જેમના મોતનું મુખ્ય કારણ સનસ્ટ્રોક માનવામાં આવી રહ્યું છે. મયુરભંજ અને સુંદરગઢ જિલ્લામાં આ દુઃખદ બનાવો નોંધાયા છે, જ્યારે રાજ્યમાં આ પ્રકારના કુલ ત્રણ મોત નોંધાઈ ચૂક્યા છે.

મયુરભંજ જિલ્લાના બેટનોટી બ્લોક હેઠળ આવેલી વૈદ્યનાથ હાઇસ્કૂલના શિક્ષક રાજકપુર હેમ્બ્રમ ઘર-ઘર જઈને વસ્તી ગણતરીનું કામ કરી રહ્યા હતા. દિવસભરનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ રવિવારે સાંજે બારીપાડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની તબિયત ખરાબ હોવા છતાં અધિકારીઓ દ્વારા ફરજ પર હાજર રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

સુંદરગઢ જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં ગુરુંડિયા બ્લોકના જરાડા સરકારી હાઇસ્કૂલના શિક્ષક અનુરાગ એક્કા વસ્તી ગણતરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. તેમને પહેલા ગુરુંડિયા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાયા અને ત્યારબાદ હાલત ગંભીર બનતા જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં શનિવારે સાંજે તેમનું અવસાન થયું હતું.

આ બંને ઘટનાઓ બાદ જિલ્લા કલેક્ટરોએ તપાસ શરૂ કરી છે અને અધિકારીઓ પાસેથી અહેવાલો મળ્યા પછી મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 21 એપ્રિલે સોનેપુર જિલ્લામાં પણ વસ્તી ગણતરી દરમિયાન ફરજ પર રહેલા એક અધિકારીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું, જેનાથી સમગ્ર પ્રક્રીયા પર પ્રશ્નચિન્હ ઉભું થયું છે.

પી.પી. સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો આપઘાત, હોસ્ટેલના 9મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

સુરત જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના ધામદોડ રોડ પર આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રહેતા એક 19 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર 9મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે, જેને કારણે કેમ્પસમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ પેન્ડલા પવનકુમાર રામાનાઈડું હતું, જે મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાનો રહેવાસી હતો. તે સુરતમાં અભ્યાસ માટે આવ્યો હતો અને યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહેતો હતો. ઘટનાના દિવસે તેણે હોસ્ટેલ બિલ્ડિંગના 9મા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો.

આ બનાવમાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આટલું ગંભીર પગલું ભરવાનું કારણ હજુ સુધી અકબંધ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે.

સુરતની SBI બેંકમાં દિન્દહાડે લૂંટ: હથિયારધારીઓએ કર્મચારીઓને બંધક બનાવી 50 લાખ ઉડાવ્યા

સુરતના વરાછા વિસ્તારમાં આજે દિવસદહાડે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી લૂંટારુઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર ભીષણ આગ: શાંગરીલા આર્કેડમાં અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તાર આગ લાગી હતી. આ આગ જોતજાતોમાં ઉપર આવી પહોંચી અને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ બની કે આ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાઈ ગયો હતો.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આગમાં પાર્કિંગમાં પડેલા અનેક વાહનો, એટીએમ મશીન અને કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે આર્કેડમાં આવેલી ઓફિસો અને જીમમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

મહત્વની વાત એ છે કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ શા કારણે લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ દ્વારા વધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ એટલી વિકરાળ હતી કે, લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. જોકે, નુકસાનનો સત્તાવાર આંકડો હજી પ્રકાશમાં આવ્યું નથી.

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં લિફ્ટમાં બે બાળક સહિત 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે બચાવ્યા

0

સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બે બાળકો સહિત કુલ 11 લોકો અધવચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સામે આવતા જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી કરીને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લોકો લિફ્ટ દ્વારા જતાં હતા ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે અટકી ગઈ હતી. લિફ્ટ બંધ થતાં અંદર હવાની અવરજવર ઘટી ગઈ હતી, જેના કારણે અંદર ફસાયેલા લોકોમાં ગભરાટ અને ગૂંગળામણ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ પોતાની ટીમ સાથે આધુનિક સાધનો લઈને સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે મહેનત બાદ લિફ્ટના દરવાજા ખોલી દીધા હતા અને અંદાજે 15 મિનિટમાં બે બાળકો સહિત તમામ 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

લિફ્ટમાંથી સુરક્ષિત બહાર આવતા જ ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના લિફ્ટમાં ઓવરલોડ અથવા યોગ્ય મેન્ટેનન્સના અભાવે બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુંબઈમાં ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારના 4 સભ્યોના મોત

0

મુંબઈના પાયધુની વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ખળભળાટ મચ્યો છે. મૃતકોમાં અબ્દુલ્લા ડોકડીયા (40), તેમની પત્ની નસરીન ડોકડીયા (35) તેમજ તેમની બે પુત્રીઓ આયશા (16) અને ઝૈનબ (13)નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, પરિવારએ રાત્રે પહેલા બિરયાની અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું, જેના કારણે તેમની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતની દ્રષ્ટિએ આ ઘટનામાં ફૂડ પોઈઝનિંગ મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. પરિવારના એક સભ્યએ મૃત્યુ પહેલાં પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ તરબૂચ ખાધું હતું. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

ઘટનાક્રમ મુજબ, 25 એપ્રિલની રાત્રે લગભગ 10:30 વાગ્યે પરિવારના સભ્યો તેમના પાંચ સંબંધીઓ સાથે ભોજન માટે બેઠા હતા. ભોજન બાદ સંબંધીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. રાત્રે 1:00 થી 1:30 દરમિયાન પરિવારના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું. બીજા દિવસે વહેલી સવારે 5:30 થી 6:00 વાગ્યાની વચ્ચે તેમને ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જે.જે. હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.

હાલમાં ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોએ અંતિમ અભિપ્રાય મેડિકલ રિપોર્ટ આવ્યા સુધી સુરક્ષિત રાખ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ખોરાકના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: વડોદરાના એક જ પરિવારના 4 લોકોના મોત

0

આજે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પંચમહાલના કાલોલ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. રાજસ્થાનથી દર્શન કરી પરત ફરી રહેલા આ પરિવારની પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે અચાનક નિયંત્રણ ગુમાવતા તે ડિવાઈડર ઓળંગીને બીજી તરફ ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે.

મૃતકોની ઓળખ વડોદરાના ખિનજી પરિવાર તરીકે થઈ છે, જેમાં 55 વર્ષીય સાજિદ ઈકબાલ ખિનજી, 50 વર્ષીય ઇલ્યાસ ખિનજી અને 35 વર્ષીય રેહાન ખિનજી સહિત અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. અકસ્માતની તીવ્રતા જોઈને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કાલોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેન તેમજ સ્થાનિકોની મદદથી ક્ષતિગ્રસ્ત કારમાંથી મૃતદેહોને બહાર કાઢી પંચનામું કરી પીએમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

નોંધનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર તેના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈ-સ્પીડ લિમિટ માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓવરસ્પીડિંગ અને ઊંઘના ઝોકાને કારણે અહીં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઈ-સ્પીડ ટ્રેક પર વાહન પરથી કાબૂ ગુમાવવો જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર લાંબા અંતરની મુસાફરી દરમિયાન ડ્રાઈવિંગ સેફ્ટી અને ગતિ મર્યાદાના પાલન સામે સવાલો ઊભા કર્યા છે. વડોદરામાં આ સમાચાર પહોંચતા જ સમગ્ર ખિનજી પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

0

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો દિલ્હીથી યુપી, બિહાર અને રાજસ્થાન સુધી તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, આ ગરમી વચ્ચે, હવામાન વિભાગ (IMD) એ 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જે આજથી – 27 એપ્રિલથી અમલમાં આવશે. આ પ્રદેશોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે.

27 એપ્રિલના રોજ, દિલ્હીમાં દિવસ દરમિયાન ખતરનાક, સળગતા પવનો (હીટવેવની સ્થિતિ)નો અનુભવ થવાની ધારણા છે. આ પવનો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. 28 એપ્રિલે, દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 27 એપ્રિલ સુધી રાજ્યભરમાં તીવ્ર ગરમી રહેશે. જોકે, 28 એપ્રિલથી શરૂ થતી આગાહી મુજબ, વીજળીના કડાકા, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. બાંદા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, મિર્ઝાપુર, વારાણસી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, માઉ અને બલિયા જેવા જિલ્લાઓ તેમજ લખનૌ, કાનપુર, આગ્રા, મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, ઝાંસી અને તેમની આસપાસના વિસ્તારોને આવરી લેતા પશ્ચિમી પ્રદેશોમાં આજે ગરમીનું મોજું આવવાની શક્યતા છે. 28 એપ્રિલથી પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

આજે બિહારમાં હવામાન કેવું રહેશે?

મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા, સહરસા, સુપૌલ, મધેપુરા, અરરિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, જમુઈ અને ગયા માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, આ સમયગાળા દરમિયાન ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મધ્યપ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે 27 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ભોપાલ, વિદિશા, શિવપુરી, શાજાપુર, રાજગઢ, મંદસૌર, નીમચ, ગુના, બૌલના, અશોકનગર, અશોકપુર જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. કલાન, સિંગરૌલી, સીધી, રીવા, મૌગંજ, સતના, અનુપપુર, શહડોલ, ડિંડોરી, છિંદવાડા, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, છતરપુર, ટીકમગઢ, નિવારી અને મૈહર.

ઉત્તરાખંડમાં આજે હવામાન કેવું રહેશે?

સમગ્ર ઉત્તરાખંડમાં તીવ્ર ગરમીનો દોર ચાલુ છે; જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ખૂબ જ હળવાથી હળવા વરસાદની આગાહી છે. વધુમાં, 4,400 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા પ્રદેશોમાં હિમવર્ષાની આગાહી છે.

રાજસ્થાનમાં આજે હવામાન કેવું રહેશે?

રાજસ્થાનના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ચાલુ છે. બાડમેરમાં, દિવસનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે 28 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન રાજ્યના પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં હળવો વરસાદ શક્ય છે.

હરિયાણામાં આજે હવામાન કેવું રહેશે?

ભિવાની, ફરીદાબાદ, પલવલ, પાણીપત અને સોનેપત માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવન અંગે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે.

આજે હિમાચલ માટે હવામાન આગાહી

હિમાચલ પ્રદેશ (28 થી 30 એપ્રિલ): કાંગડા, કુલ્લુ, ચંબા, શિમલા અને કિન્નૌરમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન મુશ્કેલીઓ વધારી શકે છે. લોકોને આ સમય દરમિયાન અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, મનાલીમાં, આવતીકાલે મહત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ રહેશે.