હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાઈલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાઈલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમામ ભારતીયો ઈઝરાઈલની સાથે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાઈલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો તેમના ફોન કૉલ માટે આભાર માનતા X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ઈઝરાઈલ સાથે ઉભા રહેવાની વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે “હું વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આભાર માનું છું, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાઈલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સખત અને સ્પષ્ટપણે વિરોધી છે.
શનિવારે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાઈલ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાઈલ સાથે એકતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવીને આકરી નિંદા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઈઝરાઈલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાઈલ સાથે એકતામાં ઊભા છીએ.