Tuesday, Mar 10, 2026

ચિલીમાં જંગલોની ભીષણ આગ ફાટી નીકળી, ૯૦ લોકોના મોત

2 Min Read

મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપટમાં આવી ગયા છે. જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં ૯૦ લોકોના મોત થયા હતા. ફાયર વિભાગ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આગ એટલી ગંભીર બની ગઈ છે કે તેના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેલાયેલી વિશાળ આગને કારણે ઓછામાં ઓછા ૯૦ લોકો મૃત્યુ પામ્યા અને લગભગ ૧,૧૦૦ ઘરો બળીને રાખ થઈ ગયા.

ગૃહ મંત્રી કેરોલિના તોહાએ જણાવ્યું કે, દેશના મધ્ય અને દક્ષિણમાં ૯૨ જગ્યાએ જંગલોમાં આગ ફાટી નીકળી છે. સમગ્ર વિસ્તારમાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચું કહ્યું હતું. સૌથી વધુ ભયંકર આગ વાલ્પારાસો પ્રદેશમાં લાગી હતી, જ્યાં સરકારે હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા વિનંતી કરી હતી.

ક્વિલ્પુ અને વિલા અલેમાના નગરો નજીક લાગેલી આગમાં ૮,૦૦૦ હેક્ટર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગને કારણે રિસોર્ટ ટાઉન વિન્યા ડેલ મારને પણ ફટકો પડવાની સંભાવના જોવાઈ રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે ૧૯ હેલિકોપ્ટર અને ૪૫૦ ફાયરબ્રિગ્રેડના વાહનોનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અલ નીનોને કારણે આ વર્ષે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતા વધારે ગરમ તાપમાન સાથે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરમીના કારણે જંગલમાં આગ લાગવાનું જોખમ વધી ગયું છે. કોલંબિયામાં જાન્યુઆરી મહિનામાં ૧૭,૦૦૦ હેક્ટરથી વધુ જંગલો આગને કારણે નાશ પામ્યા હતાં.

આ પણ વાંચો :-

Share This Article