Sunday, Mar 15, 2026

પહેલગામ હુમલા પર દેશવિરોધી ટિપ્પણી કરનાર ગાયિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

2 Min Read

પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદનો ઘટનાક્રમ હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે. એવામાં સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા અંગે વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ બદલ ગાયિકા નેહા સિંહ રાઠોડ સામે ‘રાજદ્રોહ’નો કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ અભય પ્રતાપ સિંહ નામના વ્યક્તિએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નેહા પર પહેલગામ હુમલાને પગલે એક ચોક્કસ ધાર્મિક સમુદાયને લક્ષ્ય બનાવી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા દેશની એકતાને નુકસાન પહોંચાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો, ફરિયાદને આધારે પોલીસે લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

નેહા સિંહ રાઠોડે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સરકારની ભૂલ ગણાવી છે. તેમણે સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું કે આ ઘટનાનો બિહાર ચૂંટણીમાં રાજકીય ઉપયોગ કરવામાં આવશે. તેની આ પોસ્ટની પાકિસ્તાનના લોકો, તેના નેતાઓ અને સરકારી એજન્સીઓ શેર કરી રહ્યા છે, અને ભારત સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.

ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ લોક ગાયિકા નેહા વિરુદ્ધ ઘણા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ, જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાને લગતી કલમોનો સમાવેશ થાય છે, પોલીસે જણાવ્યું હતું કે નેહા પર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

Share This Article