દિલ્હી લીકર પોલિસી કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડીના દિવસો વધાર્યા છે. કેજરીવાલને ૭ મે સુધી જેલમાં રહેવું પડશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી છે. આ રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં જ રહેવાના છે. કવિતાને પણ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે.
રાઉઝ એવેન્યૂ કોર્ટે કવિતાની ન્યાયિક કસ્ટડી સીબીઆઈના કેસમાં વધારી છે, જે દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલ છે. કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. અરવિંદ કેજરીવાલની ઈડીએ ગત મહિનાની ૨૧ માર્ચથી ધરપકડ કરી હતી. આ રીતે કેજરીવાલની ધરપકડના અઠવાડિયા પહેલા ૧૫ માર્ચે હૈદરાબાદથી ઈડીએ કવિતાની ધરપકડ કરી. ચનપ્રતીની ધરપકડ ૧૫ એપ્રિલે થઈ હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે તિહાડ જેલ સત્તાવાળાઓ એઈમ્સના નિર્દેશક દ્વારા રચાયેલ મેડિકલ બોર્ડની નિમણૂક કરશે, જેમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટનો સમાવેશ થશે. બોર્ડ નક્કી કરશે કે કેજરીવાલના લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર છે કે નહીં. આ ઉપરાંત બોર્ડ તેમના સ્વાસ્થ્યને લગતા અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપશે.
પીએમએલએની કલમ ૭૦માં કંપનીઓ સંબંધિત ગુનાઓ માટેની જોગવાઈઓ છે. જો કે, કંપની એક્ટ ૨૦૧૩ હેઠળ કોઈપણ રાજકીય પક્ષને કંપની તરીકે ગણવામાં આવતો નથી. પરંતુ ઈડી અધિકારીઓએ દલીલ કરી છે કે એક્ટમાં એવી જોગવાઈ છે, જે કોઈપણ રાજકીય પક્ષને કાયદાના દાયરામાં લાવી શકે છે. ઈડીની દલીલ છે કે આપએ લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષ છે અને તે લોકોનું સંગઠન પણ છે, તેથી પીએમએલએની કલમ ૭૦ હેઠળ, તે કંપનીમાં આવે છે.