ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે સરહદ પાર સ્થિત આતંકવાદી કેમ્પોમાં 50 થી વધુ આતંકવાદીઓ હાજર છે અને તે બધા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. સેનાએ કહ્યું છે કે, તે આતંકવાદી ઓના આ પડકારને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અખનૂર સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. લગભગ 27 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ભારતીય સેનાના 10 ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સેના આતંકવાદીઓને નાગરિકોને નુકસાન પહોંચાડવા દેશે નહીં. તેમણે કહ્યું કે ઘૂસણખોરીની પ્રોફાઇલ દરેક પસાર થતા વર્ષ સાથે બદલાતી રહે છે. ખાસ કરીને હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસોમાં ફેરફાર જોવા મળે છે. તેણે કહ્યું કે, અમે પડકાર માટે તૈયાર છીએ.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે સપ્તાહમાં સાત આતંકી હુમલા થયા હતા જેમાં બે જવાનો શહીદ થયા હતા અને 11 અન્ય લોકોના મોત નિપજ્યા છે. તાજેતરમાં વધી પહેલા હુમલાને ધ્યાનમાં રાખીને સૈન્ય દ્વારા જે પણ વિસ્તારમાં હુમલો થયો ત્યાં મોટા પાયે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. અખનૂરના હુમલા બાદ ત્યાં જ સૈન્યએ આતંકીઓને ઘેરવા માટે ચક્રવ્યૂહ તૈયાર કર્યું હતું જેમાં અંતે સફળતા મળી છે. બીજી તરફ શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનું આગમન થવા લાગ્યું છે. ખાસ કરીને ઘાટીમાં મંગળવારે હળવી હિમવર્ષા થઇ હતી સાથે જ હવામાન વિભાગે સામાન્ય વરસાદની પણ આગાહી કરી હતી. શ્રીનગરનું તાપમાન લઘુતમ 10 ડિગ્રી નોંધાયું હતું. હિમવર્ષા વધે તે પહેલા જ આતંકીઓ ઘૂસણખોરીની તૈયારીમાં છે. આ માહિતી સૈન્યના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે આપી હતી. તેમણે કહ્યું હતું કે સરહદે આશરે 50 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. જેને ધ્યાનમાં રાખીને સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-