સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારે સ્વીકાર્યું છે કે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં ઘટાડો કરવાને લીધે થઈ હતી. પંજાબ સરકારના વકીલ એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંહ ગેરીએ સુપ્રીમકોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત સ્વીકારી હતી. ટોચની કોર્ટમાં કબૂલાતનામા બાદ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. શિરોમણી અકાલી દળે પણ સિંગરની હત્યા મામલે સરકારને ઘેરી હતી. અહેવાલ અનુસાર મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે સરકારે તેના કબૂલાતનામા બાદ એ લોકો સામે એફઆઈઆર કરવી જોઇએ જેમના કારણે સુરક્ષામાં ઘટાડો કરાયો હતો.
શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમસિંહ મજિઠિયાએએ કહ્યું કે મૂસેવાલાની હત્યા મામલે સરકાર વિરુદ્ધ કેસ નોંધવો જોઇએ. સુરક્ષા કવર પાછો ખેંચ્યાના બે દિવસમાં જ સિંગરની હત્યા કરી દેવામાં આવી હતી. મૂસેવાલાના પરિજનો પણ આ જ વાત કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે ન ફક્ત સિંગરની સુરક્ષા ઘટાડી પણ બિશ્નોઈને જેલમાંથી ઈન્ટરવ્યૂ આપવાની છૂટ પણ આપી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય થઈ ચૂકી છે.
મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું છે કે તેમના કબૂલાત બાદ સરકારે તે લોકો વિરુદ્ધ FIR દાખલ કરવી જોઈએ જેમના કારણે સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરતાં તેમણે કહ્યું કે સત્ય સામે આવે છે. આ હત્યામાં આરોપીઓની ભૂમિકા કરતાં પંજાબ સરકારની ભૂમિકા વધુ છે. લોરેન્સ બિશ્નોઈએ દોઢ વર્ષ પહેલા જેલમાંથી ઈન્ટરવ્યુ આપ્યો હતો, પરંતુ સરકાર હજુ સુધી કંઈ શોધી શકી નથી.
પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા માટે ૪ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા હતા, જે ઘટાડીને બે કરવામાં આવ્યા હતા. આનો ફાયદો ઉઠાવીને ગોલ્ડી બ્રારે ગાયકની હત્યા કરવા માટે તેના શૂટર્સ મોકલ્યા હતા. પોલીસે ચાર્જશીટમાં પણ આ વાત સ્વીકારી છે. પોલીસે ૨૬ મેના રોજ સુરક્ષામાં ઘટાડો કર્યો હતો અને ત્યારબાદ ૨૯ મે, ૨૦૨૨ના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તે સમયે પંજાબ સરકારે મૂસેવાલા સહિત ૪૨૪ VIPની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.