Tuesday, Apr 7, 2026

સુરતમાં પતિ-પત્નીનો આપઘાત: ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

2 Min Read

સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રાજપુત ફળિયામાં રહેતા 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. નવપરિણીત દંપતીના લગ્નને માત્ર એક વર્ષ જ પૂર્ણ થયું હતું, ત્યારે જ બંનેએ આ અંતિમ પગલું ભરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના એક ચાલના રૂમમાં બની હતી, જ્યાં બંનેએ અલગ-અલગ જગ્યાએ ફાંસો ખાધો હતો. તેજલબેને રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે ભાવેશભાઈએ સીલિંગ ફેનના હૂક સાથે દોરી બાંધી આપઘાત કર્યો હતો. એક જ રૂમમાં બંનેના મૃતદેહ લટકતા જોવા મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પડોશીઓના જણાવ્યા મુજબ, દંપતી વચ્ચે કોઈ ખાસ ઝઘડો કે વિવાદ જોવા મળ્યો નહોતો. છતાં, લગ્નના માત્ર 12 મહિનામાં જ આ દુખદ ઘટના બનતા કારણો હજુ અકબંધ છે. સમગ્ર ફળિયામાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહોને નીચે ઉતારી પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પરિવારજનો દ્વારા આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

Share This Article