સાબરકાંઠા જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતના સમાચાર આવ્યા છે. જ્યાં ઈડર-ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક વહેલી સવાર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
જોકે, આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે.
સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થા જ આ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે.