Tuesday, Aug 18, 2026

આહવા-ડાંગમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના ભવ્ય લોકાર્પણ મહોત્સવનું આયોજન

2 Min Read

આહવા, ડાંગ: લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ માંગુકિયા પરિવાર દ્વારા શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટના ગોવિંદકાકા ધોળકિયાના સહયોગથી ડાંગના આહવા ખાતે 1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાલપાડા ખાતે 192મા હનુમાન મંદિર અને હનુમંત સંકલ્પ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટ અને ગોવિંદકાકા ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ડાંગના વિવિધ વિસ્તારોમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના લોકાર્પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 15 અને 16 ઓગસ્ટ, 2026 દરમિયાન આહવા તાલુકાના ગડદ, ભવાનદગડ, મહાલપાડા સહિતના વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.

મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ઢોલ-નગારાના નાદ, નૃત્ય અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન થયો હતો. સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિભાવ તથા ઉત્સાહ સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ડાંગના પરમ પૂજ્ય પી.પી. સ્વામી, પૂજ્ય શ્રી ભક્તિબાપુ – માનવમંદિર, સાવરકુંડલા, પ્રમુખસ્થાને શ્રી સાંવરપ્રસાદ બુધિયા (ચેરમેન, સ્ટીમહાઉસ) તેમજ સમારોહના મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ દેવજીભાઈ સુખડીયા (દેવજી કન્સ્ટ્રક્શન) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સેવાકીય દાતા તરીકે લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ પટેલ, ઉષાબેન, નિલમબેન, ધ્રુવિનભાઈ, ઓ.ડી. માંગુકિયા સહિતના દાતાઓ તથા અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત ડાંગના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે લોકસહભાગિતા અને સેવાભાવને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોની મોટી હાજરી અને ઉત્સાહ વિશેષ આકર્ષણ બન્યો હતો.


Share This Article