શિયાળાની વિદાય વચ્ચે રાજ્યના વાતાવરણમાં ફરી એકવખત પલટો આવ્યો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતાં ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, બાલોતામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનીની ભીતી છે. તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાનીની ભીતી છે. કમોસમી વરસાદના કારણે રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ ફરી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.