દેશની વસ્તી ભલે વધીને ૧૪૨ કરોડ ઉપર પહોંચી ! ચાર કે પાંચ સંતાનો હોવાં જ જોઈએ ! ઈન્ડિયન મેડિકલ એસો.ના ડો. અનિલ નાયકની ચોંકાવનારી વાત

Share this story

population of the country

  • સ્વામિ વિવેકાનંદ આઠમું સંતાન હતા. ડો. બાબાસાહેબ  આંબેડકર ચૌદમું સંતાન હતા જ્યારે ડો. અબ્દુલ કલામ પાંચમું સંતાન હતા. આવા અનેક મહાનપુરૂષોએ દેશને નવી દિશા આપવા સાથે વિશ્વમાં ભારતનું નામ ઉજળું કર્યું હતું.
  • સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસો.ના નવા પ્રેસિડેન્ટ ડો.પારૂલ વડગામાનો ઈન્સ્ટોલેશન સમારોહ યાદગાર પ્રસંગ બની ગયો. ડો. અનિતા શાહે, ડો. પારૂલને અખત્યાર સુપ્રત કર્યો.
  • સી.આર.પાટીલે સ્ત્રી સશક્તિકરણની વડાપ્રધાન મોદીની ઝૂંબેશની વાતને ટાંકીને ડો.પારૂલ વડગામાની ખૂબીઓ અને ખામીઓ તરફ અંગુલી નિર્દેશ કરી ડો.પારૂલની મહત્વકાંક્ષા, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતાની સરાહના કરી.

ગઈકાલે રવિવારની સાંજે શહેરની તબીબી આલમનો એક પ્રભાવક કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસંગ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસીએશનના નવા વર્ષના પ્રેસિડેન્ટ ડો. પારૂલ વડગામાની વરણીનો હતો. પરંતુ આ સમારોહમાં ઉપ‌િસ્થ‌ત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઈન્ડિયન મેડિકલ એસો. ડો.અનિલ નાયક અને અન્ય વકતાઓએ આપેલા વકતવ્ય કરતા કરેલી વાતો વધુ અસરકારક અને મનને ખુશહાલ કરી દેનારી હતી.

નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં સમારોહ યોજાયો હતો આ સમારોહમાં માત્ર ડોકટર્સ જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રના લોકોની ખીચોખીચ હાજરીએ ડો.પારૂલ વડગામાના સંપર્કો અને લોકપ્રિયતા પુરવાર કરી હતી.
સાંસદ સી.આર.પાટીલે સાહજીક અને હળવાશથી રમૂજભર્યુ વકતવ્ય આપીને ડો. પારૂલની ખૂબીઓ અને ખામીઓની નિખાલસતાથી વાતો કરી હતી. તેમના વકતવ્યમાં કોઈ રાજકીયભાવ વ્યકત થતો નહોતો બલ્કે વ્યક્તિગત સંબંધો તરી આવતા હતા તેમણે ડો.પારૂલને ખૂબ મહત્વકાંક્ષી કહીને પણ તેમની મહત્વકાંક્ષાની સરાહના કરી હતી અને સાથે ડો.પારૂલની રાજકીય સફર તરફના પ્રયાણનો પણ ઈશારો કર્યો હતો. તેમણે ડો.પારૂલને તોફાની કહી હતી તો સાથે સાથે જવાબદારી પ્રત્યેનો ડો.પારૂલનો લગાવ અને પ્રતિબધ્ધતાનો પણ ઉલ્લેખ કરવા સાથે સુરત મેડિકલ કન્સલટન્ટ એસો.ના પ્રેસિડેન્ટ તરીકે ચોક્કસ સફળ પુરવાર થશે એવી ખાતરી પણ આપી હતી.

સી.આર.પાટીલે ડો. પારૂલ વડગામાને તેમની સાંજની કેબિનેટના એક સભ્ય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અમારી ઓફિસમાં લગભગ દરરોજ સાંજના સમયે થોડા પરંતુ કાયમી મિત્રો વચ્ચે હળવી વાતો કરવા સાથે નાસ્તા, પાણી કરવામાં આવે છે આ અમારી સાંજની કેબિનેટમાં ડો.પારૂલની લગભગ હાજરી હોય છે. ડો. પારૂલ એક કમિટેડ વ્યક્તિત્વ હોવાનો ઉલ્લેખ કરીને સી.આર.પાટીલે સુરતની તબીબી આલમ સામે ડો. પારૂલના સામાજિક અને રાજકીય કદમાં વધારો કરી દીધો હતો. આ ઉપરાંત સી.આર.પાટીલ ઘણું ઘણું  મન મુકીને બોલ્યા હતા તેમણે સુરતનો ભૂતકાળ, કટોકટીના પ્રસંગો, કોરોનાકાળ સહિતની ઘણીઘણી વાતો કરી હતી.

PHOTO-2023-04-24-20-03-16

કોઈ પદગ્રહણ સમારોહમાં વકતવ્ય આપવાને બદલે મિત્રો સાથે બેસીને પોતીકાપણાની વાતો કરતા હોય એવું વકતવ્ય ભાગ્યે જ સાંભળવા મળતુ હોય છે. તેમણે ડો.પારૂલ વડગામાના હસબન્ડ ડો. મેહુલ ભાવસાર માટે હળવી કોમેન્ટ કરી હતી. જોકે સમગ્ર સમારોહ દરમિયાન ક્યાંકને ક્યાંક ડો. મેહુલ ભાવસાર માટે હળવી કોમેન્ટસનો મારો ચાલુ રહ્યો હતો અને ડો.પારૂલે પણ પોતાની સામાજિક, રાજકીય મોકળાશ માટે ડો. મેહુલ ભાવસાર માટે એક સજ્જન અને નિર્દોષ, નિર્લેપ હસબન્ડ તરીકેનો ભાવ પ્રગટ કર્યો હતો.

ખેર, સી.આર.પાટીલ જેવી લાગણી અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના નેશનલ સેક્રેટરી ડો. અનિલ નાયકે વ્યક્ત કરી હતી. ડો.અનિલ નાયક મૂળભૂત રીતે ઉત્તર ગુજરાતના વતની છે. પોતે ડોકટર હોવાના તબીબી સ્વભાવને બાજુમાં રાખીને તેમણે કરેલી વાતો આશ્ચર્યજનક હોવા સાથે વાસ્તવિક પણ લાગતી હતી. પરંતુ વર્તમાન સમય, સંજોગોમાં સ્વીકારવી મુશ્કેલ કહી શકાય અલબત્ત તેમણે સામાજિક ગણિત ગણાવ્યું તે મન માને નહીં પરંતુ વ્યાજબી તો હતું જ.

ડો. નાયકે દેશમાંથી પલાયન થઈ રહેલા બુધ્ધિધન તરફ અંગુલીનિર્દેશ કરવા સાથે સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સહિત અન્ય મહાનુભાવોને યાદ કરીને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ તેમના પરિવારનું આઠમું સંતાન હતા. ડો. આંબેડકર તેમના પરિવારમાં ચૌદમું સંતાન હતા જ્યારે ડો. અબ્દુલ કલામ તેમના પરિવારનું ૫મું સંતાન હતા.

ડો. નાયકનું કહેવું હતું કે દેશમાંથી ક્રમશઃ બુધ્ધિધન બહાર જઇ રહ્યું છે. ભલે લોકોની એવરેજ લાઈફમાં વધારો થઈ રહ્યો હોય પરંતુ ડોકટર્સની સરેરાશ લાઈફમાં ૧૦ વર્ષનો ઘટાડો થઇ રહ્યો છે !

ડો. નાયકની વાત આશ્ચર્યજનક હતી પરંતુ થોડું વિચારીને વાસ્તવિકતા તરફ જોવામાં આવે તો ડો. નાયકની વાતમાં જરૂર કંઇક તથ્ય હતું. ડો. નાયકે સીધી અને સટ વાત કરતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં મોટાભાગના બુધ્ધિજીવી પરિવારો એક સંતાનથી અટકી જાય છે. પૈસો, સંપત્તિ અને પ્રતિષ્‍ઠા બધુ જ હોવા છતા એક જ સંતાન શા માટે? આવો સવાલ કર્યા બાદ તેમણે સુખી સંપન્ન પરિવારોને ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકોને જન્મ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે નરી વાસ્તવિક વાત કરતા કહ્યું હતું કે એક જ સંતાન હોય અને તેને કંઈ થઈ જાય અથવા તો નબળુ નીકળે તો શું? અને આવું થાય તો બીજું સંતાન વિકલ્પ બની શકે. તેમણે સ્વામી વિવેકાનંદ, ડો. આંબેડકર, ડો. અબ્દુલ કલામના પરિવારોનો ઉલ્લેખ કરીને દેશને મળેલી મહાન હસ્તીઓ તરફ અંગુલી નિર્દેશ કરીને પોતે કરેલી વાતને યથાર્થ ઠેરવવાની કોશીષ કરી હતી.

PHOTO-2023-04-24-20-03-16 (1)

ડો. અનિલ નાયકે બીજી પણ ઘણી સારી વાતો કરી હતી તેમણે અમેરિકાના વોરેન બફેટ, બિલગેટ્સ વગેરેના દાખલા ટાંકીને કહ્યું હતું કે ડોકટર્સે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. તેમણે કર્મ અને વ્યવસાય વચ્ચેની ભેદરેખા સમજાવતા કહ્યું હતું તમે ડોકટર્સ છો એટલે દરદીની સારવાર કરવી એ તમારુ કામ છે એટલે કે તમારાે વ્યવસાય છે પરંતુ ગરીબ, નિરાધાર લોકોની સેવા કરવી તેમને કોઇપણ પ્રકારે દાન આપવું ડોકટર્સનું કર્મ છે અને આ કર્મ ક્યારેય પણ એળે જતું નથી. કુદરત ક્યાંકને ક્યાંક વળતર ચૂકવી આપે છે.

ડો. અનિલ નાયકે ઘણીબધી વાતોને તેમના વકતવ્યમાં આવરી લીધી હતી અને હોલમાં બેઠેલા પ્રત્યેક ડોકટર્સ અને આમંત્રિત લોકોના માનસપટમાં છવાઈ ગયા હતા. તેમની પ્રત્યેક વાતમાં દમ હતો, બોલ્ડ હતી તેમણે રાજકીય જીવનની વાતો પણ કરી હતી. પપ્પુનો ઉલ્લેખ કર્યા વગર ‘રાહુલ’ ને પણ યાદ કરી લીધા હતા.  તેમણે એક કરતા વધુ સંતાનોનો ઉલ્લેખ કરતી વખતે તેમણે ‘રાહુલ’નો સંદર્ભ ટાંકીને હાસ્ય રેલવ્યું હતું.

એકંદરે ડો. પારૂલ વડગામાનો સુરત મેડિકલ કન્સલટન્ટસ એસોસીએશનના પ્રેસિડેન્ટ તરીકેનો પદગ્રહણ સમારોહ એક સંભારણું બની ગયો હતો.

ડો. પ્રશાંત નાયકે (આભા લેબ) પણ તેમના એન્કરીંગ દરમિયાન કરેલી હળવી કોમેન્ટસને કારણે પણ સમારંભ આનંદસભર રહ્યો હતો.

ભાવનગરના ડો. નિમિત ઓઝાએ ‘‘ભરપૂર જીવી લઈએ, ખાલી થઈને મરીએ!’’ વિષયને કેન્દ્રમાં રાખીને હળવાશની વાતો કરી હતી.

આ પણ વાંચો :-